ઓપરેશન અજય અંતર્ગત 268 ભારતીય અને 18 નેપાળીઓ સહિત ફ્લાઇટ દિલ્હી પહોંચી

Share this story

ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઈઝરાયલથી ભારતીય નાગરિકોને લઈને પાંચમી ફ્લાઈટ ભારત આવી પહોંચી છે. સ્પાઈસ જેટની આ ફ્લાઈટ ૨૮૬ મુસાફરોને લઈને આવી છે, જેમાં ૧૮ નેપાળી નાગરિકનો પણ સમાવેશ થાય છે. ભારત સરકારે યુદ્ધ લડી રહેલા ઈઝરાયલમાંથી ભારતીય નાગરિકોને બહાર કાઢવા માટે ઓપરેશન અજય શરૂ કર્યું છે. આ અભિયાન હેઠળ ભારતીયો તેમના વતન પરત ફરી રહ્યા છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં પાંચમી ફ્લાઇટ ભારત પહોંચી હોવાની જાહેરાત કરી હતી. તેમણે એરપોર્ટ પર મુસાફરોનું સ્વાગત કરતા માહિતી અને પ્રસારણ ખાતાના રાજ્ય મંત્રી એલ મુરુગનની તસવીરો પણ શેર કરી હતી. સ્પાઇસજેટ એરક્રાફ્ટ A૩૪૦ સોમવારે જ પરત ફરવાનું હતું, પરંતુ રવિવારે તેલ અવીવમાં ઉતર્યા પછી, વિમાનમાં તકનીકી સમસ્યા સર્જાઇ હતી. ખામીને દૂર કરવા માટે પ્લેનને જોર્ડન રવાના કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ વિમાન લોકોને લઈને મંગળવારે તેલ અવીવથી ભારત પરત ફર્યું હતું.

ભારતીય દૂતાવાસે જણાવ્યું હતું કે ઇઝરાયલ દૂતાવાસ પણ ભારતના તમામ નાગરિકો જેઓ ભારત પરત ફરવા માગે છે, તેમને સુવિધા આપવા માટે ચોવીસ કલાક કામ કરી રહ્યું છે. નોંધનીય છે કે આ મુસાફરોના પરત આવવાનો ખર્ચ સરકાર ઉઠાવી રહી છે. ઈઝરાયલથી પ્રથમ ચાર્ટર ફ્લાઈટમાં ૨૧૨ ભારતીયો આવ્યા હતા, જ્યારે ૨૩૫ ભારતીય નાગરિકોની બીજો બેચ શનિવારે સવારે પરત આવ્યો હતો.

અત્યાર સુધીમાં ઈઝરાયલથી કુલ ૯૧૮ ભારતીય નાગરિકોને ભારત લાવવામાં આવ્યા છે. આશરે ૧૮,૦૦૦ ભારતીય નાગરિકો ઇઝરાયલમાં રહે છે અને કામ કરે છે, જેમાં સંભાળ રાખનારાઓ, વિદ્યાર્થીઓ, ઘણા આઇટી પ્રોફેશનલ્સ અને હીરાના વેપારીઓનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો :-