Home Blog Page 20

પેટ્રોલ ₹125 કેમ ન થયું? સરકારનો ખુલાસો : એથેનોલ બ્લેન્ડિંગથી આ રીતે મોટો ભાવ વધારો ટળ્યો ⛽

0

આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં ભારે ઉછાળો આવ્યા છતાં ભારતમાં પેટ્રોલના ભાવ પર નિયંત્રણ કેવી રીતે રહ્યું? પેટ્રોલિયમ મંત્રાલયના જવાબ અનુસાર , પેટ્રોલમાં 20 ટકા એથેનોલ મિશ્રણ (E20) કરવાના કારણે સામાન્ય ગ્રાહકોને મોટી રાહત મળી છે અને જો એથેનોલ બ્લેન્ડિંગ ન હોત તો પેટ્રોલના ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હોત.

પેટ્રોલિયમ મંત્રાલયના દાવા અનુસાર, જો પેટ્રોલમાં એથેનોલ મિશ્રણ કરવામાં આવ્યું ન હોત અને કાચા તેલના ભાવ પ્રતિ બેરલ 135 ડોલર સુધી પહોંચી ગયા હોત, તો દિલ્હીમાં પેટ્રોલનો ભાવ લગભગ ₹125 પ્રતિ લીટર સુધી પહોંચી શક્યો હોત. એથેનોલ બ્લેન્ડિંગના કારણે ગ્રાહકોને પ્રતિ લીટર આશરે ₹30 સુધીની બચત થઈ હોવાનું મંત્રાલયે જણાવ્યું છે.

મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, સ્થાનિક સ્તરે નિર્ધારિત કિંમતે ખરીદવામાં આવેલા એથેનોલે પેટ્રોલના ભાવને સ્થિર રાખવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. દિલ્હીમાં E20 પેટ્રોલનો ભાવ ₹94.77 પ્રતિ લીટર રહ્યો હતો, જ્યારે આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિને જોતા એથેનોલ વગર આ ભાવ ઘણો વધારે હોઈ શક્યો હોત.

પશ્ચિમ એશિયામાં તણાવ વધ્યા બાદ લગભગ 75 દિવસ સુધી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો. બાદમાં મે મહિનામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર ₹7.5નો વધારો કરવામાં આવ્યો હતો.

સરકારે એથેનોલ બ્લેન્ડિંગને લઈને ચાલી રહેલા વિવાદો પર સ્પષ્ટતા કરી છે. મંત્રાલયે કહ્યું કે ગરીબો માટેના અનાજ કે FCIના સબસિડીવાળા ચોખાનો ઉપયોગ એથેનોલ ઉત્પાદન માટે કરવામાં આવતો નથી. સરકારના જણાવ્યા મુજબ, આ કાર્યક્રમ માટે અલગ સ્ત્રોતોમાંથી કાચો માલ મેળવવામાં આવે છે.

ગુજરાતમાં પૂરનો ખતરો વધ્યો? 24 કલાકના વરસાદ બાદ આશરે આટલા ડેમ હાઇ એલર્ટ પર

0

રાજ્યમાં મેઘરાજાએ છેલ્લા 24 કલાક દરમિયાન એવો કહેર વરસાવ્યો છે કે અનેક શહેરો અને ગામોમાં જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસાદને કારણે રસ્તાઓ નદીમાં ફેરવાયા, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા અને નદીઓ-ડેમોમાં જળસ્તર ઝડપથી વધતાં વહીવટી તંત્ર સતત સતર્ક બન્યું છે. વરસાદની આ સ્થિતિ વચ્ચે રાજ્યના અનેક ડેમો ભરાવાની સપાટીએ પહોંચી ગયા હોવાથી પૂર જેવી પરિસ્થિતિ ઊભી થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ સુરત જિલ્લાના અંબિકા વિસ્તારમાં આશરે 24 ઇંચ નોંધાયો છે. ઉપરાંત ડોલવણમાં 16.23 ઇંચ, વસોમાં 16.38 ઇંચ, વાંસદામાં 16.26 ઇંચ અને ઉમરપાડામાં 14.69 ઇંચ વરસાદ વરસ્યો છે. નડિયાદ અને નેત્રંગમાં 13.43 ઇંચ, ધરમપુરમાં 11 ઇંચ તેમજ વઘઈમાં 10.94 ઇંચ વરસાદ નોંધાયો છે. પેટલાદ, સોજીત્રા અને બોરસદમાં 9 ઇંચથી વધુ જ્યારે ઓલપાડ, તારાપુર અને નવસારીમાં 8 ઇંચ જેટલો વરસાદ પડતાં અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. રાજ્યમાં સિઝનનો સરેરાશ વરસાદ હવે અંદાજે 61.50 ટકા સુધી પહોંચી ગયો છે.

