Home Blog Page 44

WhatsApp પર આવ્યું નવું યુઝરનેમ ફિચર: હવે નંબર આપ્યા વિના પણ કરી શકશો વાતચીત!

0

વિશ્વની સૌથી લોકપ્રિય ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsApp પોતાના યુઝર્સ માટે વધુ એક મહત્વપૂર્ણ પ્રાઇવસી અપડેટ લાવવા જઈ રહી છે. કંપની ટૂંક સમયમાં Username Feature રજૂ કરવાની તૈયારીમાં છે, જેના કારણે હવે કોઈ વ્યક્તિ સાથે વાતચીત કરવા માટે મોબાઇલ નંબર શેર કરવાની જરૂર નહીં રહે. આ નવું ફીચર લાખો યુઝર્સ માટે પ્રાઇવસી અને સુરક્ષાની દૃષ્ટિએ મોટું પગલું માનવામાં આવી રહ્યું છે.

હાલમાં WhatsApp પર કોઈ નવા વ્યક્તિ સાથે ચેટ શરૂ કરવા માટે તેનો મોબાઇલ નંબર સેવ કરવો ફરજિયાત છે. પરંતુ નવા Username ફીચર આવ્યા બાદ દરેક યુઝર પોતાનું એક અનન્ય (Unique) યુઝરનેમ બનાવી શકશે. ત્યારબાદ અન્ય લોકો તે યુઝરનેમ દ્વારા જ તેમને શોધી શકશે અને ચેટ શરૂ કરી શકશે. આ પ્રક્રિયામાં મોબાઇલ નંબર સંપૂર્ણપણે ખાનગી રહેશે.

કેવી રીતે કામ કરશે નવું ફીચર?
નવા અપડેટ બાદ WhatsAppની Settingsમાં Username પસંદ કરવાનો વિકલ્પ મળશે. યુઝર પોતાની પસંદગીનું એક અનન્ય નામ પસંદ કરી શકશે. જો પસંદ કરાયેલું નામ પહેલેથી કોઈ અન્ય વ્યક્તિ દ્વારા લેવામાં આવ્યું હશે, તો WhatsApp બીજું નામ પસંદ કરવા માટે સૂચન કરશે.

એકવાર Username સેટ થઈ જાય પછી, અન્ય લોકો માત્ર તે Username દ્વારા જ તમને શોધી શકશે. એટલે કે, દરેક વખત મોબાઇલ નંબર આપવાની જરૂર નહીં રહે. ખાસ કરીને અજાણ્યા લોકો, નવા ક્લાયન્ટ્સ અથવા બિઝનેસ કોન્ટેક્ટ્સ સાથે જોડાવા માટે આ સુવિધા ખૂબ ઉપયોગી સાબિત થશે.

પ્રાઇવસી થશે વધુ મજબૂત
WhatsAppના આ નવા ફીચરનો સૌથી મોટો ફાયદો પ્રાઇવસી છે. અત્યાર સુધી કોઈ વ્યક્તિ સાથે વાતચીત કરવા માટે પોતાનો નંબર આપવો પડતો હતો, જેના કારણે ઘણી વખત અનિચ્છનીય કોલ્સ અથવા મેસેજિસ મળવાની શક્યતા રહેતી હતી.

હવે Username દ્વારા ચેટ શરૂ થવાથી મોબાઇલ નંબર જાહેર કરવાની જરૂર નહીં રહે. આ સુવિધા ખાસ કરીને મહિલાઓ, વિદ્યાર્થીઓ, ફ્રીલાન્સર્સ, ઓનલાઇન સેલર્સ, સોશિયલ મીડિયા ક્રિએટર્સ અને બિઝનેસ યુઝર્સ માટે ખૂબ જ ફાયદાકારક બની શકે છે.

Username પસંદ કરવા માટે રહેશે ખાસ નિયમો
WhatsApp દ્વારા Username માટે કેટલાક નિયમો પણ નક્કી કરવામાં આવ્યા છે.

  • દરેક Username અનન્ય (Unique) હોવું જરૂરી રહેશે.
  • Username ની શરૂઆત www. થી કરી શકાશે નહીં.
  • માત્ર અંગ્રેજીના નાના અક્ષરો (a-z), અંકો (0-9), ડોટ (.) અને અન્ડરસ્કોર (_) નો જ ઉપયોગ કરી શકાશે.
  • Username ખૂબ ટૂંકો અથવા ભ્રામક ન હોવો જોઈએ.
  • નિયમોનું ઉલ્લંઘન કરનાર Username મંજૂર કરવામાં આવશે નહીં.

જો કોઈ યુઝર ભવિષ્યમાં પોતાનું Username બદલશે, તો તેના કોન્ટેક્ટ્સને ચેટમાં સિસ્ટમ નોટિફિકેશન જોવા મળશે. આ સુવિધાનો હેતુ ગેરસમજ અટકાવવાનો અને ખોટી ઓળખ સામે સુરક્ષા આપવાનો છે. એટલે કે, કોઈ વ્યક્તિ અચાનક Username બદલી દે તો પણ તેના સંપર્કમાં રહેલા લોકોને તેની જાણ થઈ જશે.

