Wednesday, Jul 29, 2026

AI-171 ક્રેશ તપાસ અંતિમ તબક્કામાં, સૌથી મોટી શંકા પર સરકારે આપી સ્પષ્ટતા

2 Min Read

એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 દુર્ઘટનાની તપાસ હવે અંતિમ તબક્કામાં પહોંચી છે. રાજ્યસભામાં કેન્દ્ર સરકારે બુધવારે જણાવ્યું કે અત્યાર સુધીની તપાસમાં વિમાનના ફ્યુઅલ કંટ્રોલ સ્વિચના લોકિંગ મિકેનિઝમમાં કોઈપણ પ્રકારની ટેકનિકલ ખામી મળી નથી. જોકે, સમગ્ર થ્રસ્ટ કંટ્રોલ મોડ્યુલની વિગતવાર તપાસ હજુ ચાલુ છે.

નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે જણાવ્યું કે વિમાનના ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર (OEM) દ્વારા અદ્યતન ટેક્નિકલ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેમાં ફ્યુઅલ કંટ્રોલ સ્વિચ અને તેના લોકિંગ ડિટેન્ટ્સની મજબૂતી તથા કાર્યક્ષમતાની ચકાસણી કરવામાં આવી હતી, જેમાં કોઈ અસામાન્યતા સામે આવી નથી.

તેમણે વધુમાં જણાવ્યું કે સંપૂર્ણ થ્રસ્ટ કંટ્રોલ મોડ્યુલની તપાસ હાલમાં અમેરિકાના સિયાટલ સ્થિત OEMની સુવિધામાં ચાલી રહી છે. આ તપાસ પૂર્ણ થયા બાદ જ તેની અંતિમ વિગતો જાહેર કરવામાં આવશે.

સરકારે સ્પષ્ટ કર્યું કે એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) દ્વારા અંતિમ તપાસ અહેવાલ જાહેર કરવામાં કોઈ વિલંબ થયો નથી. મોટા વિમાન અકસ્માતોની તપાસ નિશ્ચિત સમયમર્યાદામાં પૂર્ણ થતી નથી અને દરેક સંભવિત કારણ તથા સહાયક પરિબળોની વિગતવાર તપાસ બાદ જ અંતિમ અહેવાલ તૈયાર કરવામાં આવે છે.

કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર, AI-171 દુર્ઘટનાના તમામ સંભવિત કારણોની તપાસ હાલ પણ ચાલુ છે. તપાસ પૂર્ણ થયા બાદ AAIB તેનો અંતિમ અહેવાલ જાહેર કરશે અને તેને તેની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે AI-171 વિમાન દુર્ઘટનામાં કુલ 260 લોકોના મોત થયા હતા. આ ઘટનાના મૂળ કારણ સુધી પહોંચવા માટે દેશ-વિદેશના નિષ્ણાતોની મદદથી ટેક્નિકલ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ જ દુર્ઘટનાનું ચોક્કસ કારણ અને ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટેના સૂચનો સામે આવશે.

Share This Article