Home Blog Page 22

NEET પેપર લીક તપાસમાં મોટો ખુલાસો! આ કોડનેમથી તૈયાર થયા હતા પ્રશ્નપત્ર સેટ

દેશભરમાં કરોડો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જોડાયેલા NEET પેપર લીક કેસમાં તપાસ દરમિયાન વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. કેન્દ્રીય તપાસ બ્યુરો (CBI)ની તપાસમાં જાણવા મળ્યું છે કે પરીક્ષાના વિવિધ પ્રશ્નપત્ર સેટને આંતરિક રીતે ‘કૈલાશ‘ અને ‘શિવાલિક‘ જેવા કોડનેમ આપવામાં આવ્યા હતા. હવે તપાસ એ દિશામાં આગળ વધી રહી છે કે આ કોડનેમ ધરાવતા પ્રશ્નપત્રો પરીક્ષા પહેલાં આરોપીઓ સુધી કેવી રીતે પહોંચ્યા અને આખું કાવતરું કેવી રીતે રચાયું હતું.

તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર, આ કોડનેમનો ઉપયોગ પ્રશ્નપત્રના અલગ-અલગ સેટની ઓળખ અને સુરક્ષા માટે કરવામાં આવતો હતો. CBI દ્વારા દાખલ કરાયેલી ચાર્જશીટમાં ત્રણ વિષય નિષ્ણાતોની ભૂમિકાની પણ નોંધ લેવામાં આવી છે. તેમના પર પરીક્ષા પહેલાં પ્રશ્નપત્ર સુધી પહોંચ મેળવી તેને લીક કરવામાં સહભાગી હોવાનો આરોપ છે. કેસમાં મોટી સંખ્યામાં દસ્તાવેજી અને ડિજિટલ પુરાવા એકત્ર કરવામાં આવ્યા છે, જ્યારે અનેક આરોપીઓ હાલમાં ન્યાયિક કસ્ટડીમાં છે.

તપાસ દરમિયાન મોબાઇલ ફોન, લેપટોપ અને અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણોની ફોરેન્સિક તપાસ પણ કરવામાં આવી રહી છે. અધિકારીઓ સમગ્ર નેટવર્ક સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે જેથી પેપર લીકમાં સામેલ તમામ લોકોની ભૂમિકા સ્પષ્ટ થઈ શકે. સાથે જ કોડનેમ આધારિત પ્રશ્નપત્રોની હેરફેર ક્યાંથી શરૂ થઈ અને તે કેવી રીતે બહાર આવ્યા તેની પણ ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે.

આ ખુલાસાએ ફરી એકવાર દેશની સ્પર્ધાત્મક પરીક્ષાઓની સુરક્ષા અને પારદર્શિતાને લઈને ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. તપાસ હજુ ચાલુ હોવાથી આગામી દિવસોમાં વધુ મહત્વના ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

વંદે માતરમ’ના અપમાન પર હવે જેલની સજા? રાજ્યસભાએ પાસ કર્યું મહત્વપૂર્ણ બિલ, જાણો શું બદલાશે

0

રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ’ને હવે રાષ્ટ્રીય ગાન ‘જન ગણ મન’ જેટલું જ કાનૂની રક્ષણ મજબૂત બન્યું છે. રાજ્યસભાએ પ્રિવેન્શન ઓફ ઇન્સલ્ટ્સ ટુ નેશનલ ઓનર (સંશોધન) બિલ, 2026ને મંજૂરી આપી છે. આ બિલ અમલમાં આવ્યા બાદ વંદે માતરમનું ઇરાદાપૂર્વક અપમાન કરવું, તેના ગાનમાં અવરોધ ઉભો કરવો અથવા તેના ગાન દરમિયાન સભામાં વિક્ષેપ પાડવો કાયદેસર ગુનો ગણાશે અને તેના માટે ત્રણ વર્ષ સુધીની જેલ, દંડ અથવા બંનેની જોગવાઈ રહેશે.

