સુરતની જીવાદોરી સમાન તાપી નદીમાં શ્રદ્ધાના નામે પ્રદૂષણ ન ભળે તે માટે આજે ભાદરવી અમાસના દિવસે અનોખું અભિયાન જોવા મળ્યું હતું. રક્ષાબંધન બાદ રાખડીઓને નદીમાં પધરાવવાની વર્ષો જૂની પરંપરાને કારણે પ્લાસ્ટિક, કૃત્રિમ દોરા, કેમિકલ્સ અને અન્ય અવિઘટનશીલ સામગ્રી પાણીમાં જતી હોવાની ચિંતા વચ્ચે ‘મહારાજા કેમ્પસ ટીમ’ના સ્વયંસેવકો આજે મેદાને ઉતર્યા હતા. ‘જલેષુ જીવનમ્’ના સંદેશ સાથે રાખડીઓને નદીમાં પધરાવવાને બદલે એકત્ર કરી યોગ્ય નિકાલ તરફ મહત્વનું પગલું ભરાયું હતું.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત ઉત્રાણની શાળાઓના વાલીઓ અને શિક્ષકોની બનેલી મહારાજા કેમ્પસ ટીમ દ્વારા ઉત્રાણથી કાપોદ્રા તરફ જતા બ્રિજ તેમજ સુદામા ચોકથી ચીકુવાડી તરફ જતા બ્રિજ પર આશરે 150 જેટલા સ્વયંસેવકો તહેનાત રહ્યા હતા. સ્વયંસેવકોએ નાગરિકોને રાખડીઓ નદીમાં ફેંકવા બદલે પોતાની પાસે જમા કરાવવા અપીલ કરી હતી.
અભિયાન દરમિયાન નાગરિકો તરફથી પણ સારો પ્રતિસાદ મળ્યો હતો. અનેક લોકોએ રાખડીઓ શ્રદ્ધાપૂર્વક સ્વયંસેવકોને સોંપી હતી. આયોજકોનું માનવું છે કે રાખડીઓ સાથે પ્લાસ્ટિક અને અન્ય સામગ્રી નદીમાં જવાથી જળચર સૃષ્ટિ પર પ્રતિકૂળ અસર થઈ શકે છે. આથી નદીની સ્વચ્છતા જાળવવા સામૂહિક જવાબદારી સાથે આ પહેલ કરવામાં આવી હતી.
અભિયાન સાથે જોડાયેલા વાલી નીલમકુમાર દલસાણીયાના જણાવ્યા મુજબ, તાપી નદીનું ધાર્મિક અને સામાજિક મહત્વ વિશેષ છે. નદી પ્રત્યેની આસ્થા જળવાઈ રહે અને પર્યાવરણને નુકસાન પણ ન થાય તે હેતુથી બ્રિજ પર રાખડીઓ એકત્ર કરવાનો નિર્ણય લેવાયો હતો.
ટીમના જણાવ્યા મુજબ એકત્રિત થયેલી રાખડીઓનો નદી કે ખુલ્લી જગ્યામાં નિકાલ કરવાને બદલે વૈદિક પદ્ધતિથી માટીમાં વિસર્જન કરી પર્યાવરણને અનુકૂળ રીતે નિકાલ કરવામાં આવશે. પ્રથમ પ્રયાસને મળેલા પ્રતિસાદ બાદ આગામી વર્ષોમાં આ અભિયાનને વધુ મોટા પાયે અને સુવ્યવસ્થિત રીતે ચલાવવાનો નિર્ધાર પણ વ્યક્ત કરવામાં આવ્યો છે.





