Monday, Aug 3, 2026

માંજલપુરમાં ફરી ખીલ્યું કમળ: સતીશ પટેલે 30 હજારથી વધુ મતોથી નોંધાવી ભવ્ય જીત, ભાજપે ગઢ અખંડ રાખ્યો

2 Min Read

વડોદરાની રાજકીય રીતે અત્યંત મહત્વપૂર્ણ માનાતી માંજલપુર વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ફરી એકવાર પોતાનું પ્રભુત્વ સાબિત કર્યું છે. સ્વર્ગસ્થ ધારાસભ્ય યોગેશ પટેલના નિધન બાદ ખાલી પડેલી આ બેઠક પર ભાજપના ઉમેદવાર સતીશ પટેલે કોંગ્રેસના ભીખાભાઈ રબારીને 30,499થી વધુ મતોથી હરાવી વિજય મેળવ્યો છે. આ પરિણામ સાથે ભાજપે પોતાના મજબૂત ગઢને યથાવત રાખ્યો છે અને આગામી વિધાનસભા ચૂંટણી પહેલાં મહત્વપૂર્ણ રાજકીય સંદેશ આપ્યો છે.

જોકે આ ચૂંટણીમાં મતદાન માત્ર 37.5 ટકા નોંધાયું હતું, જે સામાન્ય વિધાનસભા ચૂંટણીની સરખામણીએ નોંધપાત્ર રીતે ઓછું રહ્યું. રાજકીય વિશ્લેષકોના મતે વરસાદ, પેટાચૂંટણી પ્રત્યે મતદારોની મર્યાદિત રસ અને ખાસ કરીને યુવા મતદાતાઓની ઓછી ભાગીદારી તેના મુખ્ય કારણો રહ્યા. ચૂંટણી દરમિયાન કેટલાક વિસ્તારોમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે તણાવની ઘટનાઓ પણ સામે આવી હતી.

આ બેઠક પર કોંગ્રેસે પોતાના વરિષ્ઠ નેતા ભીખાભાઈ રબારીને મેદાનમાં ઉતાર્યા હતા, જ્યારે ભાજપે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સતીશ પટેલ પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. યોગેશ પટેલના અવસાન બાદ યોજાયેલી આ પેટાચૂંટણીને 2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં રાજકીય પક્ષોની તાકાત અને મતદારોના વલણનો મહત્વપૂર્ણ સંકેત માનવામાં આવી રહી હતી. પરિણામે સ્પષ્ટ કર્યું છે કે માંજલપુરમાં ભાજપનો આધાર હજુ પણ મજબૂત છે, જોકે ઓછું મતદાન બંને મુખ્ય પક્ષો માટે વિચારવાનો વિષય બની શકે છે.

Share This Article