હાલમાં અમલમાં રહેલો પ્રિવેન્શન ઓફ ઇન્સલ્ટ્સ ટુ નેશનલ ઓનર એક્ટ, 1971 રાષ્ટ્રીય ધ્વજ, ભારતીય સંવિધાન અને રાષ્ટ્રીય ગાન ‘જન ગણ મન’ને કાનૂની સુરક્ષા આપે છે. આ કાયદા હેઠળ રાષ્ટ્રીય ગાનમાં ઇરાદાપૂર્વક વિક્ષેપ કરવો અથવા તેનું ગાન અટકાવવું દંડનીય ગુનો છે. નવા સંશોધન દ્વારા આ જ સુરક્ષા હવે ‘વંદે માતરમ’ સુધી વિસ્તૃત કરવાની જોગવાઈ કરવામાં આવી છે.

કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે રાજ્યસભામાં ચર્ચા દરમિયાન જણાવ્યું કે આ માત્ર કાયદાકીય ફેરફાર નથી, પરંતુ દેશની સાંસ્કૃતિક ધરોહર, સ્વાતંત્ર્ય સંગ્રામના આદર્શો અને રાષ્ટ્રીય ચેતના પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે.

‘વંદે માતરમ’ની રચના બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે કરી હતી અને ભારતના સ્વાતંત્ર્ય આંદોલનમાં આ ગીતે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. 24 જાન્યુઆરી, 1950ના રોજ સંવિધાન સભામાં ડૉ. રાજેન્દ્ર પ્રસાદે કહ્યું હતું કે ‘વંદે માતરમ’ને ‘જન ગણ મન’ જેટલું જ સન્માન આપવામાં આવશે. જોકે, તેને અત્યાર સુધી સમાન કાનૂની રક્ષણ મળતું નહોતું. સરકારનું કહેવું છે કે આ સંશોધન દ્વારા તે તફાવત દૂર કરવામાં આવશે.

રાજ્યસભામાં બિલ પસાર થઈ ગયું છે, પરંતુ કાયદો બનવા માટે બાકી રહેલી બંધારણીય પ્રક્રિયા પૂર્ણ થવી અને રાષ્ટ્રપતિની મંજૂરી મળવી જરૂરી રહેશે.

Video: હવે માલસામાન પણ દોડશે વંદે ભારતની સ્પીડે, ટોપ સ્પીડ રહેશે આટલા KM પ્રતિ કલાક

ભારતીય રેલવે હવે માત્ર મુસાફરોને જ નહીં, પરંતુ ઝડપી માલસામાન પહોંચાડવામાં પણ નવી ક્રાંતિ લાવવા તૈયાર છે. 145 કિમી પ્રતિ કલાકની ટોપ સ્પીડ હાંસલ કરનારી દેશની પ્રથમ વંદે ભારત આધારિત હાઈ-સ્પીડ ફ્રેટ EMU (કાર્ગો ટ્રેન) નું ટ્રાયલ શરૂ થયું છે. આ ટ્રેન સફળ થઈ તો ઈ-કોમર્સ પાર્સલ, દવાઓ, નાશવંત ખાદ્યપદાર્થો અને કોલ્ડ-ચેન લોજિસ્ટિક્સનું પરિવહન પહેલાં કરતાં વધુ ઝડપથી અને સુરક્ષિત રીતે થઈ શકશે.

ચેન્નાઈની ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી (ICF)માં નિર્મિત 16 કોચની આ પ્રોટોટાઇપ કાર્ગો ટ્રેનનું પરીક્ષણ રાજસ્થાનના કોટા-નાગદા-સવાઈ માધોપુર હાઈ-સ્પીડ રેલવે સેક્શન પર થઈ રહ્યું છે. પશ્ચિમ-મધ્ય રેલવેના જણાવ્યા મુજબ પ્રથમ જ દિવસે ટ્રેને સફળતાપૂર્વક 145 કિમી પ્રતિ કલાકની મહત્તમ ઝડપ હાંસલ કરી હતી. આગામી લગભગ એક મહિના દરમિયાન વિવિધ ગતિ, ભાર અને ઓપરેશનલ પરિસ્થિતિઓમાં તેના અનેક ટેક્નિકલ ટેસ્ટ હાથ ધરાશે.