ભારે વરસાદના કારણે રાજ્યના જળાશયોમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. સરદાર સરોવર નર્મદા ડેમમાં કુલ જળસંગ્રહ આશરે 74 ટકા સુધી પહોંચ્યો છે. રાજ્યના 14 ડેમ સંપૂર્ણ ક્ષમતાથી ભરાઈ ગયા છે, જ્યારે 22 ડેમ ‘હાઇ એલર્ટ’ અને 6 ડેમ ‘એલર્ટ’ પર રાખવામાં આવ્યા છે. સતત વરસાદને ધ્યાનમાં રાખીને કેટલાક ડેમોમાંથી નિયંત્રિત રીતે પાણી છોડવાની સ્થિતિ પણ સર્જાઈ શકે છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને ખાસ સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે.

તાજેતરના હવામાન બુલેટિન મુજબ રાજ્યના અનેક જિલ્લાઓમાં આજે પણ ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તંત્રે લોકોને નદી-નાળા, કાંઠાવાળા વિસ્તારો અને પાણી ભરાયેલા રસ્તાઓથી દૂર રહેવા તેમજ સ્થાનિક વહીવટી તંત્રની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે.

વડાપ્રધાન મોદીએ મોટુ મન રાખીને સોશ્યલ મીડિયામાં બીભત્સ ભાષાનો શબ્દ પ્રયોગ કરનાર યુવાઓને માફ કરી દીધા

0

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જંતર-મંતર ખાતે થયેલા વિરોધ પ્રદર્શન બાદ સોશિયલ મીડિયા પર એક ભાવુક વીડિયો સંદેશ શેર કરીને દેશભરમાં નવી ચર્ચા જગાવી છે. વિરોધ દરમિયાન તેમની અને તેમના સ્વર્ગસ્થ માતા વિશે અપમાનજનક ભાષાનો ઉપયોગ કરનાર યુવાનોને નિશાન બનાવવાના બદલે તેમણે તેમને માફ કરવાની વાત કહી. સાથે જ સમાજને અપીલ કરી કે આવા યુવાનોને સજા આપવાના બદલે યોગ્ય માર્ગદર્શન આપવું જોઈએ.

શુક્રવારે મોડી રાત્રે ઇન્સ્ટાગ્રામ પર શેર કરાયેલા વીડિયોમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું કે જંતર-મંતર પર જે બન્યું તે સમગ્ર દેશ અને દુનિયાએ જોયું. કેટલાક યુવાનોએ એવી ભાષાનો ઉપયોગ કર્યો જે કોઈ પણ સંસ્કારી સમાજને શોભે તેવી નથી. તેમણે કહ્યું કે તેમની વ્યક્તિગત રીતે ટીકા થઈ અને તેમના સ્વર્ગસ્થ માતાનું પણ અપમાન કરવામાં આવ્યું, છતાં તેઓ આ ઘટનાને બદલો લેવાની દૃષ્ટિએ નથી જોતા.

મોદીએ કહ્યું કે યુવાની એ શીખવાની અને પોતાની ભૂલો સુધારવાની વય છે. યુવાનો ભૂલ કરે તો સમાજે તેમને દૂર ધકેલવાના બદલે સાચા માર્ગે દોરવાની જવાબદારી નિભાવવી જોઈએ. તેમણે ભારપૂર્વક કહ્યું કે કોર્ટના કેસો, સજા અથવા સામાજિક બહિષ્કારથી સમસ્યાનો ઉકેલ આવતો નથી.

