HomeSurat Cityસુરતમાં નક્ષત્ર સેફ હાઉસ કૌભાંડ: ₹2.67 કરોડનું 206 તોલા સોનું ગાયબ

સુરતમાં નક્ષત્ર સેફ હાઉસ કૌભાંડ: ₹2.67 કરોડનું 206 તોલા સોનું ગાયબ

Date:

Related stories

મોદીની પુતિનને અનોખી ભેટ કેમ ચર્ચામાં? ‘તિરુક્કુરલ’ વિશે જાણો આ મહત્વની વાતો

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની મુલાકાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ...

પુતિનના ભારત પ્રવાસ વચ્ચે Su-57 પર ચર્ચા તેજ, 5મી પેઢીના ફાઇટર જેટ અંગે મોટું અપડેટ

ભારત અને રશિયા વચ્ચેની જૂની અને વ્યૂહાત્મક રક્ષા ભાગીદારીમાં...

સુરતમાં આજથી સતત 3 દિવસ બેંકો કેમ બંધ?

સુરતમાં આજે બેંકનું કામકાજ લઈને પહોંચેલા ગ્રાહકોને શાખાના દરવાજે...

તાપી બચાવવા સુરતીઓએ શોધ્યો અનોખો ઉપાય, ભાદરવી અમાસે બ્રિજ પર થયો આ પ્રયાસ

સુરતની જીવાદોરી સમાન તાપી નદીમાં શ્રદ્ધાના નામે પ્રદૂષણ ન...

કોંગોની શાળામાં 29 બાળકો ભડથું થઈ ગયા

ડેમોક્રેટિક રિપબ્લિક ઑફ કોંગોના બુકાવુ શહેરમાં ગુરુવારે બનેલી એક...
spot_img

સુરતમાં ખાનગી સેફ વોલ્ટમાં રાખેલા દાગીના પણ હવે સુરક્ષિત નથી? સુરતના સિંગણપોર વિસ્તારમાં આવેલી ચર્ચાસ્પદ નક્ષત્ર સેફ હાઉસ (સેફ વોલ્ટ)માં ગ્રાહકોના કરોડો રૂપિયાના દાગીના ગાયબ થવાના મામલે શહેરભરમાં ભારે ચકચાર મચી છે. સિંગણપોર બ્રાન્ચમાં ચોરીની ફરિયાદ નોંધાયા બાદ વરાછા સહિત અન્ય શાખાઓમાં પણ પોતાના લોકરમાં રાખેલા દાગીના અને રોકડ સલામત છે કે નહીં તેની ખાતરી કરવા માટે મોટી સંખ્યામાં ગ્રાહકો પહોંચી ગયા હતા. અનેક સ્થળોએ લોકરો તપાસવા માટે લાંબી કતારો જોવા મળી હતી.

પોલીસ ફરિયાદ અનુસાર, નક્ષત્ર સેફ હાઉસના સંચાલક મહેશ દિયોરા, તેના પુત્રો હર્ષ દિયોરા અને હરીકૃષ્ણ દિયોરા, તેમજ લોકર તોડવામાં નિષ્ણાત ગણાતા મણીલાલ સામે ગંભીર ગુનો નોંધાયો છે. તપાસમાં પ્રાથમિક રીતે એવી શંકા વ્યક્ત કરવામાં આવી છે કે ગ્રાહકોના લોકરો ગેરકાયદેસર રીતે ખોલીને સોનાના દાગીના ચોરી કરવાનો પૂર્વઆયોજિત કાવતરું રચાયું હતું.

સિંગણપોર બ્રાન્ચમાં દાગીના ગાયબ થવાની માહિતી બહાર આવતા વરાછા બ્રાન્ચ પર પણ મોટી સંખ્યામાં લોકરધારકો ઉમટી પડ્યા હતા. કેટલાક ગ્રાહકોને લોકર ખોલવામાં મુશ્કેલી પડી હતી, જ્યારે સંચાલકો તરફથી સ્પષ્ટ જવાબ ન મળતાં હોબાળો સર્જાયો હતો. પરિસ્થિતિને કાબૂમાં લેવા પોલીસને બંદોબસ્ત ગોઠવવો પડ્યો હતો.

પોલીસ નોંધ મુજબ અત્યાર સુધી કુલ 206 તોલા સોનું, જેની અંદાજિત કિંમત ₹2.67 કરોડ જેટલી થાય છે, ચોરાયું હોવાનું સામે આવ્યું છે. ફરિયાદમાં રમેશભાઈ જીવરાજભાઈ વાઘાણી (63 તોલા), રાજેશભાઈ પિપળીયા (49 તોલા), રમેશભાઈ સવજીભાઈ વાઘાણી (3 તોલા), જીતેન્દ્રભાઈ બાબુભાઈ બલર (13 તોલા), ચિરાગભાઈ વલ્લભભાઈ ગોટી (62 તોલા) અને ઉત્સવ અમરશીભાઈ સવાણી (16 તોલા) સહિત અનેક ગ્રાહકોને નુકસાન થયાનો ઉલ્લેખ છે.

મુખ્ય ફરિયાદી રમેશભાઈ જીવરાજભાઈ વાઘાણીના જણાવ્યા મુજબ તેમણે વર્ષ 2020માં પત્નીના નામે લોકર ભાડે રાખ્યું હતું. 8 મે, 2026ના રોજ લોકરમાં તમામ દાગીના સુરક્ષિત હતા. પરંતુ 14 જુલાઈ, 2026ના રોજ ફરી લોકર ખોલતા અંદાજે 63 તોલા સોનાના દાગીના ગાયબ હોવાનું સામે આવ્યું હતું.

ફરિયાદી પરિવાર દ્વારા સીસીટીવી ફૂટેજ જોવા માંગવામાં આવતાં, આરોપી હર્ષ દિયોરાએ ધમકીભર્યું વર્તન કર્યું હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે. બાદમાં સીસીટીવી ડેટા ઉપલબ્ધ ન હોવાનું કહેવામાં આવ્યું હતું, જેના કારણે ફરિયાદીઓએ પોલીસનો સંપર્ક કર્યો હતો.

સિંગણપોર-ડભોલી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 316(2), 316(5) અને 61(2) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે મહેશ દિયોરા અને તેના બંને પુત્રોની ધરપકડ કરી છે, જ્યારે લોકર બ્રેકર મણીલાલની શોધખોળ ચાલુ છે.

પોલીસે તપાસના ભાગરૂપે ડીવીઆર, ડિજિટલ રેકોર્ડ અને અન્ય પુરાવા કબજે કરવાની કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ વરાછા સહિત અન્ય શાખાઓમાં પણ આવી જ કોઈ ગેરરીતિ થઈ છે કે કેમ તે દિશામાં તપાસ ચાલી રહી છે. સુરતમાં સેફ ડિપોઝિટ વોલ્ટમાંથી આ પ્રકારની કરોડોની ચોરીનો આ પ્રથમ મોટો કેસ માનવામાં આવી રહ્યો છે, જેના કારણે લોકરધારકોમાં ચિંતા અને અસુરક્ષાની લાગણી જોવા મળી રહી છે.

Subscribe

Latest stories

spot_img