નાણા વગરનો નાથિયો નાણે નાથાલાલ કહેવત તો ઘણા લોકો એ સાંભળી હશે પણ પરાગ શાહે હક્કઈકટમાં તે વાત લોકોના નજરો સામે દર્શાવી. ₹3,300 કરોડથી વધુની સંપત્તિ ધરાવતા ભાજપના ધારાસભ્ય જો મુંબઈના રસ્તા પર ભિખારીના વેશમાં હાથ ફેલાવતા જોવા મળે તો વાત ચોંકાવનારી છે. પરંતુ ઘાટકોપર પૂર્વના ધારાસભ્ય પરાગ શાહે આ રૂપ કોઈ રાજકીય પ્રચાર માટે ધારણ કર્યું નહોતું. જૈન ધર્મગુરુ રાષ્ટ્રસંત નમ્રમુનિ મહારાજની શિક્ષાઓથી પ્રેરાઈ તેમણે પોતાની ઓળખ છુપાવીને સામાન્ય જરૂરિયાતમંદ વ્યક્તિની સ્થિતિ અનુભવવાનો અનોખો પ્રયોગ કર્યો હતો.
મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં પરાગ શાહનો ભિખારીના વેશમાં ફરતો વીડિયો સામે આવ્યો છે. શાહે મેકઅપ અને વેશભૂષા બદલીને ઘાટકોપર રેલવે સ્ટેશનની આસપાસ સામાન્ય લોકો વચ્ચે સમય પસાર કર્યો હતો. આ દરમિયાન ઘણા લોકો તેમને ઓળખી શક્યા નહોતા.
ભિખારીના વેશમાં શાહ એક એવા ફૂડ ડિસ્ટ્રિબ્યુશન પોઇન્ટ પર પણ પહોંચ્યા, જ્યાં લોકોને મફતમાં ભોજન આપવામાં આવતું હતું. તેઓ ભોજન વિતરણ પૂરું થવાના સમયની આસપાસ ત્યાં પહોંચ્યા અને ખાવા માટે કંઈ બચ્યું છે કે કેમ તે પૂછ્યું. ત્યાંના એક કર્મચારીએ તેમને ઓળખ્યા વગર દાળ, ભાત અને પાણીની બોટલ આપી.
ત્યારબાદ શાહ એક સમોસાવાળા પાસે ગયા અને તેમની પાસે ખાવા માટે કંઈ જ નથી એવું કહ્યું. સમોસાવાળાએ તેમને પાંચ સમોસા આપી દીધા. આ અનુભવોને કારણે શાહે પૈસાની અછત વચ્ચે જીવતા લોકો અંગે પોતાની અગાઉની માન્યતા પર ફરી વિચાર કર્યો.
શાહે કહ્યું કે પહેલાં તેઓ માનતા હતા કે ગરીબ લોકો માત્ર બીજાઓ પાસે મદદ માગે છે. પરંતુ આ પ્રયોગ દરમિયાન તેમને સમજાયું કે જરૂરિયાતમંદ લોકો એકબીજાની મદદ પણ કરે છે. રસ્તા પરના આ અનુભવે તેમને ગરીબી સાથે જોડાયેલી માનવતા અને પરસ્પર સહકારને અલગ રીતે સમજવામાં મદદ કરી.
વીડિયોમાં શાહ રસ્તા કિનારે બેઠેલા અને લોકો પાસેથી મદદ લેતા પણ નજરે પડે છે. કેટલાક લોકોએ તેમની મદદ કરી, જ્યારે કેટલાક લોકોએ અવગણના કરી હતી. શાહે આ અનુભવ દ્વારા ગરીબી, ઉપેક્ષા અને જરૂરિયાતમંદ લોકો પ્રત્યે સમાજના વ્યવહારને નજીકથી સમજવાનો પ્રયાસ કર્યો હતો.
2024ની વિધાનસભા ચૂંટણીના સોગંદનામા મુજબ પરાગ શાહ પાસે ₹3,383 કરોડથી વધુની સંપત્તિ છે. તેઓ રિયલ એસ્ટેટના વેપારી છે.