આ ફ્રેટ EMUમાં કુલ 16 કોચ છે, જેમાં 12 પાર્સલ કોચ, 2 રીફર (રેફ્રિજરેટેડ) વાન અને 2 અન્ય કોચનો સમાવેશ થાય છે. ટ્રેનની કુલ પેલોડ ક્ષમતા 397 ટનથી વધુ છે અને તેમાં 20 ટનથી વધુ એક્સલ લોડ ક્ષમતા છે. ટ્રેનમાં રેફ્રિજરેટેડ પાર્સલ સુવિધા, ફોર્સ્ડ વેન્ટિલેશન, ન્યૂમેટિક રિટ્રેક્ટેબલ રોલર ફ્લોરિંગ, આધુનિક બ્રેકિંગ અને પ્રોપલ્શન સિસ્ટમ જેવી સુવિધાઓ આપવામાં આવી છે. સુરક્ષા માટે ભારતીય રેલવેની કવચ (KAVACH) એન્ટી-કોલિઝન સિસ્ટમ પણ સામેલ કરવામાં આવી છે.

ટ્રાયલ દરમિયાન ઓસિલેશન ટેસ્ટ, ઇમર્જન્સી બ્રેકિંગ, કપલર ફોર્સ, કર્વ પરફોર્મન્સ, ટ્રેક્શન, બ્રેકિંગ, રિજનરેટિવ એનર્જી, સિગ્નલિંગ અને અન્ય સુરક્ષા પરીક્ષણો કરવામાં આવશે. તમામ પરીક્ષણો સફળ રહ્યા બાદ આ હાઈ-સ્પીડ કાર્ગો ટ્રેન દેશના લોજિસ્ટિક્સ ક્ષેત્રમાં ઝડપી અને સમયસર માલ પરિવહન માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

હાથ ગુમાવ્યો, હિંમત નહીં! આદિવાસી ગામના દિલીપ ગાવિતે કોમનવેલ્થ ગેમ્સમાં રચ્યો ઇતિહાસ, જાણો સંઘર્ષથી ગોલ્ડ સુધીની સફર

0

ગ્લાસ્ગોમાં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારત માટે ગૌરવની ક્ષણ સર્જાઈ, જ્યારે નાસિક જિલ્લાના એક નાનકડા આદિવાસી ગામમાંથી આવેલા પેરા એથ્લીટ દિલીપ મહાદુ ગાવિતે પુરુષોની 100 મીટર T47 સ્પર્ધામાં ગેમ્સ રેકોર્ડ સાથે સુવર્ણ ચંદ્રક જીતી ઇતિહાસ રચ્યો. પાંચ વર્ષની ઉંમરે અકસ્માતમાં એક હાથ ગુમાવનાર દિલીપ આજે પોતાની મહેનત, આત્મવિશ્વાસ અને અડગ સંકલ્પથી દેશના કરોડો લોકો માટે પ્રેરણાસ્ત્રોત બન્યો છે. તેની આ સફર સાબિત કરે છે કે મુશ્કેલીઓ ભલે મોટી હોય, પરંતુ મજબૂત ઇચ્છાશક્તિ હોય તો સફળતા જરૂર મળે છે.

દિલીપ ગાવિતનો જન્મ મહારાષ્ટ્રના નાસિક નજીક આવેલા તોરણ ડોંગરી ગામમાં એક સામાન્ય ખેડૂત પરિવારમાં થયો હતો. બાળપણમાં ઝાડ પરથી પડી જતાં તેના હાથમાં ગંભીર ઈજા થઈ હતી. સમયસર યોગ્ય સારવાર ન મળતાં ચેપ ફેલાયો અને અંતે તેનો એક હાથ કાપવો પડ્યો. આ ઘટના બાદ પણ તેણે જીવન સામે હાર માની નહીં. ગામમાં પૂરતી રમતગમતની સુવિધા ન હોવા છતાં તેણે દોડ પ્રત્યેનો જુસ્સો જાળવી રાખ્યો. શાળાના દિવસોમાં તેના કોચ વૈજનાથ કાલેએ તેમની પ્રતિભા ઓળખી અને વ્યવસ્થિત તાલીમ આપીને તેને પેરા એથ્લેટિક્સ તરફ આગળ વધાર્યો.

ગ્લાસ્ગોમાં યોજાયેલી 100 મીટર T47 ફાઇનલ વરસાદથી ભીના ટ્રેક પર યોજાઈ હતી. શરૂઆતમાં દિલીપ પાછળ દેખાતો હતો, પરંતુ અંતિમ મીટરોમાં તેણે જોરદાર ઝડપ પકડી 10.71 સેકન્ડમાં રેસ પૂર્ણ કરી ગેમ્સ રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો. આ જ સ્પર્ધામાં ભારતના મોહમ્મદ બાસિલે સિલ્વર મેડલ જીતતા ભારતે ઐતિહાસિક 1-2 ફિનિશ નોંધાવી.

