કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ મંગળવારે દાવો કર્યો હતો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જમ્મુ અને કાશ્મીરમાં સંભવિત આતંકવાદી હુમલા અંગે ગુપ્તચર અહેવાલ આપવામાં આવ્યો હતો. આ પછી જ તેમનો કાશ્મીર પ્રવાસ રદ કરવામાં આવ્યો. ઝારખંડના રાંચીમાં એક રેલીને સંબોધિત કરતી વખતે ખડગેએ દાવો કર્યો હતો કે 22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના ત્રણ દિવસ પહેલા વડા પ્રધાન મોદીને ગુપ્તચર અહેવાલ મોકલવામાં આવ્યો હતો.
તેમણે કહ્યું કે આ એક ઈન્ટેલિજન્સ નિષ્ફળતા છે. સરકારે તેને સ્વીકારી લીધું છે અને હવે તેઓ તેમાં સુધારો કરશે. જો સરકારને આ વાતની ખબર હતી તો તેમણે કંઈ કેમ ન કર્યું? મને ખબર પડી કે હુમલાના ત્રણ દિવસ પહેલા પીએમ મોદીને એક ગુપ્તચર અહેવાલ મોકલવામાં આવ્યો હતો. આ પછી જ તેમનો કાશ્મીર પ્રવાસ રદ કરવામાં આવ્યો. મેં પણ આ સમાચારપત્રમાં વાંચ્યું છે.
પહેલગામ હુમલા પછી, વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સુરક્ષા પરની કેબિનેટ સમિતિ (CCS) એ તાત્કાલિક અસરથી સિંધુ જળ સંધિને સ્થગિત કરી દીધી હતી. આ પહેલી વાર છે જ્યારે ભારતે આટલી મોટી અને કડક કાર્યવાહી કરી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ત્રણ મોટા યુદ્ધો થયા છે પરંતુ આ સંધિ પહેલાં ક્યારેય સ્થગિત કરવામાં આવી નથી.
ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલ આતંકવાદીઓએ આડેધડ ગોળીબાર કરી 26 લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા, જેમાં મોટાભાગે પ્રવાસીઓ હતા. આ ઉપરાંત હુમલામાં 17 લોકો પણ ઈજાગ્રસ્ત થયા હતા. હુમલા બાદ ભારત સરકારે આતંકી સંગઠનોને આશ્રય આપતા પાકિસ્તાન વિરુદ્ધ આકરી કાર્યવાહી કરી છે. ભારતે સિંધુ જળ કરાર સસ્પેન્ડ કરવાની સાથે પાકિસ્તાન સાથે વિઝા સહિતના તમામ વ્યવહારો બંધ કરી દીધા છે, જ્યારે પાકિસ્તાને પણ ભારત માટે પોતાની એરસ્પેસ બંધ કરવાના સહિતના નિર્ણય લીધા છે. આ ઉપરાંત બંને દેશો વચ્ચે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે.