ઈલાહાબાદ હાઈકોર્ટે મથુરાના શાહી ઈદગાહ સંકુલના ASI સર્વેને મંજૂરી આપી

Share this story

ઈલાહાબાદ હાઈકોર્ટે મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ મંદિરની બાજુમાં આવેલા શાહી ઈદગાહ સંકુલના ASI સર્વેને મંજૂરી આપી છે. શાહી ઇદગાહ સંકુલના સર્વે માટે કોર્ટની દેખરેખ હેઠળ એડવોકેટ કમિશનરની નિમણૂક કરવાની માગણી કોર્ટે સ્વીકારી છે.

મથુરાની શાહી ઈદગાહ મસ્જિદના મુદ્દે અલ્હાબાદ હાઈકોર્ટનો મોટો નિર્ણય આવ્યો છે જેમાં મથુરાની શાહી ઇદગાહ મસ્જિદ પર ASI સર્વેને મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત હાઇકોર્ટે સર્વેની મંજુરી સાથે ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરવા પણ જણાવ્યું છે. ASI સર્વેની માંગણી કરતી અરજી કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. મથુરામાં શ્રી કૃષ્ણના જન્મસ્થળને અડીને આવેલી મસ્જિદમાં એડવોકેટ પાસેથી સર્વે કરાવવાની માંગણી કરવા માટે 18 અલગ-અલગ અરજીઓ દાખલ કરવામાં આવી હતી. અલાહાબાદ હાઈકોર્ટે એક સાથે સુનાવણી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે અલ્હાબાદ હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું હતું કે મસ્જિદના સ્તંભના પાયામાં હિન્દુ ધર્મનું પ્રતીક છે જે મંદિરની કોતરણીમાં સ્પષ્ટ દેખાય છે.