બાળકીને પેટના ભાગે ગરમ સોયના ડામ આપવાની ઘટનાથી ચકચાર

Share this story
  • સુરેન્દ્રનગર જિલ્લામાં અંધશ્રદ્ધાના બનાવોમાં સતત વધારો થતો જઈ રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ એક અંધશ્રદ્ધાનો કિસ્સો સામે આવ્યો છે.

પાટડી તાલુકાના વડગામ ખાતે આવેલા સિકોતર માતાજીના મંદિર ખાતે અંદાજિત દસ વર્ષની બાળકીને ગરમ સોયના ડામ આપવામાં આવ્યાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. જેને લઈને બાળકીની તબિયત લથડતા રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવી છે.

મળતી માહિતી મુજબ છેલ્લા કેટલાક દિવસથી દસ વર્ષની બાળકી કોમલ પ્રવીણભાઈ સુરેલાને તાવ આવી રહ્યો હતો અને થોડી બીમાર હતી. ત્યારે ત્યાં નજીકમાં આવેલા વડગામ ખાતે મંદિરે તેને લઈ જવામાં આવી હતી. દરમિયાન ત્યાં રહેલી સકરી મા નામની મહિલા દ્વારા માત્ર દસ વર્ષની બાળકીને ગરમ સોયના ડામ આપ્યા હોવાનું સામે આવ્યું છે.

બાળકીને ગરમ સોયના ડામ આપવામાં આવતા બાળકીની તબિયત લથડતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે. ત્યારે આ અંગે હાલની પરિસ્થિતિ મુજબ સ્થાનિક પોલીસ અને અન્યત્ર બાળકીના પરિવારજનો ત્યાં દોડી ગયા છે અને તપાસની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. બાળકીને હાલમાં રાજકોટની સિવિલ હોસ્પિટલના વેન્ટિલેટર ઉપર રાખવામાં આવી છે. ત્યારે હાલમાં તેની તબિયત ગંભીર હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચો :-