Home Blog Page 19

દેશના સૌથી ચર્ચિત કેસમાં મોટો નિર્ણય, બ્રિજભૂષણ શરણ સિંહને તમામ આરોપોમાંથી મુક્તિ

દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે દેશભરમાં ભારે ચર્ચામાં રહેલા મહિલા પહેલવાનોના યૌન ઉત્પીડન કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો આપતાં પૂર્વ ભારતીય કુશ્તિ મહાસંઘ (WFI) પ્રમુખ અને પૂર્વ સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ તેમજ પૂર્વ સહાયક સચિવ વિનોદ તોમરને તમામ આરોપોમાં નિર્દોષ જાહેર કર્યા છે. વર્ષો સુધી રાજકીય, કાનૂની અને રમતગમત ક્ષેત્રમાં ચર્ચાનું કેન્દ્ર રહેલા આ કેસના અંતિમ નિર્ણય બાદ ફરી એકવાર સમગ્ર દેશનું ધ્યાન આ મુદ્દા પર કેન્દ્રિત થયું છે.

કોર્ટનો નિર્ણય આવ્યા બાદ બ્રિજભૂષણ શરણ સિંહે જણાવ્યું કે તેમને ન્યાયવ્યવસ્થામાં સંપૂર્ણ વિશ્વાસ હતો અને અંતે સત્યની જીત થઈ છે. તેમના સમર્થકોએ કોર્ટ પરિસર બહાર ખુશી વ્યક્ત કરી હતી. બીજી તરફ તેમના પુત્ર કરણ ભૂષણે પણ આ નિર્ણયને પરિવાર માટે લાંબા સંઘર્ષ બાદ મળેલો ન્યાય ગણાવ્યો હતો.

આ સમગ્ર વિવાદની શરૂઆત વર્ષ 2023માં થઈ હતી, જ્યારે અનેક મહિલા પહેલવાનોએ બ્રિજભૂષણ શરણ સિંહ સામે યૌન ઉત્પીડનના ગંભીર આરોપો લગાવ્યા હતા. આક્ષેપો બાદ દિલ્હીના જંતર-મંતર ખાતે લાંબું આંદોલન થયું હતું, જેના કારણે મામલો દેશવ્યાપી ચર્ચાનો વિષય બન્યો હતો. બાદમાં સર્વોચ્ચ અદાલતના હસ્તક્ષેપ પછી દિલ્હી પોલીસે ફરિયાદ નોંધી અને તપાસ શરૂ કરી હતી.

તપાસ પૂર્ણ થયા બાદ પોલીસે ચાર્જશીટ દાખલ કરી અને લાંબી કાનૂની પ્રક્રિયા બાદ કેસની સુનાવણી પૂર્ણ થઈ હતી. અંતે 3 ઑગસ્ટ, 2026ના રોજ રાઉઝ એવન્યુ કોર્ટે ઉપલબ્ધ પુરાવા અને દલીલોના આધારે બ્રિજભૂષણ શરણ સિંહ તથા વિનોદ તોમરને આરોપોમાંથી મુક્ત જાહેર કર્યા. આ ચુકાદા સાથે છેલ્લા ત્રણ વર્ષથી ચર્ચામાં રહેલા આ હાઈ-પ્રોફાઇલ કેસનો કાનૂની અંત આવ્યો છે.

અમદાવાદ માટે ઐતિહાસિક ક્ષણ! ગ્લાસગોથી મળ્યો કોમનવેલ્થ ગેમ્સનો ધ્વજ, હવે આખી દુનિયાની નજર ગુજરાત પર

0

ગ્લાસગોમાં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સ 2026નો પડદો ભલે પડી ગયો હોય, પરંતુ ભારત માટે હવે એક નવા અને ઐતિહાસિક અધ્યાયની શરૂઆત થઈ ગઈ છે. સમાપન સમારોહ દરમિયાન ગ્લાસગોએ સત્તાવાર રીતે કોમનવેલ્થ ગેમ્સનો ધ્વજ અમદાવાદને સોંપતાં સમગ્ર વિશ્વની નજર હવે ગુજરાતના આ શહેર પર કેન્દ્રિત થઈ છે. ભારત હવે 2030માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સની શતાબ્દી આવૃત્તિનું યજમાન બનવા જઈ રહ્યું છે, જેને લઈને દેશભરમાં ઉત્સાહનો માહોલ છે.

