CJP ની માંગ અને આંદોલન બાદ ફરી ઉઠયા સરકાર પર સવાલ, હવે પેટ્રોલમાં ઇથેનોલ મિશ્રણ (E-20) નીતિ સામે સોશિયલ મીડિયા પર ‘E-20 જનતા પાર્ટી’ નામના કેમ્પેઈન દ્વારા સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે અને કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નિતિન ગડકરીના રાજીનામાની માંગ સાથે સંસદ માર્ચની જાહેરાત કરવામાં આવી છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ અભિયાન સાથે હજારો લોકો જોડાયા છે. કેમ્પેઈનના એકાઉન્ટ પર 30 હજારથી વધુ ફોલોઅર્સ છે, જ્યારે ઇન્સ્ટાગ્રામ પર પણ તેની પહોંચ વધી રહી છે. અભિયાન તરફથી કરવામાં આવેલી પોસ્ટમાં નાગરિકોને ઇથેનોલ બ્લેન્ડિંગ અંગે પારદર્શક માહિતી મેળવવા અને સરકારને પ્રશ્ન પૂછવાનો અધિકાર હોવાનું જણાવવામાં આવ્યું છે.
E-20 એટલે કે પેટ્રોલમાં 20 ટકા સુધી ઇથેનોલ ભેળવવાની નીતિ અંગે દેશમાં છેલ્લા કેટલાક સમયથી ચર્ચા ચાલી રહી છે. સરકારનું કહેવું છે કે આ પગલાથી આયાતી પેટ્રોલિયમ પરની નિર્ભરતા ઘટાડવામાં મદદ મળશે અને ખેડૂતોને પણ લાભ થશે. જોકે, કેટલાક લોકો વાહનોની કામગીરી અને ઇંધણની ગુણવત્તાને લઈને ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.
આ અભિયાન સાથે જોડાયેલા કેટલાક સોશિયલ મીડિયા પોસ્ટમાં નિતિન ગડકરીના રાજીનામાની માંગ કરવામાં આવી છે. સાથે જ 4 ઓગસ્ટે સંસદ માર્ચનું આયોજન કરવાની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ટેક્સી યુનિયન સહિતના લોકો જોડાશે તેવી વાત કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, આ સોશિયલ મીડિયા એકાઉન્ટ ડિસેમ્બર 2021માં બનાવવામાં આવ્યું હતું. જુલાઈ મહિનામાં તેને વેરિફિકેશન મળ્યું છે. હાલમાં E-20 નીતિ અંગેની ચર્ચા સોશિયલ મીડિયા પર વધુ તેજ બની છે અને લોકો સરકારના નિર્ણય પર અલગ-અલગ મંતવ્યો વ્યક્ત કરી રહ્યા છે.