Home Blog Page 24

₹150ની મજૂરીથી કોમનવેલ્થના સિલ્વર સુધી…ઋષિકાંતા સિંહની કહાની!

0

એક સમય હતો જ્યારે પરિવારનું પેટ ભરવા માટે ઋષિકાંતા સિંહને ઢાબામાં વાસણ ધોવા અને બાંધકામ સ્થળે મજૂરી કરવી પડતી હતી. આજે એ જ યુવાન કોમનવેલ્થ ગેમ્સના પોડિયમ પર ભારતનો તિરંગો ઊંચો કરી રહ્યો છે. મણિપુરના ઋષિકાંતા સિંહ ચાનંબમની આ કહાની માત્ર રમતગમતની સફળતા નથી, પરંતુ સંઘર્ષ, ગરીબી અને અડગ ઇચ્છાશક્તિ સામે જીતની પ્રેરણાદાયક ગાથા છે.

ગ્લાસગોમાં યોજાયેલા 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ઋષિકાંતા સિંહે પુરુષોની 60 કિલોગ્રામ વેઇટલિફ્ટિંગ સ્પર્ધામાં રજત પદક જીત્યો હતો . તેમણે કુલ 264 કિલોગ્રામ વજન ઉઠાવ્યું, જેમાં 121 કિલોગ્રામ સ્નેચ અને 143 કિલોગ્રામ ક્લીન એન્ડ જર્કનો સમાવેશ થાય છે. સ્નેચમાં 121 કિલોગ્રામ વજન ઉઠાવી તેમણે કોમનવેલ્થ ગેમ્સનો રેકોર્ડ પણ બનાવ્યો હતો.

પરંતુ આ સફળતા સુધી પહોંચવાનો રસ્તો સરળ નહોતો. બાળપણમાં પરિવારની આર્થિક મુશ્કેલીઓ વચ્ચે તે ઢાબામાં વાસણ ધોતો, પાણી ભરતો અને બાંધકામ સ્થળે મજૂરી કરતો હતો. પરિવારની મદદ કરવા તે દૈનિક મજૂરી કરતો હતો.

કહેવાય છે કે 12 વર્ષની ઉંમરે એક કોચની નજર તેના પર પડી અને તેને વેઇટલિફ્ટિંગ તરફ વાળવામાં આવ્યો. ત્યારથી શરૂ થયેલી મહેનત આજે આંતરરાષ્ટ્રીય પોડિયમ સુધી પહોંચી છે.
ઋષિકાંતા સિંહની કહાની સાબિત કરે છે કે પરિસ્થિતિઓ માણસને રોકી શકતી નથી—જો સપનાઓને સાકાર કરવાની હિંમત અને સતત મહેનત હોય.

ખાંસીની દવા વર્ષો સુધી લીધી… પણ સાચું કારણ તો ઘરમાં જ હતું!

તેમને ઘણા વર્ષોથી લાંબા સમય સુધી ચાલતી ખાંસી (Chronic Cough) ની તકલીફ હતી. વિવિધ ડોક્ટરો પાસે સારવાર લીધી હતી. દવા ચાલુ હોય ત્યાં સુધી રાહત રહેતી, પરંતુ દવા બંધ કરતાં ફરી ખાંસી શરૂ થઈ જતી.

તેમને એલર્જિક ખાંસી માનીને વારંવાર નીચેની દવાઓ આપવામાં આવતી હતી:

  • એન્ટી-એલર્જી દવાઓ
  • ઇન્હેલર અને નેબ્યુલાઇઝર
  • ⁠ક્યારેક એન્ટીબાયોટિક
  • ક્યારેક સ્ટેરોઇડ
  • ખાંસીની સિરપ વગેરે

આ રીતે થોડો સમય સારું રહેતું, પરંતુ સમસ્યા કાયમી રીતે દૂર થતી નહોતી.

ત્યારબાદ તેમણે ડૉ. તરેશ પટેલ (એલર્જી & ચેસ્ટ સ્પેશ્યાલિસ્ટ ) નો સંપર્ક કર્યો.