સ્કોટલેન્ડના ગ્લાસગોમાં 11 દિવસ સુધી ચાલેલી કોમનવેલ્થ ગેમ્સની સમાપન વિધિ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો અને ઐતિહાસિક ક્ષણોની સાક્ષી બની. કોમનવેલ્થ સ્પોર્ટના પ્રમુખ ડોનાલ્ડ રૂકારેએ કોમનવેલ્થ ગેમ્સનો ધ્વજ ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA)ના અધ્યક્ષ પી.ટી. ઉષાને સુપરત કર્યો. આ પ્રસંગે ઓલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ નીરજ ચોપરા પણ ઉપસ્થિત રહ્યા અને ભારતે સત્તાવાર રીતે 2030 ગેમ્સના આયોજનની જવાબદારી સ્વીકારી.

ધ્વજ હસ્તાંતરણ બાદ ભારતે લગભગ 20 મિનિટનો સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરીને અમદાવાદ 2030ની પ્રથમ ઝલક વિશ્વ સમક્ષ મૂકી. ગાયક શંકર મહાદેવન તેમના પુત્રો સિદ્ધાર્થ અને શિવમ સાથે મંચ પર જોવા મળ્યા, જ્યારે સિતારવાદક ઋષભ રિખીરામ શર્મા, અભિનેત્રી રશ્મિકા મંદાના અને પૂર્વ મિસ વર્લ્ડ માનુષી છિલ્લરે પણ પોતાની રજૂઆતથી સૌનું મન જીતી લીધું. ‘વસુધૈવ કુટુંબકમ’ની થીમ પર આધારિત આ કાર્યક્રમમાં ભારતની સંસ્કૃતિ, પરંપરા અને વિવિધતાનું ભવ્ય પ્રદર્શન કરવામાં આવ્યું.

રમતગમતના મોરચે ભારતે કુલ 39 મેડલ સાથે શાનદાર અભિયાન પૂર્ણ કર્યું. ભારતીય ખેલાડીઓએ 13 ગોલ્ડ, 17 સિલ્વર અને 9 બ્રોન્ઝ મેડલ જીતી મેડલ ટેબલમાં ચોથું સ્થાન મેળવ્યું. બોક્સિંગમાં સૌથી વધુ સફળતા મળી, જ્યારે મીરાબાઈ ચાનૂએ વેઇટલિફ્ટિંગમાં ગોલ્ડ જીત્યો. એથ્લેટિક્સ, પેરા-એથ્લેટિક્સ અને જુડોમાં પણ ભારતે નોંધપાત્ર પ્રદર્શન કર્યું. ખાસ કરીને ગુલવીર સિંહ બે મેડલ જીતનાર ભારતનો એકમાત્ર ખેલાડી રહ્યો. મહત્વનું એ છે કે આ આવૃત્તિમાં કુસ્તી, હોકી, બેડમિન્ટન, શૂટિંગ અને ક્રિકેટ જેવી ભારતની મજબૂત રમતોનો સમાવેશ ન હોવા છતાં ભારતીય દળે અપેક્ષાથી વધુ સારું પ્રદર્શન કર્યું.

હવે ગ્લાસગોથી અમદાવાદ સુધીની આ સફર માત્ર યજમાની બદલાવની નથી, પરંતુ ભારત માટે વિશ્વ મંચ પર પોતાની ક્ષમતા, સંસ્કૃતિ અને રમતગમતની તાકાત દર્શાવવાની નવી તક છે. 2030ની કોમનવેલ્થ ગેમ્સને સફળ બનાવવા માટે હવે સમગ્ર દેશની નજર અમદાવાદ પર રહેશે અને ભારત વધુ ભવ્ય આયોજન સાથે ઇતિહાસ રચવાનો પ્રયાસ કરશે.

મહારાષ્ટ્રના હથનૂર ડેમના 41 દરવાજા ખોલાયા, તાપી નદી બે કાંઠે! ઉકાઈ ડેમમાં 4.77 લાખ ક્યુસેક પાણીની આવક

ગુજરાત અને મહારાષ્ટ્રમાં સતત વરસી રહેલા ભારે વરસાદની સીધી અસર હવે તાપી નદી અને ઉકાઈ ડેમ પર જોવા મળી રહી છે. મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રના કેચમેન્ટ વિસ્તારમાં અનરાધાર વરસાદને કારણે ઉપરવાસના ડેમોમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના પરિણામે ઉકાઈ ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે.