કોના માટે સૌથી વધુ ઉપયોગી?
આ ફીચરનો સૌથી વધુ લાભ એવા લોકોને મળશે, જેઓ દરરોજ નવા લોકો સાથે સંપર્કમાં રહે છે. જેમ કે:

  • બિઝનેસ અને સ્ટાર્ટઅપ ઓનર્સ
  • ફ્રીલાન્સર્સ
  • સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ
  • ઓનલાઇન વેચાણ કરતા વેપારીઓ
  • વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ્સ
  • જાહેર જીવન સાથે જોડાયેલા લોકો

આ તમામ લોકો હવે પોતાનો વ્યક્તિગત મોબાઇલ નંબર જાહેર કર્યા વિના WhatsApp પર સરળતાથી સંપર્ક કરી શકશે.

ક્યારે મળશે આ અપડેટ?
હાલમાં WhatsApp આ ફીચરનું Beta Testing કરી રહ્યું છે. પરીક્ષણ સફળ થયા બાદ આગામી અપડેટ્સમાં Android અને iPhone બંને પ્લેટફોર્મ પર ધીમે-ધીમે તમામ યુઝર્સ માટે આ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. જોકે, કંપનીએ હજુ સુધી તેની સત્તાવાર લોન્ચ તારીખ જાહેર કરી નથી.

રશિયાના યુક્રેન પર હુમલાઃ 12 લોકોના મોત, 40 ઘાયલ

0

સોમવારે યુકેનમાં રશિયન મિસાઈલો અને ડ્રોન દ્વારા વિનાશ મચાવ્યો હતો. જેમાં ૧૨ લોકો માર્યા ગયા અને 40 ઘાયલ થયા. રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ આ હુમલાઓને ભયાનક ગણાવ્યા હતા. રશિયાએ ચાર વર્ષ પહેલા યુકેન પર આક્રમણ શરૂ કર્યું હતું. યુએનના ડેટા અનુસાર, આ યુદ્ધમાં 16,000 થી વધુ યુક્રેનિયન નાગરિકો માર્યા ગયા છે. રશિયા યુકેનના માળખાકીય સુવિધાઓનો નાશ કરવાનું અને લોકોનું મનોબળ ઘટાડવાનું ચાલુ રાખે છે.

રશિયન મિસાઇલોએ ડિનિપ્રો શહેરમાં માળખાગત સુવિધાઓને નિશાન બનાવી હતી. આ હુમલામાં છ લોકો માર્યા ગયા અને ૨૯ ઘાયલ થયા. ઝાપોરિઝિઝયા શહેરમાં રશિયન ડ્રોન એક પેસેન્જર બસ સાથે અથડાયા. જેમાં એક બાળક સહિત ત્રણ લોકો માર્યા ગયા અને છ અન્ય ઘાયલ થયા. સુમી પ્રદેશમાં ડ્રોન હુમલામાં એક વૃદ્ધ મહિલા અને એક પુરુષનું મૌત થયું, ખાર્કિવના મેયરે અહેવાલ આપ્યો કે ત્યાં દિવસના સમયે થયેલા હુમલામાં એક વ્યક્તિનું મોત થયું છે અને પાંચ અન્ય ઘાયલ થયા છે. છ અન્ય યુક્રેનિયન પ્રદેશોમાં પણ જીવલેણ હુમલા થયા છે.

આ રશિયન ડુમલાઓએ આઠ ચુકેનિયન પ્રદેશોમાં વીજ પુરવઠો ખોરવી નાખ્યો છે. તીવ્ર ગરમીને કારણે લોકોને એર કંડિશનરનો ઉપયોગ કરવાની ફરજ પડી છે, જેના કારણે વીજળીની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે. રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ ફરી એકવાર યુરોપને અપીલ કરી છે. તેમણે કહ્યું કે યુરોપે રશિયન બેલિસ્ટિક મિસાઇલોને રોકવા માટે તેના સંરક્ષણ અને મિસાઈલ સિસ્ટમને મજબૂત બનાવવી જોઈએ. તેમણે ભાર મૂક્યો કે લોકોને આ ભયાનક હુમલાઓથી બચાવવા માટે એન્ટિ-બેલિસ્ટિક ક્ષમતાઓની તાત્કાલિક જરૂર છે.

છેલ્લા કેટલાક મહિનામાં યુદ્ધમાં પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. યુકેને રશિયન તેલ સ્થાપનો પર ડ્રોન હુમલાઓ તીવ્ર બનાવ્યા છે. આ હુમલાઓને કારણે રશિયા અને તેના કબજા હેઠળના પ્રદેશોમાં ઇંધણની તીવ્ર અછત સર્જાઈ છે. રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પહેલીવાર સ્વીકાર્યું કે યુકેનના હુમલાઓએ રશિયામાં ઇંધણ સંકટ પેદા કર્યું છે. પેટ્રોલ સ્ટેશનો પર લાંબી કતારો લાગી રહી છે અને લોકોનો ગુસ્સો પ્રબળ છે. આ છતાં, પુતિને સ્પષ્ટપણે હાર માનવાનો ઇનકાર કર્યો છે. તેમણે કહ્યું કે રશિયા આખરે આ યુદ્ધ જીતશે. કેમલિનના પ્રવકતા દિમિત્રી પેસ્કોવે એમ પણ કહ્યું કે રશિયાનો ઉદ્દેશ્ય બદલાયો નથી અને તેની સેના આગળ વધતી રહેશે.

