દેશભરમાં કરોડો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જોડાયેલા NEET પેપર લીક કેસમાં તપાસ દરમિયાન વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. કેન્દ્રીય તપાસ બ્યુરો (CBI)ની તપાસમાં જાણવા મળ્યું છે કે પરીક્ષાના વિવિધ પ્રશ્નપત્ર સેટને આંતરિક રીતે ‘કૈલાશ‘ અને ‘શિવાલિક‘ જેવા કોડનેમ આપવામાં આવ્યા હતા. હવે તપાસ એ દિશામાં આગળ વધી રહી છે કે આ કોડનેમ ધરાવતા પ્રશ્નપત્રો પરીક્ષા પહેલાં આરોપીઓ સુધી કેવી રીતે પહોંચ્યા અને આખું કાવતરું કેવી રીતે રચાયું હતું.
તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર, આ કોડનેમનો ઉપયોગ પ્રશ્નપત્રના અલગ-અલગ સેટની ઓળખ અને સુરક્ષા માટે કરવામાં આવતો હતો. CBI દ્વારા દાખલ કરાયેલી ચાર્જશીટમાં ત્રણ વિષય નિષ્ણાતોની ભૂમિકાની પણ નોંધ લેવામાં આવી છે. તેમના પર પરીક્ષા પહેલાં પ્રશ્નપત્ર સુધી પહોંચ મેળવી તેને લીક કરવામાં સહભાગી હોવાનો આરોપ છે. કેસમાં મોટી સંખ્યામાં દસ્તાવેજી અને ડિજિટલ પુરાવા એકત્ર કરવામાં આવ્યા છે, જ્યારે અનેક આરોપીઓ હાલમાં ન્યાયિક કસ્ટડીમાં છે.
તપાસ દરમિયાન મોબાઇલ ફોન, લેપટોપ અને અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણોની ફોરેન્સિક તપાસ પણ કરવામાં આવી રહી છે. અધિકારીઓ સમગ્ર નેટવર્ક સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે જેથી પેપર લીકમાં સામેલ તમામ લોકોની ભૂમિકા સ્પષ્ટ થઈ શકે. સાથે જ કોડનેમ આધારિત પ્રશ્નપત્રોની હેરફેર ક્યાંથી શરૂ થઈ અને તે કેવી રીતે બહાર આવ્યા તેની પણ ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે.
આ ખુલાસાએ ફરી એકવાર દેશની સ્પર્ધાત્મક પરીક્ષાઓની સુરક્ષા અને પારદર્શિતાને લઈને ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. તપાસ હજુ ચાલુ હોવાથી આગામી દિવસોમાં વધુ મહત્વના ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.