AAPના સાંસદ રાઘવ ચઢ્ઢાને સુપ્રીમ કોર્ટે શું કહ્યું, ઉપરાષ્ટ્રપતિથી માફી માંગો… જાણો કેમ

Share this story

સુપ્રીમ કોર્ટે આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢાને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરની માફી માંગવા કહ્યું છે. વાત જાણે એમ છે કે, સર્વોચ્ચ અદાલતે કહ્યું કે, તમારે ગૃહમાં કથિત રીતે વિક્ષેપ ઊભો કરવા બદલ અધ્યક્ષની બિનશરતી માફી માંગવી જોઈએ. કોર્ટે કહ્યું કે, અધ્યક્ષ તમારા મુદ્દા પર વિચાર કરશે અને તેનું સમાધાન પણ કરશે. નોંધનીય છે કે,ગૃહમાં હોબાળો કરવા બદલ અધ્યક્ષ ધનખરે ચઢ્ઢાને સસ્પેન્ડ કરી દીધા હતા.

ચઢ્ઢા પ્રથમ વખત સાંસદ અને રાજ્યસભાના યુવા સભ્ય છે. અધ્યક્ષ તેમની માફી પર ગંભીરતાથી વિચાર કરશે. સુપ્રીમ કોર્ટના આ સૂચન પર એટર્ની જનરલ વેંકટસ્વામીએ કહ્યું કે, મામલો ગૃહનો હોવાથી ચઢ્ઢાએ રાજ્યસભામાં જ માફી માંગવી પડશે. તેના પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમને લાગે છે કે, આ મામલો સૌહાર્દપૂર્ણ રીતે ઉકેલવામાં આવશે.

ઓગસ્ટમાં રાજ્યસભાના અધ્યક્ષે રાઘવને ૫ સાંસદોની મંજૂરી વગર સિલેક્ટ કમિટીમાં તેમના નામનો પ્રસ્તાવ મૂકવા બદલ સસ્પેન્ડ કરી દીધા હતા. આ સિવાય રાજ્યસભાએ આ મામલો સંસદની વિશેષાધિકાર સમિતિને મોકલી દીધો છે, જ્યાં તેની સુનાવણી થવાની બાકી છે.

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે સુનાવણી દરમિયાન કહ્યું કે, ચઢ્ઢા અધ્યક્ષ સમક્ષ હાજર થઈ શકે છે અને બિનશરતી માફી માંગી શકે છે. એમ સમજીને કે, અરજદારનો ગૃહનું અપમાન કરવાનો કોઈ ઈરાદો નહોતો. ચઢ્ઢા અધ્યક્ષને મળવા માટે સમય કાઢીને માફી માંગી શકે છે. કોર્ટે આ કેસની આગામી સુનાવણી દિવાળીની રજાઓ બાદ કરવા જણાવ્યું છે. આ દરમિયાન તેઓ કેસની પ્રગતિની સમીક્ષા કરશે.

આ પણ વાંચો :-