તેમણે એક ઉદાહરણ આપતાં કહ્યું કે જેમ જીભ દાંત વચ્ચે આવી જાય ત્યારે કોઈ પોતાના દાંત તોડી નાખતું નથી, કારણ કે બંને શરીરના જ અંગો છે. તેવી જ રીતે દેશના યુવાનો પણ આપણા પોતાના છે અને તેમને પ્રેમ, સમજણ અને માર્ગદર્શનની જરૂર છે.

અંતમાં પ્રધાનમંત્રીએ યુવાનોને દેશના વિકાસમાં ભાગીદાર બનવા, પોતાની ભૂલોમાંથી શીખવા અને પોતાના સપનાઓ સાકાર કરવા અપીલ કરી. તેમણે કહ્યું કે તેમનું સમગ્ર જીવન દેશના યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે સમર્પિત છે અને ગાળો કે દ્વેષથી નહીં, પરંતુ સંવાદ અને સકારાત્મક વિચારોથી જ દેશ આગળ વધી શકે છે.

ચીન-પાકિસ્તાનની મુશ્કેલી વધારશે ભારતનું આ ભારતની આ ઘાતક ટેક્નોલોજી, જાણો કેમ છે ખાસ

0

આવનારા યુદ્ધોમાં માત્ર લડાકુ વિમાનો કે મિસાઇલો જ નહીં, પરંતુ ડ્રોન ટેક્નોલોજી પણ નિર્ણાયક ભૂમિકા ભજવશે. આ બદલાતી યુદ્ધની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ભારતનું સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) હવે અદ્યતન ‘ડ્રોન સ્વોર્મ’ ટેક્નોલોજી વિકસાવવા તરફ આગળ વધી રહ્યું છે. આ પ્રોજેક્ટ સફળ રહ્યો તો ભારતીય સશસ્ત્ર દળોને એવી સ્વદેશી ક્ષમતા મળશે, જે દુશ્મનના ઇલેક્ટ્રોનિક જામિંગ વચ્ચે પણ અસરકારક રીતે કાર્ય કરી શકશે.

DRDOએ તેની ટેક્નોલોજી ડેવલપમેન્ટ ફંડ (TDF) યોજના હેઠળ સ્ટાર્ટઅપ્સ અને MSME કંપનીઓને ‘Development of Close Formation Flying of Multiple Drones’ પ્રોજેક્ટ માટે પ્રસ્તાવો આમંત્રિત કર્યા છે. આ યોજનાનો મુખ્ય હેતુ સ્વદેશી સંરક્ષણ ટેક્નોલોજીને પ્રોત્સાહન આપવાનો અને ખાનગી ક્ષેત્રને અદ્યતન ડ્રોન વિકાસમાં જોડવાનો છે.

આ પ્રોજેક્ટ હેઠળ 50 ડ્રોનનું સ્વોર્મ તૈયાર કરવામાં આવશે. તેમાં એક ‘માસ્ટર ડ્રોન’ બાકીના 49 ડ્રોનનું સંચાલન કરશે. તમામ ડ્રોન માત્ર 50 સેન્ટીમીટર જેટલા અંતરે અત્યંત ચોકસાઈથી ઉડાન ભરશે અને પોતાની સ્થિતિમાં મહત્તમ 5 સેન્ટીમીટરની જ ભૂલ રહેશે. સાથે જ તેમાં એન્ટી-ઇલેક્ટ્રોનિક જામિંગ કમ્યુનિકેશન સિસ્ટમ હશે, જેથી દુશ્મન માટે તેને નિષ્ક્રિય બનાવવું મુશ્કેલ બનશે.

