Tuesday, Jun 30, 2026

બંગાળના હલ્દિયા રિફાઇનરીમાં બ્લાસ્ટ, 20 લોકો ઈજાગ્રસ્ત

2 Min Read

પશ્ચિમ બંગાળના પૂર્વ મેદીનીપુર જિલ્લાના હલ્દિયા વિસ્તારમાં આવેલી હલ્દિયા પેટ્રોકેમિકલ્સ રિફાઇનરીમાં મંગળવારે વહેલી સવારે ભયાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. નાફ્થા સપ્લાય પાઇપલાઇનમાં થયેલા જોરદાર વિસ્ફોટ બાદ આખા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં અંદાજે 20 લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે, જેમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.

માહિતી મુજબ, સવારે લગભગ 4 વાગ્યે હલ્દિયા પેટ્રોકેમિકલ્સની નાફ્થા પાઇપલાઇનમાં અચાનક વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ બાદ આગ ઝડપથી ફેલાઈ અને હલ્દિયા નગરપાલિકાના વોર્ડ નંબર 13 હેઠળ આવેલા ચિરંજીબપુર વિસ્તાર સુધી પહોંચી ગઈ. આગની જ્વાળાઓ અને ધડાકાના અવાજથી સ્થાનિક લોકોમાં ભારે દહેશત ફેલાઈ હતી.

સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ, પાઇપલાઇનમાંથી જોરદાર અવાજ આવ્યા બાદ થોડા જ મિનિટોમાં આસપાસના અનેક મકાનોમાં આગ ફાટી નીકળી હતી. આગ એટલી ભયંકર હતી કે લોકો જીવ બચાવવા ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા.

ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની 12 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવા માટે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. બચાવ દળે ઘાયલોને બહાર કાઢીને હલ્દિયા મહકમા હોસ્પિટલમાં ખસેડ્યા હતા. ગંભીર રીતે દાઝેલા પાંચ લોકોને વધુ સારવાર માટે તમલુક મેડિકલ કોલેજમાં રિફર કરવામાં આવ્યા છે.

હલ્દિયાના ધારાસભ્ય પ્રદીપ બિજલી પણ હોસ્પિટલ પહોંચ્યા હતા અને ઘાયલોની મુલાકાત લીધી હતી. તેમણે પ્રાથમિક આશંકા વ્યક્ત કરી કે પાઇપલાઇનમાંથી નાફ્થા ગેસ લીકેજ થવાને કારણે વિસ્ફોટ થયો હોઈ શકે છે. જોકે લીકેજનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી.

હલ્દિયા પેટ્રોકેમિકલ્સ મેનેજમેન્ટે નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે અને હાલમાં કર્મચારીઓ તથા અસરગ્રસ્ત લોકોની સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા છે.

આ દુર્ઘટનાનો અસર રેલવે સેવાઓ પર પણ પડી છે. વિસ્ફોટ નજીકથી પસાર થતા હલ્દિયા-પાંશકુડા રેલ માર્ગની ઓવરહેડ વીજ લાઇન અને ટ્રાન્સફોર્મર આગમાં બળી ગયા છે. સાથે જ રેલવે ટ્રેકનો એક ભાગ પણ નુકસાનગ્રસ્ત થયો છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને હલ્દિયાથી હાવડા જતી મુસાફર ટ્રેનને તાત્કાલિક અસરથી રોકી દેવામાં આવી છે.

Share This Article