મહારાષ્ટ્રના હથનૂર ડેમના 41 દરવાજા ખોલીને અંદાજે 3 લાખ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. સાથે જ પ્રકાશા ડેમના 4 દરવાજા સંપૂર્ણ અને 19 દરવાજા અડધા ખોલી પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉપરવાસમાંથી આવી રહેલો આ વિશાળ જળપ્રવાહ સીધો ઉકાઈ ડેમ સુધી પહોંચી રહ્યો છે.

હાલ ઉકાઈ ડેમમાં 4,77,160 ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે, જેના કારણે ડેમની જળસપાટી વધીને 321.91 ફૂટ પર પહોંચી છે. ડેમમાં પાણીનો સંગ્રહ સતત વધી રહ્યો હોવાથી સિંચાઈ વિભાગ અને વહીવટી તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે.

હવામાન વિભાગે ઉપરવાસમાં હજુ પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી હોવાથી આગામી દિવસોમાં ઉકાઈ ડેમમાં પાણીની આવક વધુ વધી શકે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર એલર્ટ મોડ પર છે અને જરૂરિયાત મુજબ નીચાણવાળા વિસ્તારો માટે સૂચનાઓ તેમજ પાણી છોડવા અંગેના નિર્ણયો લેવામાં આવશે.

E20 ઇંધણ મુદ્દે અરવિંદ કેજરીવાલનો કેન્દ્ર સરકાર પર પ્રહાર, મોદી સરકાર સામે ત્રણ મોટી માંગણીઓ મૂકી

0

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સમાં E20 ઇંધણને લઈને કેન્દ્ર સરકાર પર આકરા સવાલો ઉઠાવ્યા. તેમણે જણાવ્યું કે ટાઉન હોલ દરમિયાન લોકોએ ત્રણ મુખ્ય માંગણીઓ મૂકી હતી.

કેજરીવાલે કહ્યું કે પેટ્રોલ પંપ પર ગ્રાહકોને પસંદગીનો અધિકાર મળવો જોઈએ. E20 ઇંધણ લેવા ઇચ્છતા લોકોને E20 અને શુદ્ધ પેટ્રોલ વાપરવા ઇચ્છતા લોકોને શુદ્ધ પેટ્રોલ ઉપલબ્ધ કરાવવું જોઈએ. તેમણે વધુમાં માંગ કરી કે E20ની કિંમત શુદ્ધ પેટ્રોલ કરતાં ઓછી હોવી જોઈએ અને વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ ઘટ્યા હોવાથી દેશમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર ₹84થી નીચે લાવવામાં આવે.

ઇથેનોલ અંગે કેજરીવાલે દાવો કર્યો કે તે પેટ્રોલ કરતાં મોંઘું છે, ઓછી માઇલેજ આપે છે, ખેડૂતોને ખાસ લાભ પહોંચાડતું નથી અને વિદેશી ચલણની બચત પણ કરાવતું નથી. તેમણે એવો પણ આક્ષેપ કર્યો કે ઇથેનોલ પ્લાન્ટની આસપાસના વિસ્તારોમાં ભૂગર્ભ જળ પ્રદૂષિત થતું હોવાના અહેવાલો છે.

કેજરીવાલે કેન્દ્ર સરકારને સવાલ કર્યો કે જો ઇથેનોલ લાભદાયી નથી તો તેને શા માટે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. તેમણે આરોપ લગાવ્યો કે લોકોની ઇચ્છા વિરુદ્ધ E20ને આગળ ધપાવવામાં આવી રહ્યું છે અને આ સમગ્ર પ્રક્રિયા અમેરિકા ના દબાણ હેઠળ થઈ રહી હોવાનું તેમના અભ્યાસમાં સામે આવ્યું છે.