જાતીય શોષણના કેસમાં 5 મિલિયન ડોલરનો ચુકાદો રદ કરવાની ટ્રમ્પની અરજી સુપ્રીમ કોેર્ટે ફગાવી

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને આંચકો આપતાં એક નિર્ણયમાં સુપ્રીમ કોર્ટે મહિલા લેખિકા ઈ. જીન કેરોલના જાતીય શોષણના કેસમાં પાંચ મિલિયન ડોલરનું વળતર આપવાના જ્યુરીના નિર્ણયને ફગાવી દેવાની ટ્રમ્પની અરજીને નકારી કાઢી છે. જ્યુરીએ તેના ચુકાદામાં જણાવ્યું હતું કે, 90ના દાયકામાં મેનહટ્ટનના એક ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં ટ્રમ્પે મહિલા લેખિકા ઈ. જીન કેરોલનું જાતીય શોષણ કર્યું હતું અને બાદમાં તેને બદનામ કરી હતી.

ટ્રમ્પના વકીલોએ દલીલ કરી હતી કે, પાંચ મિલિયન ડોલરનું વળતર આપવાના નિર્ણયમાં પુરાવાના નિયમોનું ઉલ્લંઘન થયું હતું, પરંતુ અદાલતે કોઈ કારણ આપ્યા વિના આ કેસ હાથ ધરવાનો ઇનકાર કર્યો. આ કેસમાં ટ્રમ્પ પર જાતીય શોષણનો આરોપ મુકનાર અન્ય બે મહિલાઓની જુબાનીને પણ પુરાવા તરીકે ગણવામાં આવી હતી, જેની સામે ટ્રમ્પે વાંધો ઉઠાવ્યો હતો.

ટ્રમ્પના વકીલોએ દલીલ કરતાં જણાવ્યું હતું કે,આ કેસમાં ન્યાયાધીશે પુરાવા સંબંધી ફેડરલ નિયમોની અવગણના કરી છે. જોકે આ ચુકાદો ટ્રમ્પ ફરીથી વ્હાઇટ હાઉસમાં સત્તા પર પર આવ્યા તે પહેલાં આવી ગયો હતો, છતાં વકીલોએ તેને રાષ્ટ્રપતિ તરીકેની તેમની વિશિષ્ટ ફરજોમાં વિક્ષેપ સમાન ગણાવ્યો હતો.

અદાલતી દસ્તાવેજોમાં વકીલ જસ્ટિન ડી. સ્મિથે નોંધ્યું હતું કે, એક રાષ્ટ્રપતિ પ્રત્યેના આવા દુર્વ્યવહારને ના ચલાવી લેવાય.ટ્રમ્પની નીતિઓ સાથે સંકળાયેલા સહિતના મહત્વના કેસોમાં અભિપ્રાયો આપી રહેલી સુપ્રીમ કોર્ટનો આ આ નિર્ણય અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ માટે વધુ એક ફટકા સમાન બની રહેશે. ટ્રમ્પ અગાઉ પણ સુપ્રીમ કોર્ટમાં અન્ય કેસોમાં પોતાની હાર અંગે આક્રોશ વ્યક્ત કરી ચૂક્યાં છે. જેમાં કટોકટીની સત્તાઓ આપતા કાયદા હેઠળ તેમણે લાદેલા વૈશ્વિક ટેરિફને સર્વોચ્ચ અદાલતે ફગાવ્યો ત્યારે કરવામાં આવેલી અસાધારણ અને વ્યક્તિગત ટીકાનો સમાવેશ થાય છે.

ફેડ રિઝર્વના ગવર્નર લીઝા કૂકની હકાલપટ્ટી અટકી
સુપ્રીમ કોર્ટે સોમવારે રાષ્ટ્રપ્રમુખની સત્તાનો વ્યાપ વધારતા, સ્વતંત્ર સરકારી એજન્સીઓના વડાઓને બરતરફ કરવાના ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયને લીલી ઝંડી આપી છે. જોકે સુપ્રીમે અપવાદ રૂપે ફેડરલ રિઝર્વના ગવર્નર લીઝા કૂકને હાંકી કાઢવાના નિર્ણયને હાલ પૂરતો મોકૂફ રાખ્યો છે. દેશની મધ્યસ્થ બેન્ક સિવાય તમામ સંસ્થાઓના વડાઓને પદ પરથી હાંકી કાઢવા માટે રાષ્ટ્રપ્રમુખને સંપૂર્ણ સત્તા હોવાનું સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું.

પંજાબ કિંગ્સના ક્રિકેટર સામે FIR, નિવૃત IPS પિતા પણ આરોપી બન્યા, જાણો શું છે કેસ?

0

IPLમાં પંજાબ કિંગ્સ તરફથી રમતા ક્રિકેટર શશાંક સિંહ અને તેમના નિવૃત્ત IPS અધિકારી પિતા શૈલેષ સિંહ વિરુદ્ધ ભોપાલમાં FIR દાખલ કરવામાં આવી છે. આરોપ છે કે તેઓએ તેમના ઘરના રસોઈયા સાથે મારપીટ કરી, અપશબ્દો બોલ્યા અને કામ કરાવવા દબાણ કર્યું. ફરિયાદના આધારે પોલીસે કેસ નોંધ્યો છે અને તપાસ શરૂ કરી છે.

