હવે તમે સીધી જ ફરિયાદ કરી શકશો, તમામ જાહેર પરિવહનના વાહનો પર લાગી જશે ક્યુઆર કોડ

Share this story
  • પોલીસ કર્મીઓ દ્વારા તોડકાંડ મામલા બાદ સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં તમામ જાહેર પરિવહનના વાહનો પર QR કોડ લગાવાશે. QR કોડ સ્કેન કરીને સીધી ફરિયાદ નોંધાવી શકાશે.

થોડા સમય પહેલા અમદાવાદનાં એક દંપતી પાસેથી ૨ ટ્રાફિક પોલીસ તેમજ એક ટીઆરબી જવાન કરેલ તોડકાંડ મામલે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જે બાદ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

જેમાં રાજ્ય સરકારે કોર્ટમાં માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજ્યમાં તમામ જાહેર પરિવહનનાં વાહનો પર QR કોડ લગાવાશે. જેથી પોલીસ દ્વારા થતી હેરાનગતિ કે પરેશાનીનાં સંજોગોમાં QR કોડ સ્કેન કરી સીધી ફરિયાદ નોંધાવી શકાશે.

અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાં રહેતા મિલનભાઈ કૈલા અને તેમના પત્ની ૨૬ ઓગસ્ટનાં રાત્રીનાં સુમારે  ઉબેર કારમાં એરપોર્ટથી ઘરે આવવા નીકળ્યા હતા. આ દરમિયાન ઓગણજ સર્કલ નજીક ટ્રાફિક પોલીસે તેમની ટેક્સીને રોકી હતી. જે બાદ ટ્રાફિક પોલીસે ઉબેર કારમાં બેઠેલા મિલનભાઈ કૈલા અને તેમના પત્ની પાસેથી પૈસાની માંગણી કરી હતી.

ઓગણજ સર્કલ નજીક એરપોર્ટથી આવતી ટેક્સીને રોકી ટ્રાફિક પોલીસકર્મીએ કારમાં બેસેલા પેસેન્જર પાસેથી ૨ લાખની માંગણી કરી હતી અને તેમને ધમકી આપી હતી. જે બાદ તેઓએ મિલનભાઈ પાસેથી ૪૦ હજાર રોકડા પડાવ્યા હતા. જ્યારે ફરિયાદીના પત્નીના ફોનમાંથી ઉબેરના ડ્રાઈવરના ફોનમાં ૨૦ હજાર ટ્રાન્સફર કરાવ્યા હતા.

સરકારે કહ્યું છે કે, ફરજ પરના પોલીસકર્મીઓ યુનિફોર્મ અને નેમ પ્લેટ વગર ફરી શકશે નહી. રાત્રે મહિલાઓની સુરક્ષા માટે મહિલા પોલીસકર્મીઓ તૈનાત કરાશે. અમદાવાદ પોલીસ કમિશનરે તમામ પોલીસ સ્ટેશન અને કમિશનરની હકુમતમાં આવતા વિસ્તારો માટે માર્ગદર્શિકા જાહેર કરી હોવાની સરકારે હાઈકોર્ટમાં રજૂઆત કરી છે. જેના પર હાઈકોર્ટે અમદાવાદમાં જ નહીં પરંતુ રાજ્યભરમાં આ માર્ગદર્શિકા જાહેર કરવાની ટકોર કરી છે.

આ મામલે હાઈકોર્ટે કડક શબ્દોમાં કહ્યું હતું કે, કાયદાના રક્ષક જ ભક્ષક બને તે વ્યાજબી નથી. જાહેર પરિવહનના વાહનમાં હેલ્પલાઈન નંબર ડિસ્પ્લે થવા જોઈએ. હેલ્પલાઈન નંબર મુસાફરોને યોગ્ય રીતે દેખાવવા જોઈએ. નાગરિકોના અધિકારોનું હનન થતા સરકારે વળતર ચૂકવવું જોઈએ.

આ પણ વાંચો :-