આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં ભારે ઉછાળો આવ્યા છતાં ભારતમાં પેટ્રોલના ભાવ પર નિયંત્રણ કેવી રીતે રહ્યું? પેટ્રોલિયમ મંત્રાલયના જવાબ અનુસાર , પેટ્રોલમાં 20 ટકા એથેનોલ મિશ્રણ (E20) કરવાના કારણે સામાન્ય ગ્રાહકોને મોટી રાહત મળી છે અને જો એથેનોલ બ્લેન્ડિંગ ન હોત તો પેટ્રોલના ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હોત.
પેટ્રોલિયમ મંત્રાલયના દાવા અનુસાર, જો પેટ્રોલમાં એથેનોલ મિશ્રણ કરવામાં આવ્યું ન હોત અને કાચા તેલના ભાવ પ્રતિ બેરલ 135 ડોલર સુધી પહોંચી ગયા હોત, તો દિલ્હીમાં પેટ્રોલનો ભાવ લગભગ ₹125 પ્રતિ લીટર સુધી પહોંચી શક્યો હોત. એથેનોલ બ્લેન્ડિંગના કારણે ગ્રાહકોને પ્રતિ લીટર આશરે ₹30 સુધીની બચત થઈ હોવાનું મંત્રાલયે જણાવ્યું છે.
મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, સ્થાનિક સ્તરે નિર્ધારિત કિંમતે ખરીદવામાં આવેલા એથેનોલે પેટ્રોલના ભાવને સ્થિર રાખવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. દિલ્હીમાં E20 પેટ્રોલનો ભાવ ₹94.77 પ્રતિ લીટર રહ્યો હતો, જ્યારે આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિને જોતા એથેનોલ વગર આ ભાવ ઘણો વધારે હોઈ શક્યો હોત.
પશ્ચિમ એશિયામાં તણાવ વધ્યા બાદ લગભગ 75 દિવસ સુધી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો. બાદમાં મે મહિનામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર ₹7.5નો વધારો કરવામાં આવ્યો હતો.
સરકારે એથેનોલ બ્લેન્ડિંગને લઈને ચાલી રહેલા વિવાદો પર સ્પષ્ટતા કરી છે. મંત્રાલયે કહ્યું કે ગરીબો માટેના અનાજ કે FCIના સબસિડીવાળા ચોખાનો ઉપયોગ એથેનોલ ઉત્પાદન માટે કરવામાં આવતો નથી. સરકારના જણાવ્યા મુજબ, આ કાર્યક્રમ માટે અલગ સ્ત્રોતોમાંથી કાચો માલ મેળવવામાં આવે છે.