ડૉક્ટરે ખૂબ વિગતવાર હિસ્ટ્રી લીધી અને Skin Prick Test (SPT) કર્યું. ટેસ્ટમાં જાણવા મળ્યું કે તેમને Cat Dander (બિલાડીના વાળ/ચામડીના કણ) થી ખૂબ જ તીવ્ર એલર્જી હતી.

પછી પૂછવામાં આવ્યું કે ઘરમાં બિલાડીનો સંપર્ક છે કે નહીં. ત્યારે એક રસપ્રદ માહિતી સામે આવી — તેમના પતિને બિલાડીઓનો ખૂબ શોખ હતો અને ઘરમાં 6–7 બિલાડીઓ રાખેલી હતી.

મહત્વની વાત એ હતી કે મહિલાને લગ્નના 2–3 વર્ષ પછી ખાંસી શરૂ થઈ હતી અને બિલાડીઓના એલર્જનના સતત સંપર્કથી સમસ્યા ધીમે ધીમે વધતી ગઈ હતી.

ડૉક્ટરે સલાહ આપી:

✔️ બિલાડીઓથી શક્ય તેટલું દૂર રહેવું
✔️ બિલાડીઓને ઘરની બહાર રાખવી
✔️ બિલાડીઓને દૂર કર્યા પછી ઘરની ડીપ ક્લીનિંગ કરાવવી
✔️ દવાઓ ધીમે ધીમે ઘટાડવી

દંપતીએ ડૉક્ટરની સલાહનું સંપૂર્ણ પાલન કર્યું.

👉 થોડા મહિનાઓમાં ખાંસી નોંધપાત્ર રીતે ઓછી થઈ ગઈ.
👉 દવાઓ ધીમે ધીમે બંધ કરવામાં આવી.
👉 બિલાડીના સંપર્કથી દૂર રહ્યાના 6–8 મહિના પછી તેઓ કોઈ પણ જાતની દવા વગર સંપૂર્ણપણે ખાંસી મુક્ત જીવન જીવવા લાગ્યા.

આ કેસમાંથી શું શીખવા મળે?

જો ખાંસી:

  • 8 અઠવાડિયા કરતાં વધુ સમય રહે,
  • દવા બંધ કરતાં ફરી શરૂ થઈ જાય,
  • વારંવાર ઇન્હેલર કે સ્ટેરોઇડની જરૂર પડે,

તો માત્ર દવા લેતા રહેવાને બદલે ખાંસીનું સાચું કારણ શોધવું ખૂબ જરૂરી છે.

ઘરમાં રહેલા પાળતુ પ્રાણી, ધૂળ, ફૂગ, AC, ગાદલા-તકિયા જેવા એલર્જન ઘણા દર્દીઓમાં લાંબા સમયની ખાંસીનું મુખ્ય કારણ બની શકે છે.

સાચું કારણ શોધો — યોગ્ય સારવાર મેળવો — અને અનાવશ્યક દવાઓથી બચો.

ડૉ. તરેશ પટેલ
એલર્જી અને ચેસ્ટ સ્પેશિયાલિસ્ટ
ચેસ્ટ કેર હોસ્પિટલ , પાલ-અડાજણ, સુરત
📞 94288 60138

CJP પછી હવે E20 જનતા પાર્ટી ચર્ચામાં, સોશિયલ મીડિયા પર કેમ મચ્યો હંગામો?

CJP ની માંગ અને આંદોલન બાદ ફરી ઉઠયા સરકાર પર સવાલ, હવે પેટ્રોલમાં ઇથેનોલ મિશ્રણ (E-20) નીતિ સામે સોશિયલ મીડિયા પર ‘E-20 જનતા પાર્ટી’ નામના કેમ્પેઈન દ્વારા સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે અને કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નિતિન ગડકરીના રાજીનામાની માંગ સાથે સંસદ માર્ચની જાહેરાત કરવામાં આવી છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ અભિયાન સાથે હજારો લોકો જોડાયા છે. કેમ્પેઈનના એકાઉન્ટ પર 30 હજારથી વધુ ફોલોઅર્સ છે, જ્યારે ઇન્સ્ટાગ્રામ પર પણ તેની પહોંચ વધી રહી છે. અભિયાન તરફથી કરવામાં આવેલી પોસ્ટમાં નાગરિકોને ઇથેનોલ બ્લેન્ડિંગ અંગે પારદર્શક માહિતી મેળવવા અને સરકારને પ્રશ્ન પૂછવાનો અધિકાર હોવાનું જણાવવામાં આવ્યું છે.