આ ડ્રોન 5,000 મીટરની ઊંચાઈ સુધીના પર્વતીય વિસ્તારોમાં કાર્ય કરી શકશે અને 20 મીટર પ્રતિ સેકન્ડની તેજ હવામાં પણ સ્થિર રહેશે. દરેક ડ્રોન લગભગ 2 કિલોગ્રામ સુધીનો પેલોડ લઈ શકશે, જેમાં કેમેરા, સેન્સર અથવા ઇલેક્ટ્રોનિક વોરફેર સાધનો સામેલ થઈ શકે છે. સિસ્ટમને માત્ર પાંચ મિનિટમાં કાર્યરત કરી શકાય તેવી અને બેટરીને આશરે 30 મિનિટની ફ્લાઇટ તથા ઝડપી રિચાર્જિંગ ક્ષમતા ધરાવતી બનાવવાનો લક્ષ્ય છે.

DRDOએ સ્પષ્ટ કર્યું છે કે સમગ્ર સિસ્ટમમાં ઓછામાં ઓછા 70 ટકા સ્વદેશી ઘટકોનો ઉપયોગ કરવો ફરજિયાત રહેશે. પસંદ થયેલી કંપનીએ 12 મહિનામાં પ્રોટોટાઇપ તૈયાર કરવાનો રહેશે, ત્યારબાદ તેના પરીક્ષણો હાથ ધરાશે. આ પહેલ માત્ર ભારતીય સેનાની આગામી પેઢીની ડ્રોન ક્ષમતા મજબૂત બનાવશે એટલું જ નહીં, પરંતુ ‘મેક ઇન ઇન્ડિયા’ અને આત્મનિર્ભર સંરક્ષણ ઉદ્યોગને પણ નવી ગતિ આપશે.

દિલ્હી રમખાણ કેસમાં પૂર્વ AAP કાઉન્સિલર તાહિર હુસૈન સહિત 5ને આજીવન કેદ, IB અધિકારી હત્યા કેસમાં દોષિત

0

દિલ્હીમાં 2020 દરમિયાન થયેલા રમખાણો દરમિયાન ઇન્ટેલિજન્સ બ્યુરો (IB)ના અધિકારી અંકિત શર્માની હત્યા કેસમાં કોર્ટે પૂર્વ AAP કાઉન્સિલર તાહિર હુસૈન સહિત પાંચ દોષિતોને આજીવન કેદની સજા ફટકારી છે. તમામ આરોપીઓને અગાઉ હત્યા, ગુનાહિત ષડયંત્ર અને રમખાણો સંબંધિત વિવિધ કલમો હેઠળ દોષિત જાહેર કરવામાં આવ્યા હતા.

અંકિત શર્માનો મૃતદેહ ઉત્તર-પૂર્વ દિલ્હીના ચાંદ બાગ વિસ્તારમાંથી મળ્યો હતો. આ કેસ દિલ્હી રમખાણોના સૌથી ચર્ચિત કેસોમાંનો એક માનવામાં આવે છે. કોર્ટના આ ચુકાદાને રમખાણ કેસમાં મહત્વપૂર્ણ નિર્ણય તરીકે જોવામાં આવી રહ્યો છે.

એમ્બ્યુલન્સ નહીં… આ વખતે વંદે ભારત બની જીવનદાતા, જાણો શું હતો આ ખાસ મિશન

દેશના આરોગ્ય અને રેલવે ઇતિહાસમાં એક નવો અધ્યાય ઉમેરાયો છે. પ્રથમ વખત ભારતીય રેલવેએ વંદે ભારત એક્સપ્રેસ મારફતે સુરતથી અમદાવાદ સુધી જીવંત હૃદય (લાઈવ હાર્ટ) સફળતાપૂર્વક પહોંચાડીને એક દર્દીને નવજીવન આપવાના અભિયાનમાં મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. સામાન્ય રીતે આવા અંગોના પરિવહન માટે એર એમ્બ્યુલન્સનો ઉપયોગ થતો હોય છે, પરંતુ આ વખતે સુપરફાસ્ટ ટ્રેન અને ગ્રીન કોરિડોરના સંકલનથી સમય સામેની આ જંગ જીતવામાં આવી હતી.