દિલીપ અગાઉ 400 મીટર T47 સ્પર્ધામાં પણ એશિયન સ્તરે સુવર્ણ ચંદ્રક જીત્યો છે. હવે તેનું આગામી લક્ષ્ય જાપાનમાં યોજાનારી પેરા એશિયન સ્પર્ધા અને ત્યારબાદ લોસ એન્જેલિસ 2028 પેરાલિમ્પિક્સમાં ભારત માટે વધુ સફળતા મેળવવાનું છે. કોમનવેલ્થ ગેમ્સમાં દિલીપનું આ ગોલ્ડ ભારત માટે ત્રીજું સુવર્ણ ચંદ્રક બન્યું અને દેશના પદકોની સંખ્યામાં વધુ વધારો કર્યો.

‘રામાયણ’નો ધમાકેદાર ટ્રેલર રિલીઝ: શ્રીરામ તરીકે રણબીર કપૂરે જીત્યું દિલ, રાવણના રોલમાં યશનો ખૂંખાર અવતાર છવાયો

નિતેશ તિવારીના નિર્દેશનમાં બનેલી બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘રામાયણ: પાર્ટ 1’નો ટ્રેલર આખરે રિલીઝ થઈ ગયો છે. ટ્રેલર રિલીઝ થતાં જ સોશિયલ મીડિયા પર ધૂમ મચી ગઈ છે. ભવ્ય વિઝ્યુઅલ્સ, શક્તિશાળી બેકગ્રાઉન્ડ સ્કોર અને કલાકારોના અભિનયને દર્શકો તરફથી જોરદાર પ્રતિસાદ મળી રહ્યો છે.

ટ્રેલરમાં રણબીર કપૂર ભગવાન શ્રીરામના પાત્રમાં શાંત, સૌમ્ય અને પ્રભાવશાળી અંદાજમાં જોવા મળે છે. જ્યારે યશ રાવણના પાત્રમાં પોતાના ખૂંખાર અને શક્તિશાળી લુકથી સમગ્ર લાઇમલાઇટ ચોરી લે છે. સાઈ પલ્લવી માતા સીતાના પાત્રમાં ખૂબ જ સુંદર અને અસરકારક લાગી રહી છે.

ટ્રેલરની શરૂઆત રાવણના શક્તિશાળી સંવાદથી થાય છે, જેમાં તે પોતાને ત્રણેય લોકનો સ્વામી ગણાવે છે. રાવણના અત્યાચાર વધતા ભગવાન વિષ્ણુ શ્રીરામ તરીકે અવતાર ધારણ કરે છે અને અધર્મના અંત માટે ધર્મયુદ્ધની શરૂઆત થાય છે. ત્યારબાદ શ્રીરામનું બાળપણ, માતા સીતાસાથેનું લગ્ન, 14 વર્ષનો વનવાસ અને અંતે સીતાહરણ બાદ લંકા સામેના મહાયુદ્ધની ઝલક દર્શાવવામાં આવી છે.

ફિલ્મમાં રણબીર કપૂર શ્રીરામ, સાઈ પલ્લવી માતા સીતા, યશ રાવણ, રવિ દુબે લક્ષ્મણ અને કાજલ અગ્રવાલ મંદોદરીના પાત્રમાં જોવા મળશે. ઉપરાંત સની દેઓલ, રકુલ પ્રીત સિંહ અને અરુણ ગોવિલ પણ મહત્વની ભૂમિકામાં છે.

નમિત મલ્હોત્રાના પ્રોડક્શન હેઠળ બની રહેલી ‘રામાયણ’ બે ભાગમાં રિલીઝ થશે. પ્રથમ ભાગ આ વર્ષની દિવાળી પર સિનેમાઘરોમાં આવશે, જ્યારે બીજો ભાગ દિવાળી 2027 દરમિયાન રિલીઝ થશે. મીડિયા અહેવાલો મુજબ, બંને ભાગનો અંદાજિત બજેટ લગભગ ₹4,000 કરોડ હોવાનું કહેવાઈ રહ્યું છે.