E-20 એટલે કે પેટ્રોલમાં 20 ટકા સુધી ઇથેનોલ ભેળવવાની નીતિ અંગે દેશમાં છેલ્લા કેટલાક સમયથી ચર્ચા ચાલી રહી છે. સરકારનું કહેવું છે કે આ પગલાથી આયાતી પેટ્રોલિયમ પરની નિર્ભરતા ઘટાડવામાં મદદ મળશે અને ખેડૂતોને પણ લાભ થશે. જોકે, કેટલાક લોકો વાહનોની કામગીરી અને ઇંધણની ગુણવત્તાને લઈને ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.

આ અભિયાન સાથે જોડાયેલા કેટલાક સોશિયલ મીડિયા પોસ્ટમાં નિતિન ગડકરીના રાજીનામાની માંગ કરવામાં આવી છે. સાથે જ 4 ઓગસ્ટે સંસદ માર્ચનું આયોજન કરવાની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ટેક્સી યુનિયન સહિતના લોકો જોડાશે તેવી વાત કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, આ સોશિયલ મીડિયા એકાઉન્ટ ડિસેમ્બર 2021માં બનાવવામાં આવ્યું હતું. જુલાઈ મહિનામાં તેને વેરિફિકેશન મળ્યું છે. હાલમાં E-20 નીતિ અંગેની ચર્ચા સોશિયલ મીડિયા પર વધુ તેજ બની છે અને લોકો સરકારના નિર્ણય પર અલગ-અલગ મંતવ્યો વ્યક્ત કરી રહ્યા છે.

બિહારમાં વિરોધ પ્રદર્શન દરમિયાન AK-47થી ફાયરિંગ કરતો પોલીસકર્મી સસ્પેન્ડ

0

બિહારના સિવાનમાં વિદ્યાર્થી વિરોધ પ્રદર્શન દરમિયાન એક પોલીસકર્મી દ્વારા AK-47થી હવામાં ગોળીબાર કરવાનો વીડિયો સામે આવતા પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. વીડિયો વાયરલ થયા બાદ અધિકારીઓએ તાત્કાલિક કાર્યવાહી કરીને સંબંધિત પોલીસકર્મીને સસ્પેન્ડ કરી દીધો છે. આ મામલે હવે તપાસ પણ શરૂ કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, શનિવારે સિવાનમાં NEET પેપર લીકના આરોપો અને વિદ્યાર્થીઓ સામે થયેલી પોલીસ કાર્યવાહીના વિરોધમાં રાજ્યવ્યાપી બંધ દરમિયાન પ્રદર્શન ઉગ્ર બન્યું હતું. પરિસ્થિતિ કાબૂમાં લેવા પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણ થઈ હતી.

સિવાનના પોલીસ અધિક્ષક પુરણ કુમાર ઝાએ જણાવ્યું હતું કે વિરોધ દરમિયાન પોલીસ તરફથી લાંબા અંતરની હથિયારોથી ચાર રાઉન્ડ અને પિસ્તોલથી ત્રણ રાઉન્ડ સહિત કુલ આશરે 8થી 10 ગોળીઓ ચલાવવામાં આવી હતી. જોકે, બાકીની ગોળીઓ ક્યાંથી આવી તેની તપાસ ચાલી રહી છે.

આ હિંસક ઘટનામાં ત્રણ લોકોને ગોળી વાગ્યાની માહિતી સામે આવી છે, જ્યારે સિવાન એસપી સહિત અનેક પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર બુલેટ કુમાર ગોંડ નામના વ્યક્તિને પગમાં ગોળી વાગી હતી.

હવે AK-47થી ફાયરિંગ કરતો પોલીસકર્મી સામે આવ્યા બાદ વિભાગે તેને સસ્પેન્ડ કર્યો છે અને સમગ્ર ઘટનાની તપાસ માટે વિશેષ ટીમ દ્વારા કાર્યવાહી આગળ કરવામાં આવી રહી છે.