આ કેસ ભોપાલના રાતિબડ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે, જ્યાં પીડિત રસોઈયા વિપેન્દ્ર સિંહે ફરિયાદ નોંધાવી છે. પીડિતનો આરોપ છે કે શશાંક સિંહ, તેના પિતા શૈલેષ સિંહ અને તેમના ડ્રાઇવર મિશ્રાએ તેમના પર હુમલો કર્યો અને અપશબ્દોનો ઉપયોગ કર્યો. વિપેન્દ્ર સિંહનો દાવો છે કે તેમને નોકરીના બહાને ભોપાલ બોલાવવામાં આવ્યો હતો.

વિપેન્દ્ર સિંહે દાવો કર્યો હતો કે તેમને રેવાથી ભોપાલ બોલાવવામાં આવ્યો હતો. તેમને એક પરિચિત દ્વારા કહેવામાં આવ્યું હતું કે તેમને શૈલેષ સિંહના ઘરે રસોઈયા તરીકે નોકરી આપવામાં આવશે અને ભવિષ્યમાં તેમને સરકારી નોકરીમાં મદદ કરવામાં આવશે. તેમને દર મહિને 15,000 રૂપિયા પગાર, રહેવા અને ખાવાનુ આપવાનું વચન આપવામાં આવ્યું હતું.

પીડિતના જણાવ્યા મુજબ, કામ શરૂ કર્યાના કલાકોમાં જ તેને સતત કામનું દબાણ આપવામાં આવતું હતું. તેણે જણાવ્યું હતું કે ઘરમાં પહેલેથી જ કામ કરતા રસોઈયા સાથે પણ દુર્વ્યવહાર કરવામાં આવી રહ્યો હતો. જ્યારે તેણે નોકરી છોડવાનું કહ્યું તો તેને ધમકી આપવામાં આવી અને પૂછવામાં આવ્યું, “જો તમે કામ કરવા માંગતા નથી તો તમે અહીં કેમ આવ્યા?”

વિપેન્દ્ર સિંહે આરોપ લગાવ્યો કે તેનો મોબાઇલ ફોન છીનવી લેવામાં આવ્યો અને તેને કામ કરવા માટે દબાણ કરવામાં આવ્યું. ડરના કારણે તેણે પોતાને એક રૂમમાં બંધ કરી દીધો, પરંતુ તેમ છતાં, એવો આરોપ છે કે શૈલેષ સિંહ, શશાંક સિંહ અને ડ્રાઇવરે તેના પર હુમલો કર્યો. પીડિતાના શરીર અને ચહેરા પર પણ ઇજાઓ થઈ હતી.

પોલીસે આ કલમો હેઠળ કેસ નોંધ્યો છે.
પોલીસે શૈલેષ સિંહ, શશાંક સિંહ અને અન્ય એક વ્યક્તિ સામે ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 296(b), 115(2), અને 3(5) હેઠળ કેસ નોંધ્યો છે. પોલીસનું કહેવું છે કે તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે અને તપાસના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.

સુરતમાં છેલ્લા 24 કલાકમાં 2.25 ઇંચ વરસાદ ખાબક્યો, અમરોલી સહિતના વિસ્તારોમાં પાણી જળબંબાકાર

સુરત શહેર અને સમગ્ર જિલ્લામાં મોડી રાત્રથી જ ભારે પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે પ્રથમ વરસાદમાં જ વહીવટી તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખૂલી ગઈ છે. ગરમી અને બફારાથી પ્રાહિમામ પોકારી ઉઠેલા સુરત શહેર તેમજ સુરત જિલ્લામાં ગત મોડી રાતથી મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું છે. આજે મંગળવારે સવારે પણ સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો.

ગરમીથી રાહત, ખેડૂતોમાં ખુશીનો માહોલ
મોડી રાતથી ગાજવીજ સાથે શરૂ થયેલો વરસાદ સવાર સુધી યથાવત રહ્યો હતો, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી અને શહેરીજનોને ગરમીથી મોટી રાહત મળી છે. સવારના સમયે પણ વરસાદી માહોલ રહેતા નોકરી-ધંધે અને સ્કૂલ-કોલેજ જતા લોકોને છત્રી તથા રેઈનકોટ પહેરીને જવાની ફરજ પડી હતી. આખરે સુરત જિલ્લામાં વરસાદનું આગમન થતાં જગતના તાત ગણાતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

ચાર કલાકમાં સરેરાશ 2 ઈંચ વરસાદ
સુરત શહેરમાં સવારે 6 થી 10 વાગ્યા સુધીમાં 2 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. જેના પગલે શહેરમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. લિંબાયત ગરનાળામાં પાણી ભરાઈ ગયા, જેને લઈને અહીંથી પસાર થતા વાહનચાલકો અને સ્થાનિકોને ભારે હાલાકી પડી હતી. આ ગરનાળું અવરજવર માટે બંધ થયું હતું.