મુંબઈ સેન્ટ્રલ–ગાંધીનગર કેપિટલ વંદે ભારત એક્સપ્રેસ (ટ્રેન નં. 20901) દ્વારા સુરતથી લાઈવ હાર્ટ અમદાવાદ લાવવામાં આવ્યું હતું. આ હૃદયનું પ્રત્યારોપણ અમદાવાદ સ્થિત યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરમાં દાખલ દર્દીમાં કરવામાં આવવાનું હતું. હૃદય જેવા મહત્વપૂર્ણ અંગને નિર્ધારિત સમયમર્યાદામાં પહોંચાડવું અત્યંત જરૂરી હોવાથી સમગ્ર કામગીરી મિનિટે-મિનિટના આયોજન સાથે હાથ ધરવામાં આવી હતી.

ટ્રેન અમદાવાદ રેલવે સ્ટેશન પર પહોંચતા જ પ્લેટફોર્મ નંબર 1થી હોસ્પિટલ સુધી રેલવે સુરક્ષા બળ (RPF) અને ગુજરાત પોલીસ દ્વારા વિશેષ ગ્રીન કોરિડોર તૈયાર કરવામાં આવ્યો હતો. પરિણામે ટ્રાફિકમાં કોઈ વિલંબ વિના લાઈવ હાર્ટને સીધું હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવ્યું.
આ સમગ્ર મિશનની સફળતા પાછળ ભારતીય રેલવે, તબીબોની ટીમ, અંગ પ્રત્યારોપણ કો-ઓર્ડિનેટર્સ, RPF અને ગુજરાત પોલીસ વચ્ચેનું ઉત્તમ સંકલન મુખ્ય કારણ બન્યું. આ ઘટના એ સાબિત કરે છે કે ભારતીય રેલવે હવે માત્ર મુસાફરોની સફર પૂરતી મર્યાદિત નથી, પરંતુ કટોકટીની તબીબી સેવાઓમાં પણ જીવન બચાવવાની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.

રાજ્યમાં મેઘરાજાનો પ્રચંડ પ્રહાર : ઉમરપાડામાં 10 ઇંચ વરસાદ, સુરતમાં આર્મીની ટીમો સ્ટેન્ડબાય પર

રાજ્યના અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. સુરત જિલ્લાના ઉમરપાડામાં સૌથી વધુ 10 ઇંચ વરસાદ નોંધાતા નદી-નાળા છલકાયા છે, જ્યારે અનેક શહેરોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને TAT અને GPSC સહિત કેટલીક સરકારી પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે. સુરતમાં બચાવ અને રાહત કામગીરી માટે આર્મીની બે ટીમોને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે, જ્યારે દરિયાકાંઠે 3 નંબરનું ચેતવણી સિગ્નલ ફરકાવવામાં આવ્યું છે.

હવામાન વિભાગના નાઉકાસ્ટ અનુસાર સાંજે 4થી 7 વાગ્યા સુધી સુરત, નવસારી, વલસાડ, અમદાવાદ, વડોદરા, ભરૂચ સહિત કુલ 17 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉપરાંત અનેક જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટ પણ અમલમાં છે. ભારે વરસાદ અને તેજ પવનની શક્યતાને પગલે લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા અને વહીવટીતંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.

સુરતમાં ભેદવાડ ખાડી ઓવરફ્લો થતાં નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. નવસારીમાં વરસાદ દરમિયાન કરંટ લાગવાથી ત્રણ લોકોના મોત થયાના અહેવાલો છે, જ્યારે છોટાઉદેપુર જિલ્લામાં અશ્વિન નદી અને પૂરગ્રસ્ત વિસ્તારમાં ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. અમદાવાદ, વડોદરા અને ભરૂચમાં પણ ભારે વરસાદને કારણે અનેક માર્ગો પર પાણી ભરાઈ જતા વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે.

હવામાન વિભાગે 2 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી યથાવત રાખી છે. સુરત જિલ્લામાં 1 ઓગસ્ટે તમામ શાળા-કોલેજો અને આંગણવાડીઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તંત્ર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને નાગરિકોને સતર્ક રહેવાની અપીલ કરવામાં આવી છે.