CCTV: નાશિકના સિન્નરમાં ગંભીર અકસ્માત, CCTVમાં કેદ થયો ભયાનક અકસ્માતનો આખો ઘટનાક્રમ

0

મહારાષ્ટ્રના નાશિકમાં એક ભયાનક માર્ગ અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. CCTV કેમેરામાં કેદ થયેલા આ દ્રશ્યોમાં એક ટ્રક અચાનક કાબૂ બહાર જઈને ફ્લાયઓવર પરથી સીધો નીચે ખાબકતો જોવા મળે છે. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ટ્રક ચાલક ગંભીર રીતે ઘાયલ થતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ, આ ઘટના નાશિકના સિંન્નર MIDC બાયપાસ વિસ્તારમાં રવિવારે બપોરે લગભગ 1 વાગ્યાની આસપાસ બની હતી. CCTV ફૂટેજમાં દેખાય છે કે ફ્લાયઓવર પર અચાનક ટ્રક ચાલકે વાહન પરથી નિયંત્રણ ગુમાવ્યું હતું. ત્યારબાદ ટ્રક રોડના બેરિકેડ સાથે અથડાઈને લગભગ 50 ફૂટ નીચે પટકાયો હતો.

અકસમાત સમયે ફ્લાયઓવરની નીચેની સડક પર કોઈ વાહન કે વ્યક્તિ હાજર ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. ટ્રકનું વજન વધારે હોવાને કારણે બેરિકેડ પણ તેનો ઝટકો સહન કરી શક્યું નહોતું અને ટ્રક નીચે પડી ગયો હતો.

ટ્રક નીચે પડતા અનેક વખત પલટી મારી હતી અને તેમાંથી ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ઘાયલ ડ્રાઇવરને બહાર કાઢીને હોસ્પિટલ પહોંચાડ્યો હતો. પોલીસે અકસ્માતની તપાસ શરૂ કરી છે અને ટ્રક કયા કારણોસર કાબૂ બહાર ગયો તેની તપાસ ચાલી રહી છે.

પેપર લીક પર સરકારનો કડક પ્રહાર! લોકસભામાં મોદી સરકારે શું કર્યું ?

0

દેશભરમાં પરીક્ષાઓમાં પેપર લીક અને ગેરરીતિના વધતા મામલાઓ વચ્ચે કેન્દ્ર સરકારે સોમવારે લોકસભામાં મોટું પગલું ભર્યું છે. વિપક્ષના ભારે વિરોધ અને નારેબાજી વચ્ચે સરકારે ‘પબ્લિક એક્ઝામિનેશન્સ (પ્રિવેન્શન ઓફ અનફેર મીન્સ) એમેન્ડમેન્ટ બિલ, 2026’ રજૂ કર્યું છે. બિલ રજૂ થયા બાદ વિપક્ષના હોબાળાને કારણે લોકસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે.

નીટ સહિતની મહત્વપૂર્ણ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પેપર લીકના મુદ્દે દેશભરમાં ચર્ચા ચાલી રહી છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકાર પરીક્ષા વ્યવસ્થાને વધુ સુરક્ષિત અને પારદર્શક બનાવવા માટે કડક કાયદાકીય જોગવાઈ લાવી રહી છે.

આ બિલનો મુખ્ય ઉદ્દેશ પેપર લીક કરનારા લોકો, પરીક્ષા માફિયા અને ગેરરીતિમાં સામેલ સંસ્થાઓ સામે કડક કાર્યવાહી કરવાનો છે. પ્રસ્તાવિત કાયદા હેઠળ પરીક્ષાની વિશ્વસનીયતા સાથે ચેડા કરનારાઓ સામે દંડ અને સજાની જોગવાઈઓને વધુ મજબૂત બનાવવામાં આવી છે.

લોકસભામાં બિલ રજૂ થતાં જ વિપક્ષના સાંસદોએ પરીક્ષા કૌભાંડના મુદ્દે સરકાર સામે વિરોધ શરૂ કર્યો હતો અને ચર્ચાની માંગ કરી હતી. હોબાળો વધતા અધ્યક્ષે ગૃહની કાર્યવાહી થોડા સમય માટે સ્થગિત કરી છે.

