Monday, Jun 29, 2026

સુરતમાં નર્સનો આપઘાત: હોસ્પિટલના રૂમમાં ગળેફાંસો ખાધો, પ્રેમપ્રકરણની આશંકા

2 Min Read

સુરતના પરવટ પાટીયા વિસ્તારમાં આવેલી ખંડેલવાલ ઓર્થોપેડિક હોસ્પિટલમાં ફરજ બજાવતી 24 વર્ષીય નર્સે હોસ્પિટલ કેમ્પસમાં આવેલા પોતાના રૂમમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના સામે આવી છે. આ બનાવ બાદ હોસ્પિટલ સ્ટાફ અને તબીબી ક્ષેત્રમાં ભારે ચકચાર મચી ગઈ છે.

છોટાઉદેપુરની યુવતી સુરતમાં કરતી હતી ઇન્ટર્નશિપ
મૃતક યુવતીની ઓળખ મંજુલા પારુભાઈ રાઠવા તરીકે થઈ છે, જે મૂળ છોટાઉદેપુર જિલ્લાની રહેવાસી હતી. તે ભરૂચમાં નર્સિંગનો અભ્યાસ કરતી હતી અને છેલ્લા બે મહિનાથી સુરતની ખંડેલવાલ ઓર્થોપેડિક હોસ્પિટલમાં નર્સ તરીકે ઇન્ટર્નશિપ કરી રહી હતી. હોસ્પિટલ દ્વારા તેને કેમ્પસમાં રહેવા માટે રૂમ પણ ફાળવવામાં આવ્યો હતો.

સહકર્મી નર્સે સવારે જોયો મૃતદેહ
પ્રાથમિક માહિતી મુજબ, મંજુલાએ રાત્રિના સમયે પોતાના રૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધી આપઘાત કર્યો હતો. વહેલી સવારે બાજુના રૂમમાં રહેતી એક સહકર્મી નર્સ વોશરૂમ જવા માટે ઊઠી ત્યારે તેની નજર મંજુલાના લટકતા મૃતદેહ પર પડી હતી. આ દૃશ્ય જોઈ તે ગભરાઈ ગઈ અને અન્ય સ્ટાફને જાણ કરી હતી.

પોલીસ તપાસમાં પ્રેમપ્રકરણનો એંગલ
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં કોઈ વ્યક્તિગત અથવા પ્રેમપ્રકરણ સંબંધિત કારણસર યુવતીએ આ પગલું ભર્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, પોલીસ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ કરી રહી છે.

પરિવારમાં શોકનો માહોલ
ઘટનાની જાણ થતા જ મૃતકના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. અચાનક મળેલી આ દુઃખદ ખબરથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. સમગ્ર ઘટનાને લઈને હોસ્પિટલ સ્ટાફ અને મૃતકના પરિવારજનોમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.

Share This Article