2 દિવસ ના હાઈ એલર્ટ પછી ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદને લઈને થઈ શકે છે રાહત? ઓગસ્ટના વરસાદ ને લઈને પણ IMDનું અનુમાન

વરસાદે ગુજરાતમાં હજુ વિરામ લીધો નથી. છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસી રહેલા મેઘરાજા વચ્ચે આજે પણ અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ચાર હવામાન સિસ્ટમના પ્રભાવ હેઠળ રાજ્યમાં એલર્ટ યથાવત છે, પરંતુ હવામાન વિભાગના તાજા અનુમાન મુજબ ટૂંક સમયમાં વરસાદની તીવ્રતા ઘટી શકે છે. તેથી આગામી દિવસોનું હવામાન જાણવું દરેક માટે મહત્વપૂર્ણ બની ગયું છે.

ભારતીય હવામાન વિભાગ (IMD)ના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર એ. કે. દાસના જણાવ્યા અનુસાર હાલમાં રાજ્ય પર વેલ માર્ક્ડ લો પ્રેશર એરિયા, મોન્સૂન ટ્રફ, શિયર ઝોન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એમ ચાર હવામાન સિસ્ટમ સક્રિય છે. આ તમામ પ્રણાલીઓના સંયુક્ત પ્રભાવથી રાજ્યમાં વ્યાપક વરસાદી માહોલ સર્જાયો છે. અગાઉનું ડીપ ડિપ્રેશન હવે નબળું પડી વેલ માર્ક્ડ લો પ્રેશર એરિયામાં પરિવર્તિત થઈ રાજસ્થાન તરફ આગળ વધી રહ્યું છે, પરંતુ તેની અસર હજુ ગુજરાતમાં યથાવત હોવાથી ભારે વરસાદ ચાલુ છે.

આજે અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, બોટાદ અને ભાવનગર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, આણંદ, ભરૂચ, અમરેલી અને જામનગરમાં ઓરેન્જ એલર્ટ છે. સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી સહિત દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે.

હવામાન વિભાગના તાજા અનુમાન મુજબ 2 ઓગસ્ટથી વરસાદની તીવ્રતા ધીમે ધીમે ઘટવાની શક્યતા છે. જોકે રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ અને કેટલાક સ્થળોએ ભારે વરસાદના છૂટાછવાયા ઝાપટા ચાલુ રહી શકે છે. આગામી પાંચ દિવસ સુધી ચોમાસું સક્રિય રહેશે, પરંતુ હાલ જેવો રાજ્યવ્યાપી અતિભારે વરસાદ રહેવાની સંભાવના ઓછી હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.

દરિયાકાંઠાના વિસ્તારોમાં તોફાની પવન અને ઊંચા મોજાંની શક્યતાને ધ્યાનમાં રાખીને માછીમારોને 2 ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. રાજ્યના બંદરો પર ચેતવણીના સિગ્નલ યથાવત રાખવામાં આવ્યા છે અને સ્થાનિક તંત્રને પણ જરૂરી સાવચેતી રાખવા સૂચના અપાઈ છે.

આગામી ઓગસ્ટ મહિના અંગે પણ ભારતીય હવામાન વિભાગે મહત્વપૂર્ણ અનુમાન જાહેર કર્યું છે. વિભાગના જણાવ્યા મુજબ દેશભરમાં ઓગસ્ટ દરમિયાન સરેરાશ કરતાં થોડો ઓછો વરસાદ નોંધાઈ શકે છે. તેમ છતાં, ચોમાસાની સક્રિય પ્રણાલીઓ અને સ્થાનિક હવામાન પરિસ્થિતિઓના કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સમયાંતરે ભારે વરસાદના નવા રાઉન્ડ આવી શકે છે. તેથી આગામી દિવસોમાં હવામાન વિભાગની સત્તાવાર આગાહી પર સતત નજર રાખવાની સલાહ આપવામાં આવી છે

દેશની અગ્રણી કે‌મિકલ ઉત્પાદક સુરતની ‘એથર’ કંપની અને ડાઉઇ‌‌ન્ડિયા ‌સિ‌લિકોન્સ માટે સયુંક્ત ‌રિસર્ચ કરશે

ભારતની અગ્રણી સ્પેશિયાલ્ટી કેમિકલ ઉત્પાદક અને CRAMS (કોન્ટ્રાક્ટ રિસર્ચ એન્ડ મેન્યુફેક્ચરિંગ સર્વિસિસ) પ્રોવાઈડર એથર ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (NSE: AETHER, BSE: 543534) અને ડાઉ કેમિકલ ઈન્ટરનેશનલ પ્રાઈવેટ લિમિટેડ (ડાઉ ઈન્ડિયા) દ્વારા આજે સિલિકોન્સ માટે નવી મેન્યુફેક્ચરિંગ ટેકનોલોજી વિકસાવવાના હેતુથી એક સંયુક્ત રિસર્ચ પ્રોગ્રામ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે.

