હવે ISROએ ચંદ્રયાન ૪ મિશન શરૂ, માટી પણ લાવવાની તૈયારી, જાણો વિગત

Share this story

ચંદ્રયાન-૩ ખૂબ જ સફળ રહ્યું અને હવે ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન તેના આગામી મિશન ચંદ્રયાન-૪ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. આ મિશનનો ધ્યેય ચંદ્ર પરથી માટીના નમૂનાઓ પરત લાવવાનો છે. જેનાથી ભારત અવકાશ સંશોધનમાં આગળ પડતા દેશોમાં સામેલ થશે. સ્પેસ એપ્લીકેશન સેન્ટરના ડાયરેક્ટર નિલેશ દેસાઈએ પૂણેમાં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ મેટિરોલોજીના ૬૨મા સ્થાપના દિવસની ઉજવણી દરમિયાન જણાવ્યું હતું કે ચંદ્રયાન-૪ મિશનનો ઉદ્દેશ ચંદ્રની સપાટી પરથી માટીના નમૂનાને પાછો લાવવાનો હશે. તેમણે કહ્યું કે આ મિશનનું લેન્ડિંગ ચંદ્રયાન-૩ જેવું જ હશે.

ચંદ્રયાન-૪નું કેન્દ્રીય મોડ્યુલ ચંદ્રની પરિક્રમા કરતા મોડ્યુલની સાથે લેન્ડિંગ બાદ પરત ફરશે. જે બાદમાં પૃથ્વીના વાતાવરણની નજીક અલગ થઈ જશે. રી-એન્ટ્રી મોડ્યુલ મૂન રોક અને માટીના નમૂનાઓ સાથે પરત આવશે. આ એક ખૂબ જ મહત્વાકાંક્ષી મિશન હશે. આશા છે કે આગામી પાંચથી સાત વર્ષમાં અમે ચંદ્રની સપાટી પરથી સેમ્પલ લાવવાના આ પડકારને પૂર્ણ કરી લઈશું. આ મિશન ચંદ્રયાન-૩ કરતાં વધુ જટિલ હોવાની અપેક્ષા છે.

ચંદ્રયાન-૩માં ૩૦ કિલોનું રોવર હતું, જ્યારે ચંદ્રયાન-૪માં ૩૫૦ કિલો વજનનું ભારે રોવર લોન્ચ કરવાની યોજના છે. જેનાથી ઈસરો માટે પડકાર ઘણા વધી ગયા છે. ચંદ્રયાન-૪ મિશનનો ઉદ્દેશ્ય ચંદ્રની સપાટી પર ચોક્કસ લેન્ડિંગ કરવાનો છે. જે વિસ્તાર હજુ સુધી શોધાયો નથી. રોવરનો શોધ વિસ્તાર ૧ કિ.મી. x ૧ કિમી છે. જે ચંદ્રયાન-3ના ૫૦૦ મીટર x ૫૦૦ મીટર કરતા ઘણું મોટું હશે. ચંદ્રયાન-૪ની સફળતા ચંદ્રની માટીના નમૂનાઓ પૃથ્વી પર પરત કરવાની તેની ક્ષમતા પર આધારિત છે. આ ઓપરેશનમાં બે લોન્ચ રોકેટ સામેલ હશે. જે મિશનના સ્કેલ અને જટિલતા દર્શાવે છે. ISRO જાપાની સ્પેસ એજન્સી JAXA સાથે અન્ય ચંદ્ર મિશન, LuPEX પર પણ સહયોગ કરી રહ્યું છે. તે ચંદ્રની કાળી બાજુનું અન્વેષણ કરશે. આ મિશનમાં ૩૫૦ કિલો વજન ધરાવતું રોવર ચંદ્રની સપાટી પર ૯૦ ડિગ્રી સુધીના વિસ્તારોની શોધ કરશે.

આ પણ વાંચો :-