સરકારનું કહેવું છે કે આ બિલ લાખો વિદ્યાર્થીઓના હિતોને ધ્યાનમાં રાખીને લાવવામાં આવ્યું છે અને તેનાથી ભવિષ્યમાં પેપર લીક જેવી ઘટનાઓ પર નિયંત્રણ લાવવામાં મદદ મળશે.

વર્ષો બાદ વાપસીનો કમાલ! રાજા મુથુપાંડીએ કોમનવેલ્થમાં ભારતને અપાવ્યો સિલ્વર

0

વર્ષોની મહેનત, ઈજાનો સંઘર્ષ અને ટીમમાંથી બહાર થવાની પીડા બાદ રાજા મુથુપાંડી આજે ફરી એકવાર ભારતનું નામ રોશન કર્યું છે. કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતીય વેઈટલિફ્ટરે શાનદાર પ્રદર્શન કરીને પુરુષોની 65 કિલોગ્રામ કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો છે, જેના કારણે ભારતના મેડલ ટેલીમાં વધુ એક વધારો થયો છે.

ગ્લાસગોમાં રમાઈ રહેલી કોમનવેલ્થ ગેમ્સમાં રાજા મુથુપાંડીએ કુલ 286 કિલોગ્રામ વજન ઉઠાવીને બીજું સ્થાન મેળવ્યું હતું. તેણે સ્નેચમાં 126 કિલોગ્રામ અને ક્લીન એન્ડ જર્કમાં 160 કિલોગ્રામ વજન સફળતાપૂર્વક ઉઠાવ્યું હતું.

26 વર્ષીય રાજા માટે આ જીત ખાસ રહી છે, કારણ કે વર્ષ 2019માં થયેલી ગંભીર કોણીની ઈજાએ તેની કારકિર્દી પર મોટો ખતરો ઉભો કર્યો હતો. કોરોના મહામારી દરમિયાન તેની રિહેબિલિટેશન પ્રક્રિયા પણ મુશ્કેલ બની હતી. ત્યારબાદ વજન કેટેગરી બદલાવ અને કડક સ્પર્ધાના કારણે તેને 2022 બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાં સ્થાન મળ્યું ન હતું.

જોકે, રાજાએ હિંમત ન હારી અને વાપસી કરીને આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની ઓળખ બનાવી. તેની આ સફળતા બાદ કેન્દ્રીય રમત મંત્રી મનસુખ માંડવિયાએ પણ અભિનંદન પાઠવીને તેને ભારતીય વેઈટલિફ્ટિંગ માટે ગૌરવની ક્ષણ ગણાવી હતી.

રાજાના સિલ્વર સાથે ભારતે એક જ દિવસે વેઈટલિફ્ટિંગમાં ત્રણ મેડલ જીત્યા છે. અગાઉ મીરાબાઈ ચાનુએ ગોલ્ડ અને ચનંબમ રિશિકાંતાએ સિલ્વર મેડલ જીતીને ભારતની મેડલ સફરને મજબૂત બનાવી હતી

ગુજરાતમાં ફરી થશે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી! IMDએ અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું

0

છેલ્લા એક સપ્તાહથી ગુજરાતમાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી અનેક જિલ્લાઓમાં પૂરની સ્થિતિ સર્જી હતી. હવે વરસાદની તીવ્રતા થોડી ઘટે તેવી શક્યતા છે, પરંતુ રાહત હજુ પૂર્ણ રીતે મળવાની નથી. આગામી સપ્તાહના અંત સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં ફરી ભારે અને કેટલાક સ્થળોએ અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે જિલ્લાવાર એલર્ટ જાહેર કરીને લોકોને સાવચેત રહેવા અને જરૂરી હોય ત્યારે જ મુસાફરી કરવાની સલાહ આપી છે.

હવામાન વિભાગના તાજેતરના અનુમાન અનુસાર 27 જુલાઈએ ઉત્તર ગુજરાતના વાવ-થરાદ અને પાટણ સહિત વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ તેમજ દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. આ વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

28 અને 29 જુલાઈ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની કોઈ વિશેષ ચેતવણી આપવામાં આવી નથી. જોકે, મોટાભાગના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ, ગાજવીજ, વીજળીના કડાકા અને પ્રતિ કલાક 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. તેથી ખેડૂતો અને ખુલ્લામાં કામ કરતા લોકોએ સાવચેતી રાખવાની જરૂર રહેશે.