સિલિકોન્સ એ અત્યંત મહત્વપૂર્ણ અને ઉચ્ચ ગુણવત્તા ધરાવતો પદાર્થ છે, જેનો ઉપયોગ કન્સ્ટ્રક્શન, ટ્રાન્સપોર્ટેશન, ઈલેક્ટ્રોનિક્સ, હેલ્થકેર અને પર્સનલ કેર જેવા અનેક ક્ષેત્રોમાં થાય છે. આ પ્રોગ્રામ દ્વારા દેશમાં જ સિલિકોન્સ ટેકનોલોજીના વિકાસ અને ઉત્પાદન માટે એક મોટી તક ઊભી થશે. આ રિસર્ચ પ્રોગ્રામ બંને કંપનીઓ સંયુક્ત રીતે ચલાવશે, અને તેનું તમામ સંશોધન તથા પાઈલટ- સ્કેલ ડેવલપમેન્ટ સુરત (ગુજરાત) ખાતે આવેલી એથરની R&D અને પાઈલટ ફેસિલિટીમાં કરવામાં આવશે.

ભારતમાં સિલિકોન્સ માટે નવી ઉત્પાદન ટેકનોલોજી વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરતો આ એક વિશિષ્ટ રિસર્ચ પ્રોગ્રામ છે, જે દેશમાં જ ઇનોવેશનને પ્રોત્સાહન આપવાની દિશામાં એક મહત્વનું પગલું છે. આ કરાર ભવિષ્યમાં વિકસાવવામાં આવનારી ટેકનોલોજીના વ્યાવસાયિક સ્તરે ઉપયોગ (કમર્શિયલાઈઝેશન) અને ઔધોગિક ઉત્પાદન સહિત લાંબા ગાળાની વ્યૂહાત્મક ભાગીદારી માટેનો માર્ગ પણ મોકળો કરે છે.

આ ભાગીદારી અંગે વાત કરતા એથર ઈન્ડસ્ટ્રીઝના કો-ફાઉન્ડર અને ડિરેક્ટર (રિસર્ચ એન્ડ ઓપરેશન્સ) ડૉ. અમન દેસાઈએ જણાવ્યું હતું કે, “ડાઉ જેવી વૈશ્વિક કંપનીએ આ મહત્વકાંક્ષી પ્રોગ્રામ માટે એથરને પોતાના એક્સક્લુઝિવ રિસર્ચ પાર્ટનર તરીકે પસંદ કરી છે તેનો અમને આનંદ છે. આ સહયોગથી એથરની કેમિસ્ટ્રી તથા ટેકનોલોજી ક્ષમતાઓ અને સિલિકોન ક્ષેત્રે વૈશ્વિક અગ્રણી કંપની ડાઉનો અનુભવ એકસાથે આવશે. આ ભાગીદારી નવીન ઉત્પાદન ટેકનોલોજી વિકસાવવાની સાથે ભારતમાં ઝડપથી વધી રહેલા સિલિકોન માર્કેટની જરૂરિયાતો પૂરી કરવા માટે એક લાંબા ગાળાનું પ્લેટફોર્મ પૂરું પાડશે.”
ડાઉ પર્ફોર્મન્સ મટીરિયલ્સ એન્ડ કોટિંગ્સના પ્રેસિડેન્ટ બ્રેન્ડી લેંગના જણાવ્યા અનુસાર, “આ સહયોગથી ડાઉ માટે ગ્રાહકોની બદલાતી જરૂરિયાતો અને વધતા માર્કેટની નજીક જઈને મટીરિયલ્સ સાયન્સમાં ઇનોવેશન કરવાનું સરળ બનશે. બંને કંપનીઓની શક્તિઓ ભેગી થવાથી ભારતમાં તેમજ વૈશ્વિક સ્તરે ગ્રાહકો માટે અધતન સિલિકોન સોલ્યુશન્સ ઝડપથી તૈયાર કરી શકાશે.”

