અયોધ્યા રામ મંદિરના દાનને લઈને ઉઠેલા વિવાદ પર આજે સંસદના ચોમાસુ સત્ર દરમિયાન વિરોધ પ્રદર્શનનું એક અનોખું અને ચર્ચાસ્પદ દૃશ્ય જોવા મળ્યું. બિહારના પૂર્ણિયાના અપક્ષ સાંસદ પપ્પુ યાદવ પૂજારીના વેશમાં સંસદ પરિસરમાં બેસી ગયા હતા અને તેમની સામે રાખેલી દાનપેટીમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પ્રતિકાત્મક રીતે દાન આપ્યું હતું. ત્યારબાદ પપ્પુ યાદવ દાનપેટી લઈને ત્યાંથી નીકળ્યા હતા. વિપક્ષે આ સમગ્ર ઘટનાને વ્યંગાત્મક નાટકના રૂપમાં રજૂ કરી સરકાર પર નિશાન સાધ્યું હતું.
વિપક્ષી સાંસદોએ આ પ્રદર્શન દ્વારા અયોધ્યા રામ મંદિરના દાનને લઈને ઉઠેલા વિવાદ અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની સંસદમાં ગેરહાજરીના મુદ્દાને ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો. પપ્પુ યાદવ પૂજારીના વેશમાં જમીન પર બેઠા હતા, જ્યારે રાહુલ ગાંધી તેમની પાસે પહોંચ્યા અને દાનપેટીમાં રૂપિયા નાખ્યા. ત્યારબાદ પપ્પુ યાદવે પ્રતીકાત્મક રીતે અયોધ્યાના સાંસદના પગ સ્પર્શ કર્યા અને તરત જ દાનપેટી લઈને ચાલ્યા ગયા હતા.
આ વિરોધ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પ્રિયંકા ગાંધી વાડ્રા સહિત ઇન્ડિયા ગઠબંધનના અન્ય નેતાઓ પોસ્ટર્સ સાથે હાજર રહ્યા હતા. પોસ્ટર્સમાં ગૃહ મંત્રી અમિત શાહની સંસદમાં ગેરહાજરી અંગે સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. વિપક્ષનો આરોપ છે કે મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા દરમિયાન ગૃહ મંત્રીની હાજરી જરૂરી છે.
પપ્પુ યાદવ અગાઉ પણ પોતાના અલગ પ્રકારના વિરોધ પ્રદર્શન માટે ચર્ચામાં રહ્યા છે. તેઓ ક્યારેક અલગ વેશ ધારણ કરીને તો ક્યારેક પ્રતીકાત્મક રીતે સરકાર સામે વિરોધ નોંધાવતા જોવા મળ્યા છે. સંસદ પરિસરમાં થયેલા આ અનોખા પ્રદર્શનનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.