Video: આવું વિરોધ પ્રદર્શન ક્યારેય જોયું નહીં હોય! પપ્પુ યાદવ દાનપેટી લઈને ભાગ્યા, વીડિયો વાયરલ

0

અયોધ્યા રામ મંદિરના દાનને લઈને ઉઠેલા વિવાદ પર આજે સંસદના ચોમાસુ સત્ર દરમિયાન વિરોધ પ્રદર્શનનું એક અનોખું અને ચર્ચાસ્પદ દૃશ્ય જોવા મળ્યું. બિહારના પૂર્ણિયાના અપક્ષ સાંસદ પપ્પુ યાદવ પૂજારીના વેશમાં સંસદ પરિસરમાં બેસી ગયા હતા અને તેમની સામે રાખેલી દાનપેટીમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પ્રતિકાત્મક રીતે દાન આપ્યું હતું. ત્યારબાદ પપ્પુ યાદવ દાનપેટી લઈને ત્યાંથી નીકળ્યા હતા. વિપક્ષે આ સમગ્ર ઘટનાને વ્યંગાત્મક નાટકના રૂપમાં રજૂ કરી સરકાર પર નિશાન સાધ્યું હતું.

વિપક્ષી સાંસદોએ આ પ્રદર્શન દ્વારા અયોધ્યા રામ મંદિરના દાનને લઈને ઉઠેલા વિવાદ અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની સંસદમાં ગેરહાજરીના મુદ્દાને ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો. પપ્પુ યાદવ પૂજારીના વેશમાં જમીન પર બેઠા હતા, જ્યારે રાહુલ ગાંધી તેમની પાસે પહોંચ્યા અને દાનપેટીમાં રૂપિયા નાખ્યા. ત્યારબાદ પપ્પુ યાદવે પ્રતીકાત્મક રીતે અયોધ્યાના સાંસદના પગ સ્પર્શ કર્યા અને તરત જ દાનપેટી લઈને ચાલ્યા ગયા હતા.

આ વિરોધ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પ્રિયંકા ગાંધી વાડ્રા સહિત ઇન્ડિયા ગઠબંધનના અન્ય નેતાઓ પોસ્ટર્સ સાથે હાજર રહ્યા હતા. પોસ્ટર્સમાં ગૃહ મંત્રી અમિત શાહની સંસદમાં ગેરહાજરી અંગે સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. વિપક્ષનો આરોપ છે કે મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા દરમિયાન ગૃહ મંત્રીની હાજરી જરૂરી છે.

પપ્પુ યાદવ અગાઉ પણ પોતાના અલગ પ્રકારના વિરોધ પ્રદર્શન માટે ચર્ચામાં રહ્યા છે. તેઓ ક્યારેક અલગ વેશ ધારણ કરીને તો ક્યારેક પ્રતીકાત્મક રીતે સરકાર સામે વિરોધ નોંધાવતા જોવા મળ્યા છે. સંસદ પરિસરમાં થયેલા આ અનોખા પ્રદર્શનનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આસામમાં પૂરે લીધો ભયંકર વળાંક! મૃત્યુઆંક 80, સરકાર સતત એલર્ટ

0

આસામમાં પૂરની સ્થિતિ હજુ પણ ચિંતાજનક બની રહી છે. રાજ્યમાં ભારે વરસાદ અને નદીઓના વધતા જળસ્તરને કારણે હજારો પરિવારોનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. છેલ્લા 24 કલાકમાં વધુ બે લોકોના મોત નોંધાતા આ વર્ષે પૂરના કારણે મૃત્યુઆંક વધીને 80 પર પહોંચી ગયો છે. રાજ્યના 8 જિલ્લાઓમાં 2.12 લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત થયા છે, જ્યારે સેંકડો ગામો અને હજારો હેક્ટર ખેતી પાણીમાં ગરકાવ થતાં ખેડૂતોને મોટું નુકસાન સહન કરવું પડી રહ્યું છે.