કંગના રનૌતના ‘ગટર જનરેશન’ નિવેદન પર વિવાદ, સ્પષ્ટતા કરતાં શું કહ્યું ?

ભાજપ સાંસદ અને અભિનેત્રી કંગના રનૌત પોતાના ‘ગટર જનરેશન’ નિવેદનને લઈને ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી છે. સોશિયલ મીડિયા પર ભારે ટીકા બાદ કંગનાએ એક વીડિયો જાહેર કરીને પોતાના નિવેદન અંગે સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું કે તેમનો ઉદ્દેશ સમગ્ર યુવા પેઢી પર ટિપ્પણી કરવાનો નહોતો, પરંતુ વિરોધ પ્રદર્શનો દરમિયાન નેતાઓ વિરુદ્ધ અભદ્ર અને અશ્લીલ ભાષાનો ઉપયોગ કરનારા કેટલાક લોકોની ટીકા કરવાનો હતો.

ઇન્સ્ટાગ્રામ પર શેર કરાયેલા વીડિયોમાં કંગનાએ કહ્યું કે સમાજમાં અભિવ્યક્તિની સ્વતંત્રતા સાથે શિસ્ત અને મર્યાદાનું પાલન પણ એટલું જ જરૂરી છે. તેમણે પ્રશ્ન કર્યો કે, “શું તમે તમારી દીકરીને આવી ભાષા અને વર્તન શીખવશો?” તેમના મતે કોઈપણ વ્યક્તિને અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવાની છૂટ ન હોવી જોઈએ અને આવી બાબતોને સામાન્ય ગણવી યોગ્ય નથી.

આ સમગ્ર વિવાદ દિલ્હીમાં વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન બાદ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા કેટલાક વીડિયો અને પોસ્ટ્સને પગલે શરૂ થયો હતો. તે સમયે કંગનાએ કેટલાક પ્રદર્શનકારીઓની ભાષા અને વર્તન પર કડક ટિપ્પણી કરી હતી, જેને લઈને સોશિયલ મીડિયા પર વ્યાપક વિરોધ જોવા મળ્યો હતો. અનેક લોકોએ તેમના નિવેદનને સમગ્ર જનરેશન અને ખાસ કરીને યુવતીઓ સામેની ટિપ્પણી ગણાવી હતી.

વિવાદ વધતા કંગનાએ ભારપૂર્વક જણાવ્યું કે તેઓ માત્ર અભદ્ર ભાષા અને અસંસ્કારી વર્તનની ટીકા કરી રહ્યા હતા, કોઈ એક આખી પેઢીને નિશાન બનાવી રહ્યા નહોતા. તેમણે લોકોને અપીલ કરી કે આધુનિકતા કે અભિવ્યક્તિની સ્વતંત્રતાના નામે અપમાનજનક ભાષા અને વર્તનને સ્વીકારવું યોગ્ય નથી. કંગનાના આ નિવેદન બાદ પણ સોશિયલ મીડિયા પર તેમના સમર્થન અને વિરોધ બંને પ્રકારની પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે.

AI-171 ક્રેશ તપાસ અંતિમ તબક્કામાં, સૌથી મોટી શંકા પર સરકારે આપી સ્પષ્ટતા

એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 દુર્ઘટનાની તપાસ હવે અંતિમ તબક્કામાં પહોંચી છે. રાજ્યસભામાં કેન્દ્ર સરકારે બુધવારે જણાવ્યું કે અત્યાર સુધીની તપાસમાં વિમાનના ફ્યુઅલ કંટ્રોલ સ્વિચના લોકિંગ મિકેનિઝમમાં કોઈપણ પ્રકારની ટેકનિકલ ખામી મળી નથી. જોકે, સમગ્ર થ્રસ્ટ કંટ્રોલ મોડ્યુલની વિગતવાર તપાસ હજુ ચાલુ છે.

નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે જણાવ્યું કે વિમાનના ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર (OEM) દ્વારા અદ્યતન ટેક્નિકલ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેમાં ફ્યુઅલ કંટ્રોલ સ્વિચ અને તેના લોકિંગ ડિટેન્ટ્સની મજબૂતી તથા કાર્યક્ષમતાની ચકાસણી કરવામાં આવી હતી, જેમાં કોઈ અસામાન્યતા સામે આવી નથી.