ડાઉ પર્ફોર્મન્સ મટીરિયલ્સ એન્ડ કોટિંગ્સના બિઝનેસ વાઈસ પ્રેસિડેન્ટ (R&D) ડૉ. મુકુંદ પાર્થસારથીએ ઉમેર્યું કે, “સંશોધન કે ઇનોવેશન ત્યારે જ સાર્થક નીવડે છે જ્યારે તે ભવિષ્યના વિકાસમાં ઉપયોગી બને. આ સંયુક્ત પ્રયાસથી વિજ્ઞાનને ઝડપથી વ્યવહારિક ટેકનોલોજીમાં બદલી શકાશે, જેનાથી બજારની માંગ પૂરી કરવાની સાથે સિલિકોન્સ ક્ષેત્રે કારોબારની નવી તકો પણ ખુલ્લી થશે.”

ડાઉ ઈન્ડિયાના કંટ્રી પ્રેસિડેન્ટ સિદ્ધાર્થ ઘોષાલના જણાવ્યા મુજબ, ભારતમાં અધતન મટીરિયલ્સની વધતી માંગને કારણે અહીં જ નવી ટેકનોલોજી વિકસાવવાની મોટી તકો રહેલી છે. આ પ્રોગ્રામ બંને કંપનીઓની ક્ષમતાઓને એકસાથે લાવીને ગ્રાહકો માટે મૂલ્ય ઊભું કરશે, સ્થાનિક ઇનોવેશનને બળ આપશે અને વિવિધ ઉધોગો સુધી ઉત્તમોત્તમ સિલિકોન સોલ્યુશન્સની પહોંચ સરળ બનાવશે.

મુશ્કેલીમાં આસામને મળ્યો મોટો સહારો, ગૌતમ અદાણીએ આપ્યું આટલાં કરોડનું દાન

0

આસામમાં ભારે વરસાદ અને પૂરના કારણે સર્જાયેલી ગંભીર પરિસ્થિતિ વચ્ચે અદાણી ગ્રુપના અધ્યક્ષ ગૌતમ અદાણીએ રાહત અને પુનર્વસન કામગીરી માટે ₹11 કરોડનું દાન આપ્યું છે. આ રકમ આસામના પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત કામગીરીને વધુ મજબૂત બનાવવા માટે આપવામાં આવી હોવાનું વિવિધ મીડિયા અહેવાલોમાં જણાવાયું છે.

મળતી માહિતી અનુસાર, આ સહાય માત્ર આર્થિક દાન પૂરતી મર્યાદિત નથી. અદાણી ગ્રુપ દ્વારા અસરગ્રસ્ત પરિવારો સુધી જરૂરી રાહત સામગ્રી, આવશ્યક ચીજવસ્તુઓ અને અન્ય સંસાધનો પહોંચાડવા માટે પણ પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. પૂરથી પ્રભાવિત હજારો પરિવારોને ઝડપથી મદદ મળી રહે તે માટે ગ્રુપ વિવિધ એજન્સીઓ સાથે સંકલન કરી રહ્યું હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.

આસામ છેલ્લા કેટલાક અઠવાડિયાથી ભારે વરસાદ અને નદીઓમાં આવેલા પૂરના કારણે ગંભીર સંકટનો સામનો કરી રહ્યું છે. અનેક જિલ્લાઓમાં ઘરો પાણીમાં ગરકાવ થયા છે, ખેતીને મોટું નુકસાન થયું છે અને લાખો લોકો અસરગ્રસ્ત બન્યા છે. રાહત શિબિરોમાં હજારો લોકોને આશ્રય આપવામાં આવ્યો છે, જ્યારે રાજ્ય સરકાર, એનડીઆરએફ, એસડીઆરએફ અને અન્ય બચાવ દળો સતત બચાવ અને રાહત કામગીરીમાં જોડાયેલા છે.

આ દરમિયાન દેશભરના ઉદ્યોગપતિઓ, સંસ્થાઓ અને જાણીતી હસ્તીઓ પણ આસામના પૂરગ્રસ્તોની મદદ માટે આગળ આવી રહ્યા છે.