30 જુલાઈથી દક્ષિણ ગુજરાતમાં વરસાદ ફરી સક્રિય બનવાની શક્યતા છે. છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા-નગર હવેલી માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં સ્થાનિક સ્તરે ભારે વરસાદ નોંધાઈ શકે છે.

31 જુલાઈએ વરસાદનું જોર વધુ વધે તેવી શક્યતા છે. પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા અને ભરૂચ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, મહીસાગર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ તેમજ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, ભાવનગર અને બોટાદ સહિતના વિસ્તારોમાં યલો એલર્ટ અમલમાં રહેશે.

1 ઓગસ્ટે પણ મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે. ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા અને ભરૂચ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, સુરત, નવસારી, વલસાડ, રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, મોરબી, બોટાદ અને કચ્છ સહિતના અનેક જિલ્લાઓમાં યલો એલર્ટ રહેશે.

હવામાન વિભાગે લોકોને નદી-નાળાની નજીક જવાનું ટાળવા, નીચાણવાળા વિસ્તારોમાં ખાસ સાવચેતી રાખવા અને સ્થાનિક તંત્ર દ્વારા જાહેર કરવામાં આવતી સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે. આગામી દિવસોમાં વરસાદનું સ્વરૂપ જિલ્લાવાર બદલાતું રહેશે, તેથી હવામાન સંબંધિત અપડેટ પર સતત નજર રાખવી જરૂરી રહેશે.

પેપર લીક રોકવા સરકારનો માસ્ટર પ્લાન, આ વ્યક્તિને સોંપાઈ મોટી જવાબદારી

નીટ પેપર લીક વિવાદે દેશભરમાં મચાવેલા રાજકીય અને સામાજિક તોફાન બાદ કેન્દ્ર સરકારે હવે પરીક્ષા વ્યવસ્થામાં મોટા સુધારાની દિશામાં નિર્ણાયક પગલું ભર્યું છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ જંતર-મંતર પર ચાલતું વિદ્યાર્થી આંદોલન સમેટાઈ ગયું છે, પરંતુ સરકાર હવે ભવિષ્યમાં આવી ગેરરીતિઓ રોકવા માટે કડક કાર્યવાહી અને ટેક્નોલોજી આધારિત સુધારાઓ અમલમાં મૂકવા તૈયાર હોવાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કર્યું છે.

વડાપ્રધાન મોદીએ ઈન્સ્ટાગ્રામ પર જાહેર કરેલા સંદેશમાં જણાવ્યું કે દેશની પરીક્ષા પ્રણાલીને વધુ વિશ્વસનીય, પારદર્શક અને લીક-પ્રૂફ બનાવવા માટે ઈન્ફોસિસના સહ-સ્થાપક નંદન નિલેકણીના અધ્યક્ષપદ હેઠળ છ સભ્યોની ઉચ્ચ સ્તરીય ટાસ્ક ફોર્સ રચવામાં આવી છે. આ સમિતિ ટેક્નોલોજીના વ્યાપક ઉપયોગ, સાયબર સુરક્ષા મજબૂત બનાવવી, પરીક્ષા સંચાલનની પ્રક્રિયામાં માળખાકીય સુધારા અને લોજિસ્ટિક્સ વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવાના સૂચનો કરશે.

ટાસ્ક ફોર્સમાં ઈસરોના પૂર્વ અધ્યક્ષ એસ. સોમનાથ, આઈબીના પૂર્વ ડિરેક્ટર તપન ડેકા, આઈઆઈટી મદ્રાસના ડિરેક્ટર વી. કામકોટિ, પૂર્વ શિક્ષણ સચિવ અનીતા કરવાલ અને લોજિસ્ટિક્સ નિષ્ણાત અમૃત લાલ મીણાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતોની આ ટીમનો મુખ્ય હેતુ ભવિષ્યની રાષ્ટ્રીય સ્તરની પરીક્ષાઓને વધુ સુરક્ષિત અને વિશ્વસનીય બનાવવાનો છે.

