Tuesday, Jul 28, 2026

પેપર લીક રોકવા સરકારનો માસ્ટર પ્લાન, આ વ્યક્તિને સોંપાઈ મોટી જવાબદારી

2 Min Read

નીટ પેપર લીક વિવાદે દેશભરમાં મચાવેલા રાજકીય અને સામાજિક તોફાન બાદ કેન્દ્ર સરકારે હવે પરીક્ષા વ્યવસ્થામાં મોટા સુધારાની દિશામાં નિર્ણાયક પગલું ભર્યું છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ જંતર-મંતર પર ચાલતું વિદ્યાર્થી આંદોલન સમેટાઈ ગયું છે, પરંતુ સરકાર હવે ભવિષ્યમાં આવી ગેરરીતિઓ રોકવા માટે કડક કાર્યવાહી અને ટેક્નોલોજી આધારિત સુધારાઓ અમલમાં મૂકવા તૈયાર હોવાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કર્યું છે.

વડાપ્રધાન મોદીએ ઈન્સ્ટાગ્રામ પર જાહેર કરેલા સંદેશમાં જણાવ્યું કે દેશની પરીક્ષા પ્રણાલીને વધુ વિશ્વસનીય, પારદર્શક અને લીક-પ્રૂફ બનાવવા માટે ઈન્ફોસિસના સહ-સ્થાપક નંદન નિલેકણીના અધ્યક્ષપદ હેઠળ છ સભ્યોની ઉચ્ચ સ્તરીય ટાસ્ક ફોર્સ રચવામાં આવી છે. આ સમિતિ ટેક્નોલોજીના વ્યાપક ઉપયોગ, સાયબર સુરક્ષા મજબૂત બનાવવી, પરીક્ષા સંચાલનની પ્રક્રિયામાં માળખાકીય સુધારા અને લોજિસ્ટિક્સ વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવાના સૂચનો કરશે.

ટાસ્ક ફોર્સમાં ઈસરોના પૂર્વ અધ્યક્ષ એસ. સોમનાથ, આઈબીના પૂર્વ ડિરેક્ટર તપન ડેકા, આઈઆઈટી મદ્રાસના ડિરેક્ટર વી. કામકોટિ, પૂર્વ શિક્ષણ સચિવ અનીતા કરવાલ અને લોજિસ્ટિક્સ નિષ્ણાત અમૃત લાલ મીણાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતોની આ ટીમનો મુખ્ય હેતુ ભવિષ્યની રાષ્ટ્રીય સ્તરની પરીક્ષાઓને વધુ સુરક્ષિત અને વિશ્વસનીય બનાવવાનો છે.

વડાપ્રધાને વધુમાં જણાવ્યું કે પેપર લીક સામે કડક કાયદો લાવવા માટે સરકાર પ્રતિબદ્ધ છે અને આ અંગેનું બિલ સંસદમાં રજૂ કરવામાં આવશે. પ્રસ્તાવિત કાયદામાં દોષિતોને 10 વર્ષ સુધીની જેલ અને ₹10 કરોડ સુધીના દંડ જેવી કડક જોગવાઈઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. બીજી તરફ, વિપક્ષે પેપર લીક મુદ્દે વડાપ્રધાન પાસેથી માફીની માંગ અને વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જની કાર્યવાહી અંગે સરકારને ઘેરવાની તૈયારી દર્શાવી છે. આ મુદ્દે સંસદ ઉપરાંત સુપ્રીમ કોર્ટમાં પણ મહત્વપૂર્ણ સુનાવણી થવાની છે.

Share This Article