CNG વાહનચાલકોને મોટો ફટકો : અદાણી ગેસ દ્વારા CNG ના ભાવમાં સીધો આટલા રૂપિયાનો વધારો

CNG પર ચાલતા લાખો વાહનચાલકો માટે ફરી એકવાર ખિસ્સા પર ભાર વધારતા સમાચાર આવ્યા છે. અદાણી CNG દ્વારા ગેસના ભાવમાં પ્રતિ કિલો ₹4નો વધારો જાહેર કરવામાં આવ્યો છે. નવા દર મુજબ હવે CNG માટે ₹94.02 પ્રતિ કિલો ચૂકવવા પડશે, જ્યારે અગાઉનો ભાવ ₹90.02 પ્રતિ કિલો હતો. આ વધારાની સીધી અસર રોજિંદા મુસાફરી કરતા લોકો, ઓટો-રિક્ષા ચાલકો અને નાના વ્યાવસાયિક વાહનચાલકોના માસિક ખર્ચ પર પડશે.

CNGને અત્યાર સુધી સસ્તું અને પર્યાવરણમિત્ર ઇંધણ માનવામાં આવતું હતું, પરંતુ વારંવારના ભાવવધારાથી તેનો આર્થિક લાભ ઘટતો જઈ રહ્યો છે.

નિષ્ણાતોનું માનવું છે કે CNGના વધેલા દરની અસર માત્ર વ્યક્તિગત વાહનચાલકો પૂરતી સીમિત નહીં રહે. નાના કોમર્શિયલ વાહનો અને માલસામાનના પરિવહન ખર્ચમાં વધારો થવાથી દૈનિક ઉપયોગની કેટલીક ચીજવસ્તુઓના ભાવ પર પણ પરોક્ષ અસર થઈ શકે છે. છેલ્લા કેટલાક સમયથી વૈશ્વિક ઊર્જા બજારમાં આવેલા ફેરફારો અને કુદરતી ગેસના ખર્ચમાં વધારાની અસર ખાનગી સિટી ગેસ વિતરક કંપનીઓના દર પર જોવા મળી રહી છે.

મંત્રીની હાજરીમાં જ ભ્રષ્ટાચારનો થયો ખુલાસો, ‘₹50 હજાર આપો તો જ થશે કામ’નો આક્ષેપ

0

ભ્રષ્ટાચાર સામે સરકારના દાવાઓ વચ્ચે બિહારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. SC-ST કલ્યાણ વિભાગની અનુદાન યોજનાનો લાભ મેળવવા માટે અરજદાર પાસેથી ₹50 હજારની લાંચ માંગવામાં આવી હોવાનો આરોપ સીધો રાજ્યના મંત્રી સમક્ષ જ સામે આવ્યો. સૌથી ચોંકાવનારી ક્ષણ ત્યારે સર્જાઈ જ્યારે મંત્રીના કહેવા પર ફરિયાદીએ સ્થળ પર જ સંબંધિત ડેટા એન્ટ્રી ઓપરેટરને ફોન કર્યો અને ફોન પર કથિત રીતે ફરી લાંચની માંગણી થતાં સમગ્ર મામલો ચર્ચાનો વિષય બની ગયો.

મળતી માહિતી મુજબ, એક અરજદાર પોતાની ફરિયાદ લઈને રાજ્યના મંત્રી લખેન્દ્ર કુમાર રોશન પાસે પહોંચ્યો હતો. તેણે આરોપ લગાવ્યો કે SC-ST વિભાગની અનુદાન યોજનાનો લાભ અપાવવા માટે સંબંધિત ડેટા એન્ટ્રી ઓપરેટર તેની પાસેથી ₹50 હજારની માંગ કરી રહ્યો છે. ફરિયાદ સાંભળ્યા બાદ મંત્રીએ તરત જ હકીકત જાણવા ફરિયાદીને કર્મચારીને ફોન કરવા કહ્યું.