સુરત શહેર51 mm
કામરેજ36 mm
ઓલપાડ 34 mm
માંગરોળ 30 mm
ચોર્યાસી 26 mm
ઉમરપાડા 10 mm
અરેઠ 8 mm
બારડોલી 4 mm

શહેરની સાથોસાથ સુરત ગ્રામ્ય અને જિલ્લાના વિસ્તારો જેવા કે કોસંબા, કીમ, કામરેજ અને કડોદરામાં પણ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. કડોદરા નગરપાલિકા દ્વારા ચોમાસા પહેલાં કરવામાં આવતી પ્રિ-મોન્સૂન સફાઈ અને ડ્રેનેજ કામગીરી માત્ર એક જ વરસાદમાં ધોવાઈ ગઈ છે. કડોદરાની શ્રીનિવાસ સોસાયટીમાં પાણીનો યોગ્ય નિકાલ ન થવાને કારણે ગટર અને વરસાદી પાણી ભેગા થઈને રસ્તાઓ તેમજ નીચાણવાળા ઘરોમાં ભરાઈ ગયા છે. આ વિસ્તારમાં 10 હજારથી વધુ લોકોનો વસવાટ હોવાથી સવારના સમયે નોકરી પર જતાં શ્રમિકો અને સ્કૂલે જતાં બાળકો પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે, જેથી સ્થાનિકોમાં પાલિકાની ઘોર બેદરકારી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

છેલ્લા 24 કલાકના આંકડા પર નજર કરીએ તો, સુરત શહેર બાદ તાપીના વાલોડમાં બે ઈંચ, જ્યારે સુરતના માંગરોળ અને કામરેજમાં પોણા બે ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત પલસાણામાં દોઢ ઈંચ અને અરેઠમાં સવા ઈંચ વરસાદ પડ્યો છે. વલસાડ જિલ્લાના ઉમરગામ અને નાનાપોંઢામાં એક-એક ઈંચ, જ્યારે તાપીના કુકરમુડા, બોટાદના રાણપુર, નવસારીના ચીખલી અને વલસાડના પારડીમાં પોણો ઈંચ વરસાદ નોંધાયો છે. કપરાડા અને વલસાડ શહેરમાં પણ અડધો ઈંચ વરસાદ પડ્યો છે.

બંગાળના હલ્દિયા રિફાઇનરીમાં બ્લાસ્ટ, 20 લોકો ઈજાગ્રસ્ત

0

પશ્ચિમ બંગાળના પૂર્વ મેદીનીપુર જિલ્લાના હલ્દિયા વિસ્તારમાં આવેલી હલ્દિયા પેટ્રોકેમિકલ્સ રિફાઇનરીમાં મંગળવારે વહેલી સવારે ભયાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. નાફ્થા સપ્લાય પાઇપલાઇનમાં થયેલા જોરદાર વિસ્ફોટ બાદ આખા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં અંદાજે 20 લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે, જેમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.

માહિતી મુજબ, સવારે લગભગ 4 વાગ્યે હલ્દિયા પેટ્રોકેમિકલ્સની નાફ્થા પાઇપલાઇનમાં અચાનક વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ બાદ આગ ઝડપથી ફેલાઈ અને હલ્દિયા નગરપાલિકાના વોર્ડ નંબર 13 હેઠળ આવેલા ચિરંજીબપુર વિસ્તાર સુધી પહોંચી ગઈ. આગની જ્વાળાઓ અને ધડાકાના અવાજથી સ્થાનિક લોકોમાં ભારે દહેશત ફેલાઈ હતી.

સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ, પાઇપલાઇનમાંથી જોરદાર અવાજ આવ્યા બાદ થોડા જ મિનિટોમાં આસપાસના અનેક મકાનોમાં આગ ફાટી નીકળી હતી. આગ એટલી ભયંકર હતી કે લોકો જીવ બચાવવા ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા.

ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની 12 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવા માટે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. બચાવ દળે ઘાયલોને બહાર કાઢીને હલ્દિયા મહકમા હોસ્પિટલમાં ખસેડ્યા હતા. ગંભીર રીતે દાઝેલા પાંચ લોકોને વધુ સારવાર માટે તમલુક મેડિકલ કોલેજમાં રિફર કરવામાં આવ્યા છે.

હલ્દિયાના ધારાસભ્ય પ્રદીપ બિજલી પણ હોસ્પિટલ પહોંચ્યા હતા અને ઘાયલોની મુલાકાત લીધી હતી. તેમણે પ્રાથમિક આશંકા વ્યક્ત કરી કે પાઇપલાઇનમાંથી નાફ્થા ગેસ લીકેજ થવાને કારણે વિસ્ફોટ થયો હોઈ શકે છે. જોકે લીકેજનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી.

હલ્દિયા પેટ્રોકેમિકલ્સ મેનેજમેન્ટે નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે અને હાલમાં કર્મચારીઓ તથા અસરગ્રસ્ત લોકોની સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા છે.

આ દુર્ઘટનાનો અસર રેલવે સેવાઓ પર પણ પડી છે. વિસ્ફોટ નજીકથી પસાર થતા હલ્દિયા-પાંશકુડા રેલ માર્ગની ઓવરહેડ વીજ લાઇન અને ટ્રાન્સફોર્મર આગમાં બળી ગયા છે. સાથે જ રેલવે ટ્રેકનો એક ભાગ પણ નુકસાનગ્રસ્ત થયો છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને હલ્દિયાથી હાવડા જતી મુસાફર ટ્રેનને તાત્કાલિક અસરથી રોકી દેવામાં આવી છે.

