વરસાદમાં બાળકોને સાચવીને રાખો ! સુરતના જોળવા ગામમાં વીજળી પડતાં એકનું મોત, એક ઈજાગ્રસ્ત

Share this story
  • સુરતના જોળવા ગામમાં મકાનની છત પર વીજળી પડતાં એક બાળકનું મોત નિપજ્યું છે. જ્યારે એક બાળકી ઈજાગ્રસ્ત થઈ છે.

ગુજરાતમાં જામેલા વરસાદી માહોલ વચ્ચે સુરતમાંથી એક દુઃખદ સમચાર આવ્યા છે. સુરતના જોળવા ગામે વીજળી પડતા એક બાળકનું મોત નિપજ્યું છે. જ્યારે એક બાળકી ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. વીજળી પડતા બાળકનું મૃત્યુ નિપજતા પરિવારમાં માતમ છવાયો છે.

ઘટનાની વિગત એવી છે કે એક બાજુ આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી રહી છે. ત્યારે બાજી બાજુ વીજળી પડતા વધુ એકનું મોત નિપજ્યું છે. સુરતના જોળવા ગામમાં આવેલી નક્ષત્ર સોસાયટીના મકાનની છત પર બે બાળકો રમી રહ્યા હતા.

આ દરમિયાન કાળ બનીને વીજળી ત્રાટકી હતી. ઘરની છત પર વીજળી પડતાં એક બાળકનું મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે અન્ય એક બાળકી ઈજાગ્રસ્ત થઈ હતી. જે બાદ તેઓ તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં.

બાળકના મૃત્યુની ઘટના સહન નહીં કરી શકતા માતા મૃત અવસ્થામાં રહેલા બાળકને ભેટીને ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી. જેના કારણે હોસ્પિટલનો માહોલ પણ ગમગીન થઈ ગયો હતો. હાલ સુરતની હોસ્પિટલમાં ઈજાગ્રસ્ત બાળકીની સારવાર ચાલી રહી છે.

આપને જણાવી દઈએ કે ગઈકાલે ઝાલાવાડમાં વરસાદી માહોલ છવાતા સાયલા તાલુકાના ત્રણ ગામોમાં વીજળી ત્રાટકી હતી. જેમાં એક કિશોર અને એક યુવકનું મૃત્યુ નિપજ્યું હતું. સાયલાના ધમરાળા ગામના ખેતરમાં વીજળી પડતા ૧૩ વર્ષના કિશોરનું મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે નવાગામ (બાવળીયા) ગામે ખેતરમાં વીજળી પડતા ચેતન રઘુભાઈ ચૌહાણ (ઉં.વ.૩૩)નું મૃત્યુ નિપજ્યું હતું.

આ પણ વાંચો :-