વડાપ્રધાને વધુમાં જણાવ્યું કે પેપર લીક સામે કડક કાયદો લાવવા માટે સરકાર પ્રતિબદ્ધ છે અને આ અંગેનું બિલ સંસદમાં રજૂ કરવામાં આવશે. પ્રસ્તાવિત કાયદામાં દોષિતોને 10 વર્ષ સુધીની જેલ અને ₹10 કરોડ સુધીના દંડ જેવી કડક જોગવાઈઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. બીજી તરફ, વિપક્ષે પેપર લીક મુદ્દે વડાપ્રધાન પાસેથી માફીની માંગ અને વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જની કાર્યવાહી અંગે સરકારને ઘેરવાની તૈયારી દર્શાવી છે. આ મુદ્દે સંસદ ઉપરાંત સુપ્રીમ કોર્ટમાં પણ મહત્વપૂર્ણ સુનાવણી થવાની છે.

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ પણ CJPનું આંદોલન યથાવત, અભિજીત દીપકે મૂકી વધુ બે માંગણીઓ

0

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાને દેશભરમાં ચાલી રહેલા વિદ્યાર્થી આંદોલનની મોટી સફળતા તરીકે જોવામાં આવી રહ્યું છે. જોકે, દિલ્હીના જંતર-મંતર પર છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલું કોકરોચ જનતા પાર્ટીનું આંદોલન હવે અટકવાનું નથી. CJPના સ્થાપક અભિજીત દીપકેએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે તેમની બાકીની બે મુખ્ય માંગણીઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે.

આજ રોજ ધર્મેન્દ્ર પ્રધાને વડાપ્રધાનને પોતાનું રાજીનામું સુપરત કર્યા બાદ જંતર-મંતર પર સમર્થકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આ દરમિયાન અભિજીત દીપકેએ કહ્યું કે રાજીનામું મહત્વપૂર્ણ પગલું છે, પરંતુ આંદોલનનો અંત નથી. તેમના જણાવ્યા મુજબ પ્રથમ માંગણી એવી છે કે પેપર લીક વિવાદ બાદ આત્મહત્યા કરનાર વિદ્યાર્થીઓના પરિવારોને ₹1 કરોડનું વળતર આપવામાં આવે. બીજી માંગણી તરીકે તેમણે 20 જુલાઈના રોજ વિદ્યાર્થીઓ સામે બળપ્રયોગ કરનાર પોલીસ અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

દીપકેએ વધુમાં જણાવ્યું કે લોકશાહીમાં શાંતિપૂર્ણ અને અડગ લડતથી પણ પરિવર્તન શક્ય છે. તેમના મતે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું એ વાતનો પુરાવો છે કે લોકો એકજૂટ થાય તો જવાબદારી નક્કી કરાવી શકાય છે. તેમણે આને “લોકશાહીની જીત” ગણાવી અને સમર્થકોને ડર્યા વિના પોતાના અધિકારો માટે અવાજ ઉઠાવવાની અપીલ કરી.

CJPએ એ પણ માંગ કરી છે કે 20 જુલાઈના વિરોધ પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થીઓ સામે નોંધાયેલા તમામ કેસ પાછા ખેંચવામાં આવે અને કાયદો-વ્યવસ્થા જાળવવાના નામે થયેલી કાર્યવાહી અંગે જવાબદારી નક્કી કરવામાં આવે. બીજી તરફ, ધર્મેન્દ્ર પ્રધાને પોતાના રાજીનામામાં જણાવ્યું છે કે વિદ્યાર્થીઓના ભવિષ્ય અને દેશના હિતને ધ્યાનમાં રાખીને તેમણે આ નિર્ણય લીધો છે.

રાજીનામા બાદ પણ જંતર-મંતર પર આંદોલન ચાલુ રહેતાં હવે સરકાર અને CJP વચ્ચે આગામી ચર્ચા તથા બાકી રહેલી માંગણીઓ પર શું નિર્ણય થાય છે તેના પર સૌની નજર ટકેલી છે.