સુરતમાં નર્સનો આપઘાત: હોસ્પિટલના રૂમમાં ગળેફાંસો ખાધો, પ્રેમપ્રકરણની આશંકા

0

સુરતના પરવટ પાટીયા વિસ્તારમાં આવેલી ખંડેલવાલ ઓર્થોપેડિક હોસ્પિટલમાં ફરજ બજાવતી 24 વર્ષીય નર્સે હોસ્પિટલ કેમ્પસમાં આવેલા પોતાના રૂમમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના સામે આવી છે. આ બનાવ બાદ હોસ્પિટલ સ્ટાફ અને તબીબી ક્ષેત્રમાં ભારે ચકચાર મચી ગઈ છે.

છોટાઉદેપુરની યુવતી સુરતમાં કરતી હતી ઇન્ટર્નશિપ
મૃતક યુવતીની ઓળખ મંજુલા પારુભાઈ રાઠવા તરીકે થઈ છે, જે મૂળ છોટાઉદેપુર જિલ્લાની રહેવાસી હતી. તે ભરૂચમાં નર્સિંગનો અભ્યાસ કરતી હતી અને છેલ્લા બે મહિનાથી સુરતની ખંડેલવાલ ઓર્થોપેડિક હોસ્પિટલમાં નર્સ તરીકે ઇન્ટર્નશિપ કરી રહી હતી. હોસ્પિટલ દ્વારા તેને કેમ્પસમાં રહેવા માટે રૂમ પણ ફાળવવામાં આવ્યો હતો.

સહકર્મી નર્સે સવારે જોયો મૃતદેહ
પ્રાથમિક માહિતી મુજબ, મંજુલાએ રાત્રિના સમયે પોતાના રૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધી આપઘાત કર્યો હતો. વહેલી સવારે બાજુના રૂમમાં રહેતી એક સહકર્મી નર્સ વોશરૂમ જવા માટે ઊઠી ત્યારે તેની નજર મંજુલાના લટકતા મૃતદેહ પર પડી હતી. આ દૃશ્ય જોઈ તે ગભરાઈ ગઈ અને અન્ય સ્ટાફને જાણ કરી હતી.

પોલીસ તપાસમાં પ્રેમપ્રકરણનો એંગલ
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં કોઈ વ્યક્તિગત અથવા પ્રેમપ્રકરણ સંબંધિત કારણસર યુવતીએ આ પગલું ભર્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, પોલીસ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ કરી રહી છે.

પરિવારમાં શોકનો માહોલ
ઘટનાની જાણ થતા જ મૃતકના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. અચાનક મળેલી આ દુઃખદ ખબરથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. સમગ્ર ઘટનાને લઈને હોસ્પિટલ સ્ટાફ અને મૃતકના પરિવારજનોમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.

આસામમાં કરુણ ટ્રેન અકસ્માત: ટ્રેક પર કામ કરતા 4 મજૂરોને માલગાડીએ કચડ્યા, 2ના મોત

0

આસામના જોગીઘોપા સ્થિત નરનારાયણ સેતુ પર સોમવારે એક ભયાનક રેલવે અકસ્માત સર્જાયો હતો. ટ્રેક પર રેલવેના બાંધકામ અને મેન્ટેનન્સ કામમાં જોડાયેલા ચાર મજૂરોને તેજ ગતિએ આવી રહેલી માલગાડીએ અડફેટે લીધા હતા. આ દુર્ઘટનામાં બે મજૂરોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે અન્ય બે મજૂરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

અકસ્માત બાદ સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ રેલવે અધિકારીઓ, સ્થાનિક પ્રશાસન અને રાહત બચાવ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ઘાયલ મજૂરોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

ટ્રેક પર કામ દરમિયાન બની દુર્ઘટના
મળતી માહિતી મુજબ ચારેય મજૂરો રેલવે ટ્રેક પર બાંધકામ અને જાળવણી સંબંધિત કામ માટે જઈ રહ્યા હતા. આ દરમિયાન ટ્રેક પર ટ્રેનોની અવરજવર ચાલી રહી હતી. કહેવાય છે કે આ જ સમયે એક માલગાડી ઝડપથી આવી અને મજૂરો તેની ચપેટમાં આવી ગયા.

માલગાડીની ટક્કર એટલી જોરદાર હતી કે બે મજૂરોને બચવાનો પણ સમય મળ્યો નહોતો અને તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. જ્યારે અન્ય બે મજૂરો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

સુરક્ષા વ્યવસ્થા સામે ઉઠ્યા સવાલો
આ દુર્ઘટના બાદ રેલવેની સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. તપાસમાં એ જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે ટ્રેક પર કામ કરતા મજૂરોને ટ્રેનની આવન-જાવનની અગાઉથી જાણ કરવામાં આવી હતી કે નહીં.