તેમણે વધુમાં જણાવ્યું કે સંપૂર્ણ થ્રસ્ટ કંટ્રોલ મોડ્યુલની તપાસ હાલમાં અમેરિકાના સિયાટલ સ્થિત OEMની સુવિધામાં ચાલી રહી છે. આ તપાસ પૂર્ણ થયા બાદ જ તેની અંતિમ વિગતો જાહેર કરવામાં આવશે.

સરકારે સ્પષ્ટ કર્યું કે એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) દ્વારા અંતિમ તપાસ અહેવાલ જાહેર કરવામાં કોઈ વિલંબ થયો નથી. મોટા વિમાન અકસ્માતોની તપાસ નિશ્ચિત સમયમર્યાદામાં પૂર્ણ થતી નથી અને દરેક સંભવિત કારણ તથા સહાયક પરિબળોની વિગતવાર તપાસ બાદ જ અંતિમ અહેવાલ તૈયાર કરવામાં આવે છે.

કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર, AI-171 દુર્ઘટનાના તમામ સંભવિત કારણોની તપાસ હાલ પણ ચાલુ છે. તપાસ પૂર્ણ થયા બાદ AAIB તેનો અંતિમ અહેવાલ જાહેર કરશે અને તેને તેની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે AI-171 વિમાન દુર્ઘટનામાં કુલ 260 લોકોના મોત થયા હતા. આ ઘટનાના મૂળ કારણ સુધી પહોંચવા માટે દેશ-વિદેશના નિષ્ણાતોની મદદથી ટેક્નિકલ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ જ દુર્ઘટનાનું ચોક્કસ કારણ અને ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટેના સૂચનો સામે આવશે.

દર્શન કરવા નીકળેલો સુરતના પરિવારને ધોલેરા એક્સપ્રેસવે પર ગમખ્વાર અકસ્માત

0

અમદાવાદ-ભાવનગર એક્સપ્રેસવે પર બનેલી એક ભીષણ અકસ્માતે સૌને હચમચાવી દીધા હતા. ધોલેરા નજીક સુરતના પરિવારની કાર અચાનક પલટી ખાઈને ખાઈમાં પડી હતી અને થોડી જ ક્ષણોમાં આગની જ્વાળાઓમાં લપેટાઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં 27 વર્ષીય મહિલા અને તેના એક વર્ષના પુત્રનું કારમાં જ મોત થયું હતું, જ્યારે મહિલાના પતિ અને સસરાનો આબાદ બચાવ થયો હતો.

મળતી માહિતી મુજબ, મંગળવારે સાંજે લગભગ 4 વાગ્યે ધોળેરા વિસ્તારમાં ચાંદની હોટલ નજીક આ અકસ્માત સર્જાયો હતો. સુરતના કતારગામમાં રહેતા જતિન કાકડિયા (29), તેમની પત્ની અમી કાકડિયા (27), પુત્ર ધનુષ અને જતિનના પિતા સવજી કાકડિયા (62) ભાવનગરના મંદિરે દર્શન માટે જઈ રહ્યા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર, જતિન કાર ચલાવી રહ્યા હતા ત્યારે અચાનક નિયંત્રણ ગુમાવતા કાર ડિવાઇડર સાથે અથડાઈ હતી અને રોડની બાજુની ખીણમાં ખાબકી હતી. ત્યારબાદ કારમાં આગ લાગી હતી અને થોડી જ વારમાં તેમાં વિસ્ફોટ થયો હતો.

જતિન અને સવજીએ સમયસર કારમાંથી બહાર નીકળી જીવ બચાવ્યો હતો, પરંતુ પાછળની સીટ પર બેઠેલા અમી અને ધનુષ આગની લપેટમાંથી બહાર આવી શક્યા નહોતા. ઘટનાસ્થળે પહોંચેલી બચાવ ટીમે કારમાંથી બંનેના મૃતદેહ બહાર કાઢ્યા હતા.

પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા.

