Saturday, Aug 1, 2026

વડાપ્રધાન મોદીએ મોટુ મન રાખીને સોશ્યલ મીડિયામાં બીભત્સ ભાષાનો શબ્દ પ્રયોગ કરનાર યુવાઓને માફ કરી દીધા

2 Min Read

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જંતર-મંતર ખાતે થયેલા વિરોધ પ્રદર્શન બાદ સોશિયલ મીડિયા પર એક ભાવુક વીડિયો સંદેશ શેર કરીને દેશભરમાં નવી ચર્ચા જગાવી છે. વિરોધ દરમિયાન તેમની અને તેમના સ્વર્ગસ્થ માતા વિશે અપમાનજનક ભાષાનો ઉપયોગ કરનાર યુવાનોને નિશાન બનાવવાના બદલે તેમણે તેમને માફ કરવાની વાત કહી. સાથે જ સમાજને અપીલ કરી કે આવા યુવાનોને સજા આપવાના બદલે યોગ્ય માર્ગદર્શન આપવું જોઈએ.

શુક્રવારે મોડી રાત્રે ઇન્સ્ટાગ્રામ પર શેર કરાયેલા વીડિયોમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું કે જંતર-મંતર પર જે બન્યું તે સમગ્ર દેશ અને દુનિયાએ જોયું. કેટલાક યુવાનોએ એવી ભાષાનો ઉપયોગ કર્યો જે કોઈ પણ સંસ્કારી સમાજને શોભે તેવી નથી. તેમણે કહ્યું કે તેમની વ્યક્તિગત રીતે ટીકા થઈ અને તેમના સ્વર્ગસ્થ માતાનું પણ અપમાન કરવામાં આવ્યું, છતાં તેઓ આ ઘટનાને બદલો લેવાની દૃષ્ટિએ નથી જોતા.

મોદીએ કહ્યું કે યુવાની એ શીખવાની અને પોતાની ભૂલો સુધારવાની વય છે. યુવાનો ભૂલ કરે તો સમાજે તેમને દૂર ધકેલવાના બદલે સાચા માર્ગે દોરવાની જવાબદારી નિભાવવી જોઈએ. તેમણે ભારપૂર્વક કહ્યું કે કોર્ટના કેસો, સજા અથવા સામાજિક બહિષ્કારથી સમસ્યાનો ઉકેલ આવતો નથી.

તેમણે એક ઉદાહરણ આપતાં કહ્યું કે જેમ જીભ દાંત વચ્ચે આવી જાય ત્યારે કોઈ પોતાના દાંત તોડી નાખતું નથી, કારણ કે બંને શરીરના જ અંગો છે. તેવી જ રીતે દેશના યુવાનો પણ આપણા પોતાના છે અને તેમને પ્રેમ, સમજણ અને માર્ગદર્શનની જરૂર છે.

અંતમાં પ્રધાનમંત્રીએ યુવાનોને દેશના વિકાસમાં ભાગીદાર બનવા, પોતાની ભૂલોમાંથી શીખવા અને પોતાના સપનાઓ સાકાર કરવા અપીલ કરી. તેમણે કહ્યું કે તેમનું સમગ્ર જીવન દેશના યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે સમર્પિત છે અને ગાળો કે દ્વેષથી નહીં, પરંતુ સંવાદ અને સકારાત્મક વિચારોથી જ દેશ આગળ વધી શકે છે.

Share This Article