સાથે જ એ પણ તપાસ કરવામાં આવી રહી છે કે કામ દરમિયાન જરૂરી સુરક્ષા નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું કે નહીં. રેલવે અધિકારીઓએ ઘટનાની તપાસ શરૂ કરી છે અને જવાબદારો સામે કાર્યવાહી કરવાની વાત કરી છે.

સ્થાનિક લોકોએ શરૂ કરી રાહત કામગીરી
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ ઘટના અચાનક બની હતી અને મજૂરોને પોતાની જાતને બચાવવાનો મોકો મળ્યો નહોતો. અકસ્માત બાદ સ્થાનિક લોકોએ તરત જ મદદ શરૂ કરી હતી અને ઘાયલોને ટ્રેક પરથી બહાર કાઢીને હોસ્પિટલ પહોંચાડવામાં મદદ કરી હતી. ત્યારબાદ રેલવે સુરક્ષા દળ અને પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્થિતિ કાબૂમાં લીધી હતી.

ઘાયલોની સારવાર ચાલુ
રેલવે પ્રશાસને મૃતક મજૂરોના પરિવારજનો પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યું છે અને ઘાયલ મજૂરોની સારી સારવાર માટે જરૂરી વ્યવસ્થા કરવાની ખાતરી આપી છે. અધિકારીઓનું કહેવું છે કે તપાસ રિપોર્ટ આવ્યા બાદ જો કોઈ સ્તરે બેદરકારી સામે આવશે તો જવાબદાર લોકો સામે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

હાલમાં આ અકસ્માતે રેલવે ટ્રેક પર કામ કરતા કર્મચારીઓની સુરક્ષા વ્યવસ્થા પર ફરી એકવાર સવાલો ઊભા કર્યા છે. રેલવે વિભાગ સમગ્ર મામલાની વિગતવાર તપાસ કરી રહ્યું છે જેથી અકસ્માતનું સાચું કારણ બહાર આવી શકે અને ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકી શકાય.

ડાંગના વિદ્યાર્થીની અદભુત સિદ્ધિ: NASAની સુરક્ષા ખામી શોધી ‘હોલ ઓફ ફેમ’માં મેળવ્યું સ્થાન

ડાંગ જિલ્લાના વઘઈ ગામના અને હાલ વલ્લભ વિદ્યાનગર ખાતે અભ્યાસ કરતાં યુવા સાયબર સંશોધક હેત દિસેશ પટેલે યુએસની પ્રખ્યાત અવકાશી સંસ્થા NASAની સિસ્ટમમાં સુરક્ષા ખામી શોધી કાઢી હતી. આથી આ મહત્વપૂર્ણ ખામીની જાણ નાસાને કરી હતી. આથી યુવા સંશોધક હેત પટેલની કુશળતાની કદર કરતા NASA દ્વારા “Letter of Appreciation” એનાયત કર્યો છે.

વલ્લભ વિદ્યાનગરમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થી હેત પટેલ હાલ વલ્લભ વિદ્યાનગર ખાતે અભ્યાસ કરે છે. બી.ટેકના અંતિમ વર્ષમાં અભ્યાસની સાથે સાયબર સુરક્ષા અને એથિકલ હેકિંગ ક્ષેત્રે વિદ્યાર્થીએ આગવી ઓળખ ઉભી કરી છે. હેત પટેલે નાસાના સિસ્ટમમાં ખામીની જાણ કરતા તેને “Letter of Appreciation” સન્માન પ્રાપ્ત થયું છે. ઉપરાંત નાસાએ હોલ ઓફ ફેમમાં પણ તેમના યોગદાનને માન્યતા આપીને સ્થાન આપ્યું છે.

ડાંગ જિલ્લાના હેત પટેલે અગાઉ પણ અમેરિકાની એક કંપની વિન્ડમિલ લેબની સાઈટમાં ગંભીર સુરક્ષા ખામી શોધી કાઢી હતી. આથી કંપનીએ તેને 1 હજાર ડોલરનું ઇનામ એનાયત કર્યું હતું. ડાંગ જેવા આદિવાસી અને ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા વિદ્યાર્થીની અનોખી સિદ્ધિની પગલે ડાંગ અને પરિવારમાં ખુશીનો માહોલ છે.

સામાજિક અને શૈક્ષણિક આગેવાનો દ્વારા અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે. વિધાર્થીના પિતાએ જણાવ્યું કે, હાલ પુત્રની સિદ્ધિ બદલ તેની કોલેજના પ્રિન્સિપાલે પણ શુભેચ્છાઓ પાઠવી છે. તેમજ લોકો પુત્રના ઉજ્જવળ ભવિષ્ય અંગે શુભકામનાઓ પાઠવી રહ્યા છે. ડાંગના વિદ્યાર્થીને મળેલી અદ્ભુત સિદ્ધિ બદલ ડાંગનું જ નહીં પરંતુ ગુજરાતનું નામ રોશન થયું છે

Pune: 65 વર્ષના નરાધમને ફાંસીએ ચડાવાશે! ફક્ત 60 દિવસમાં જ લેવાયો નિર્ણય

0

પૂણેના ભોર તાલુકામાં આવેલ નસરાપુરમાં સાડા ત્રણ વર્ષની બાળકી પર અત્યાચાર થયો હતો. એ કેસે આખા દેશમાં ચકચાર મચાવી હતી. આ કેસમાં દોષી ઠરેલા ભીમરાવ કાંબળેને પૂનાની વિશેષ કોર્ટે હવે ફાંસીની સજા સંભળાવી છે. કુમળી દીકરી પર થયેલ અત્યાચાર બાદ પરિવાર હચમચી ગયો હતો. હવે જ્યારે એને મૃત્યુદંડની સજા સંભળવવામાં આવી છે ત્યારે પરિવારની આંખોમાં અશ્રુઓ આવી ગયા હતા. આજે સોમવારે 65 વર્ષીય નરાધમને મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવી છે. ‘હવે ફાંસી પર ચઢો’ એમ ન્યાયાધીશે કહ્યું ત્યાં જ હાજર સૌ હચમચી ગયા હતા.

