Thursday, Jul 30, 2026

નાસીરનગર ડિમોલિશન કેસમાં HCનો સવાલ: ‘અધિકારીઓ ભૂલ કરે તો પણ કોઈ કાર્યવાહી નહીં થાય?’ SMC કમિશનર મુદ્દે સરકારને ઘેર્યું

1 Min Read

સુરતના નાસીરનગર ડિમોલિશન વિવાદમાં ગુજરાત હાઇકોર્ટની કડક ટિપ્પણીએ ફરી એકવાર સમગ્ર મામલાને ચર્ચામાં લાવી દીધો છે. કોર્ટે SMC કમિશનર હજુ પણ હોદ્દા પર હોવા અંગે રાજ્ય સરકારને સવાલ કર્યો છે અને પૂછ્યું કે અધિકારીઓની જવાબદારી નક્કી નહીં થાય તો રાજ્યની છબી કેવી બનશે?

નાસીરનગર ડિમોલિશન મામલે 26 અરજદારોની અરજી પર થયેલી સુનાવણી દરમિયાન હાઇકોર્ટે કહ્યું કે, અધિકારીઓ કંઈ પણ કરે અને તેમને કોઈ અસર ન થાય તેવી સ્થિતિ યોગ્ય નથી. જોકે કમિશનરને હટાવવા કે નહીં તેનો નિર્ણય રાજ્ય સરકારનો વિષય હોવાનું કોર્ટે સ્પષ્ટ કર્યું હતું.

સુનાવણી દરમિયાન અરજદારો તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે ડિમોલિશન કરાયેલી જમીન ખાનગી માલિકીની છે. જ્યારે જમીન માલિકના વકીલે જણાવ્યું કે જમીન અગાઉથી જ SMCને સોંપવામાં આવી હતી. હાઇકોર્ટે નોંધ્યું કે રોડલાઇન પર દબાણ હોય તો પણ યોગ્ય પ્રક્રિયા અને નોટિસ વિના કાર્યવાહી કરી શકાય નહીં.

સરકાર તરફથી જણાવાયું કે સમગ્ર મામલાની તપાસ માટે બે ઉચ્ચ અધિકારીઓની કમિટી બનાવવામાં આવી છે અને તેનો અહેવાલ 60 દિવસમાં રજૂ કરાશે. હાઇકોર્ટે તપાસની નિષ્પક્ષતા પર ભાર મૂકતા પૂછ્યું કે કમિશનર હોદ્દા પર રહેતા તપાસને અસર તો નહીં થાય ને?

આ મામલે આગામી સુનાવણી 10 ઓગસ્ટે યોજાશે. દરમિયાન રાજ્ય સરકારને સમગ્ર મુદ્દે ગંભીરતાથી વિચારવા હાઇકોર્ટે સૂચના આપી છે.

Share This Article