આસામ રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન પ્રાધિકરણ (ASDMA)ના તાજેતરના અહેવાલ મુજબ ગોલાઘાટ, શિવસાગર, વિશ્વનાથ, ચરાઈદેવ, કામરૂપ (મેટ્રો), જોરહાટ, ધેમાજી અને નાગાંવ સહિતના જિલ્લાઓમાં કુલ 2,12,441 લોકો પૂરથી પ્રભાવિત થયા છે. પૂરના કારણે 21 મહેસૂલ મંડળો હેઠળ આવેલા 437 ગામોમાં પાણી ફરી વળ્યું છે, જેના કારણે સામાન્ય જનજીવન પર ગંભીર અસર પડી છે.
પૂરના પાણીથી રાજ્યમાં અંદાજે 17,198.09 હેક્ટર વિસ્તારમાં ઉભેલો પાક નષ્ટ થયો છે. કૃષિ ક્ષેત્રને થયેલા નુકસાનને કારણે અનેક ખેડૂતોની ચિંતા વધી છે. છેલ્લા 24 કલાક દરમિયાન શિવસાગર જિલ્લામાં બે લોકોના મોત નોંધાતા આ વર્ષની પૂરજન્ય દુર્ઘટનાઓમાં મૃત્યુઆંક 80 સુધી પહોંચ્યો છે.


પ્રભાવિત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી સતત ચાલી રહી છે. વહીવટી તંત્રે વિસ્થાપિત પરિવારો માટે 21 રાહત શિબિરો શરૂ કરી છે, જ્યાં ભોજન, શુદ્ધ પીવાનું પાણી, આરોગ્ય સેવાઓ અને અન્ય આવશ્યક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. સ્થાનિક પ્રશાસન, બચાવ દળો અને અન્ય સરકારી એજન્સીઓ અસરગ્રસ્ત લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની કામગીરીમાં વ્યસ્ત છે.
આ દરમિયાન ASDMAએ નાગરિકોને ખાસ સાવચેત રહેવાની અપીલ કરી છે. ગોલાઘાટ જિલ્લાના નુમાલીગઢ નજીક ધનસિરી (દક્ષિણ) નદીનું જળસ્તર સતત વધી રહ્યું હોવાથી નદીના કિનારાથી દૂર રહેવા સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં કેટલાક વિસ્તારોમાં વધુ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જેના કારણે રાજ્ય સરકાર સતત સ્થિતિ પર નજર રાખી રહી છે અને જરૂરિયાત મુજબ વધારાની રાહત વ્યવસ્થાઓ ગોઠવી રહી છે.

સુરત જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે ૩૧ જુલાઈ અને ૧ ઓગસ્ટે તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવા કલેક્ટરનો હુકમ

સુરત જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા તા. ૩૧/૦૭/૨૦૨૬ અને તા. ૦૧/૦૮/૨૦૨૬ દરમિયાન વાવાઝોડા સાથે ભારેથી અતિભારે વરસાદનું ‘રેડ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. તોફાની પવન અને ભારે વરસાદના કારણે કોઈ અણબનાવ ન બને તથા વિદ્યાર્થીઓની સુરક્ષા જળવાઈ રહે તે હેતુથી સુરત જિલ્લા મેજિસ્ટ્રેટ તેજસ પરમારે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૬૩ હેઠળ એક મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડ્યું છે.


​આ હુકમ મુજબ સમગ્ર સુરત જિલ્લાના શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં આવેલી તમામ આંગણવાડીઓ, સરકારી તથા ખાનગી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, આઈ.ટી.આઈ. (ITI), કોલેજો, તેમજ ખાનગી ટ્યુશન/કોચિંગ ક્લાસીસ સહિત તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં ૩૧ જુલાઈ અને ૧ ઓગસ્ટના રોજ શૈક્ષણિક કાર્ય સંપૂર્ણપણે બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.
​આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ-૨૨૩ મુજબ કાનૂની કાર્યવાહી અને શિક્ષા કરવામાં આવશે.