મહારાષ્ટ્રમાં જ નહીં, આખા દેશમાં ચકચાર મચાવનાર આ કેસનો ચુકાદો આવતાં જ પીડિતોના પરિવારો રડી પડ્યા. આજે ચુકાદો સંભળાવતી વેળાએ ન્યાયમૂર્તિ સાલુંખેએ જણાવ્યું હતું કે રેકોર્ડ પરના પુરાવા ફરિયાદી પક્ષે મૂકેલા આરોપો તદ્દન સાચા હતા અને તે ભીમરાવ કાંબળેને સંપૂર્ણરીતે દોષિત ઠેરવતા હતા. આરોપીના ગુનાહિત રેકોર્ડનો ઉલ્લેખ પણ કોર્ટે કર્યો હતો. કોર્ટે કહ્યું કે આ કેસ હત્યા અને બળાત્કાર જેવા અતિશય ગંભીર ગુના સાથે જોડાયેલો છે. આરોપીનો અગાઉનો ગુનાહિત રેકોર્ડ છે અને તેની સામે ગંભીર હુમલાના કેસોનો તો લાંબોલચક ઇતિહાસ છે. કોર્ટે 1 મેના રોજ ગુનો થયાના માત્ર 60 દિવસ પછી 25 જૂને આરોપીને દોષિત ઠેરવ્યો હતો.

આ કેસે તો સમાજના અંતરાત્માને હચમચાવી દીધો છે
આ કેસમાં ફરિયાદી પક્ષે કહ્યું હતું કે આરોપી ભીમરાવ કાંબળેએ નસરાપુરમાં ત્રણ વર્ષની બાળકીને સ્નેક્સ અને નવજાત વાછરડું દેખાડવાની લાલચ આપી હતી. ત્યારબાદ તે બાળકીને તબેલા નજીક એક શેડમાં લઈ ગયો અને ત્યાં આ નરાધમે બાળકી પર અત્યાચાર ગુજાર્યો હતો અને બાદમાં તેણે તેનું ગળું કાપીને હત્યા કરી હતી. આવી હેવાનિયતભરી કહાની સાંભળીને ન્યાયતંત્ર પણ હક્કાબક્કા થઈ ગયું હતું. ચુકાદો આપતા ન્યાયાધીશ સાલુંખેએ જણાવ્યું હતું કે આ ગુનો અતિશય ક્રૂરતા અને અમાનવીય રીતે આચરવામાં આવ્યો હતો. પીડિત પણ સાવ નિર્દોષ અને અસહાય બાળકી હતી. આ બાળકીની હત્યા માત્ર તેની વાસના સંતોષવા માટે કરવામાં આવેલ. જે નૈતિક અધઃપતનની પરાકાષ્ઠા દર્શાવે છે. તે સુનિયોજિત અને નિર્દય અપરાધ હતો. તેની નિર્દયતાએ માત્ર ન્યાયતંત્રની જ નહીં પરંતુ સમગ્ર સમાજના અંતરાત્માને હચમચાવી દીધો છે`

આ કેસ અંગે કોર્ટે એમ પણ કહ્યું હતું કે આરોપીની સજા કોઈ રીતે ઓછી થઈ શકે એમ નથી. આરોપીની 65 વર્ષની ઉંમર એ એકમાત્ર પાસું છે તેમ છતાં તેનાથી આરોપીની સજા તો ઘટે એમ નથી જ. ઉપરથી આ કેસમાં તો તેની ઉંમર તે ગુનાને વધુ ગંભીર બનાવે છે.

ફાંસીની સજા પણ ઓછી પડશે
આજે કોર્ટે આરોપીને ફાંસીની સજા તો સંભળાવી છે અને સાથે એમ પણ કહ્યું છે કે પીડિત બાળકી માત્ર ત્રણ વર્ષની હતી. હત્યા પછી પણ ભીમરાવે બાળકી પર અત્યાચાર શરૂ જ રાખ્યા હતા. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ જાતીય હુમલાની પુષ્ટિ થઈ છે. બાળકી જીવતી રહે એવો કોઈ વિકલ્પ તેણે બાકી રાખ્યો નહોતો. આરોપીને આજીવન કેદની સજા તો શું મૃત્યુદંડની સજા પણ ઓછી પડશે. આ પહેલા આ પરિવારની 53 વર્ષીય યુવતી પર બળાત્કાર કરવામાં આવ્યો હતો અને એક વૃદ્ધ મહિલા પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. આ એક દુર્લભ કેસ છે.”