Monday, Jul 27, 2026

ગુજરાતમાં ફરી થશે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી! IMDએ અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું

3 Min Read

છેલ્લા એક સપ્તાહથી ગુજરાતમાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી અનેક જિલ્લાઓમાં પૂરની સ્થિતિ સર્જી હતી. હવે વરસાદની તીવ્રતા થોડી ઘટે તેવી શક્યતા છે, પરંતુ રાહત હજુ પૂર્ણ રીતે મળવાની નથી. આગામી સપ્તાહના અંત સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં ફરી ભારે અને કેટલાક સ્થળોએ અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે જિલ્લાવાર એલર્ટ જાહેર કરીને લોકોને સાવચેત રહેવા અને જરૂરી હોય ત્યારે જ મુસાફરી કરવાની સલાહ આપી છે.

હવામાન વિભાગના તાજેતરના અનુમાન અનુસાર 27 જુલાઈએ ઉત્તર ગુજરાતના વાવ-થરાદ અને પાટણ સહિત વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ તેમજ દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. આ વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

28 અને 29 જુલાઈ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની કોઈ વિશેષ ચેતવણી આપવામાં આવી નથી. જોકે, મોટાભાગના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ, ગાજવીજ, વીજળીના કડાકા અને પ્રતિ કલાક 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. તેથી ખેડૂતો અને ખુલ્લામાં કામ કરતા લોકોએ સાવચેતી રાખવાની જરૂર રહેશે.

30 જુલાઈથી દક્ષિણ ગુજરાતમાં વરસાદ ફરી સક્રિય બનવાની શક્યતા છે. છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા-નગર હવેલી માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં સ્થાનિક સ્તરે ભારે વરસાદ નોંધાઈ શકે છે.

31 જુલાઈએ વરસાદનું જોર વધુ વધે તેવી શક્યતા છે. પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા અને ભરૂચ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, મહીસાગર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ તેમજ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, ભાવનગર અને બોટાદ સહિતના વિસ્તારોમાં યલો એલર્ટ અમલમાં રહેશે.

1 ઓગસ્ટે પણ મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે. ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા અને ભરૂચ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, સુરત, નવસારી, વલસાડ, રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, મોરબી, બોટાદ અને કચ્છ સહિતના અનેક જિલ્લાઓમાં યલો એલર્ટ રહેશે.

હવામાન વિભાગે લોકોને નદી-નાળાની નજીક જવાનું ટાળવા, નીચાણવાળા વિસ્તારોમાં ખાસ સાવચેતી રાખવા અને સ્થાનિક તંત્ર દ્વારા જાહેર કરવામાં આવતી સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે. આગામી દિવસોમાં વરસાદનું સ્વરૂપ જિલ્લાવાર બદલાતું રહેશે, તેથી હવામાન સંબંધિત અપડેટ પર સતત નજર રાખવી જરૂરી રહેશે.

Share This Article