વરસાદનું જોર ફરી વધશે? ગુજરાત તરફ આવી રહી છે નવી સિસ્ટમ, જાણો આગાહી

0

ગુજરાતમાં થોડા દિવસથી વરસાદનું જોર ઘટ્યું હતું, પરંતુ હવે ફરી એકવાર મેઘરાજા સક્રિય થવાની સંભાવના છે. બંગાળની ખાડીમાં બનેલી વરસાદી સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધી રહી છે, જેના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં આગામી દિવસોમાં ભારે વરસાદ પડી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

હાલ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસું સક્રિય છે. છેલ્લા કેટલાક દિવસોમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો હતો. 23 અને 24 જુલાઈ દરમિયાન પડેલા ભારે વરસાદને કારણે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ પણ સર્જાઈ હતી.

હવે બંગાળની ખાડીમાં સર્જાયેલું ડીપ ડિપ્રેશન પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે. આ સિસ્ટમની અસર હેઠળ ગુજરાતમાં ફરી વરસાદનું પ્રમાણ વધવાની શક્યતા છે. હવામાન નિષ્ણાતો મુજબ, જો આ સિસ્ટમ પોતાની ગતિ પ્રમાણે આગળ વધશે તો આગામી દિવસોમાં રાજ્યમાં સારો વરસાદ થઈ શકે છે.

આગામી 30 જુલાઈએ નર્મદા, તાપી અને ડાંગ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા-નગર હવેલીમાં પણ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

31 જુલાઈએ પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ યથાવત રહી શકે છે. જ્યારે 1 ઓગસ્ટે આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ અને નર્મદા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

દરમિયાન રાજ્યના જળાશયોમાં પણ પાણીની આવક વધી રહી છે. અનેક ડેમોમાં જળસંગ્રહની સ્થિતિમાં સુધારો થયો છે. જોકે કેટલાક વિસ્તારોમાં હજુ વરસાદની જરૂરિયાત છે. ખેડૂતો માટે પણ આગામી વરસાદ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે, કારણ કે વાવેતર અને પાકના વિકાસ માટે વરસાદી પાણી જરૂરી છે.

હવામાન વિભાગના અનુમાન પ્રમાણે ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં પણ ગુજરાતમાં વરસાદી માહોલ ચાલુ રહી શકે છે.

Video: લોકસભામાં પાસ થયું નવું પરીક્ષા કાયદા સુધારા બિલ

0

સરકારી અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પેપર લીક તથા ગેરરીતિઓ પર લગામ કસવા માટે કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલું Public Examinations (Prevention of Unfair Means) Amendment Bill, 2026 બુધવારે લોકસભામાં પસાર કરવામાં આવ્યું છે. બિલને ગૃહમાં ભારે હોબાળા વચ્ચે ધ્વનિ મતથી મંજૂરી આપવામાં આવી છે.

આ બિલનો હેતુ UPSC, SSC, NTA, રેલવે ભરતી બોર્ડ સહિતની જાહેર પરીક્ષાઓમાં પેપર લીક, નકલ માફિયા અને સંગઠિત ગેરરીતિઓ સામે કડક કાર્યવાહી કરવાનો છે.

નવા સુધારા હેઠળ પેપર લીકમાં સામેલ વ્યક્તિઓ અને સંસ્થાઓ સામે વધુ કડક સજા, ઝડપી તપાસ અને ઝડપી ટ્રાયલ માટે ખાસ વ્યવસ્થા કરવાની જોગવાઈ કરવામાં આવી છે. સરકારનું કહેવું છે કે આ કાયદાથી પરીક્ષા વ્યવસ્થામાં પારદર્શિતા વધશે અને લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે થતી છેતરપિંડી અટકાવવામાં મદદ મળશે.

બિલ પર ચર્ચા દરમિયાન સત્તાપક્ષે તેને વિદ્યાર્થીઓના હિતમાં મોટું પગલું ગણાવ્યું હતું, જ્યારે વિપક્ષે પરીક્ષા પ્રણાલીની ખામીઓ અને તાજેતરના પેપર લીક મુદ્દાઓને લઈને સરકાર પર સવાલો ઉઠાવ્યા હતા.

આ સુધારા બિલમાં Public Examinations (Prevention of Unfair Means) Act, 2024ને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તેમાં દોષિત પરીક્ષા સેવા પ્રદાતાઓ સામે પ્રતિબંધની અવધિ વધારવા જેવી જોગવાઈઓનો પણ સમાવેશ થાય છે.