મંત્રીની હાજરીમાં થયેલી ફોન પરની વાતચીત દરમિયાન ડેટા એન્ટ્રી ઓપરેટરે કથિત રીતે ફરીથી રૂપિયા માંગ્યા હોવાનું ફરિયાદીએ જણાવ્યું. આ ઘટના બાદ ત્યાં હાજર અધિકારીઓ અને અન્ય લોકો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા. જોકે, આ આરોપોની સત્તાવાર પુષ્ટિ તપાસ પૂર્ણ થયા બાદ જ થશે.

મામલાની ગંભીરતા જોતા મંત્રીએ સંબંધિત અધિકારીઓને તાત્કાલિક નિષ્પક્ષ તપાસના આદેશ આપ્યા છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે જો તપાસમાં લાંચ માંગવાનો આરોપ સાચો સાબિત થશે તો સંબંધિત કર્મચારી સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ ફરિયાદીને યોજનાનો લાભ નિયમો મુજબ મળે તેની પણ ખાતરી આપવામાં આવી છે.

હાલ વિભાગીય તપાસ શરૂ થઈ ચૂકી છે. બીજી તરફ, આરોપોનો સામનો કરી રહેલા ડેટા એન્ટ્રી ઓપરેટરની તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી. તેથી સમગ્ર ઘટનાની વાસ્તવિક સ્થિતિ તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે. ત્યાં સુધી આ મામલો બિહારમાં સરકારી યોજનાઓમાં પારદર્શિતા અને ભ્રષ્ટાચાર સામેની કાર્યવાહી અંગે ગંભીર પ્રશ્નો ઉભા કરી રહ્યો છે.

પેટ્રોલ ₹125 કેમ ન થયું? સરકારનો ખુલાસો : એથેનોલ બ્લેન્ડિંગથી આ રીતે મોટો ભાવ વધારો ટળ્યો ⛽

0

આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં ભારે ઉછાળો આવ્યા છતાં ભારતમાં પેટ્રોલના ભાવ પર નિયંત્રણ કેવી રીતે રહ્યું? પેટ્રોલિયમ મંત્રાલયના જવાબ અનુસાર , પેટ્રોલમાં 20 ટકા એથેનોલ મિશ્રણ (E20) કરવાના કારણે સામાન્ય ગ્રાહકોને મોટી રાહત મળી છે અને જો એથેનોલ બ્લેન્ડિંગ ન હોત તો પેટ્રોલના ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હોત.

પેટ્રોલિયમ મંત્રાલયના દાવા અનુસાર, જો પેટ્રોલમાં એથેનોલ મિશ્રણ કરવામાં આવ્યું ન હોત અને કાચા તેલના ભાવ પ્રતિ બેરલ 135 ડોલર સુધી પહોંચી ગયા હોત, તો દિલ્હીમાં પેટ્રોલનો ભાવ લગભગ ₹125 પ્રતિ લીટર સુધી પહોંચી શક્યો હોત. એથેનોલ બ્લેન્ડિંગના કારણે ગ્રાહકોને પ્રતિ લીટર આશરે ₹30 સુધીની બચત થઈ હોવાનું મંત્રાલયે જણાવ્યું છે.

મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, સ્થાનિક સ્તરે નિર્ધારિત કિંમતે ખરીદવામાં આવેલા એથેનોલે પેટ્રોલના ભાવને સ્થિર રાખવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. દિલ્હીમાં E20 પેટ્રોલનો ભાવ ₹94.77 પ્રતિ લીટર રહ્યો હતો, જ્યારે આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિને જોતા એથેનોલ વગર આ ભાવ ઘણો વધારે હોઈ શક્યો હોત.

પશ્ચિમ એશિયામાં તણાવ વધ્યા બાદ લગભગ 75 દિવસ સુધી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો. બાદમાં મે મહિનામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર ₹7.5નો વધારો કરવામાં આવ્યો હતો.

સરકારે એથેનોલ બ્લેન્ડિંગને લઈને ચાલી રહેલા વિવાદો પર સ્પષ્ટતા કરી છે. મંત્રાલયે કહ્યું કે ગરીબો માટેના અનાજ કે FCIના સબસિડીવાળા ચોખાનો ઉપયોગ એથેનોલ ઉત્પાદન માટે કરવામાં આવતો નથી. સરકારના જણાવ્યા મુજબ, આ કાર્યક્રમ માટે અલગ સ્ત્રોતોમાંથી કાચો માલ મેળવવામાં આવે છે.