પાવાગઢ મહાકાળી માતાજીના દર્શન માટે જવાનું વિચારી રહેલા ભક્તો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. યાત્રાધામ પાવાગઢ ખાતે ભક્તોને ડુંગર પર પહોંચાડતી રોપવે સેવા થોડા દિવસો માટે બંધ રહેશે જેના કારણે દર્શનાર્થીઓએ આ સમયગાળા દરમિયાન વૈકલ્પિક વ્યવસ્થા સાથે યાત્રાનું આયોજન કરવું પડશે.
પંચમહાલ જિલ્લામાં આવેલા પાવાગઢ ખાતે કાર્યરત રોપવે સેવા આગામી 3 ઓગસ્ટથી 7 ઓગસ્ટ સુધી કુલ પાંચ દિવસ માટે બંધ રાખવામાં આવશે. રોપવેનું સંચાલન કરતી ઉષા બ્રેકો કંપની દ્વારા અર્ધવાર્ષિક મેઇન્ટેનન્સ કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
કંપનીના જણાવ્યા મુજબ, રોપવેની સુરક્ષા અને કાર્યક્ષમતા જાળવવા માટે જરૂરી ટેકનિકલ તપાસ કરવામાં આવશે. આ દરમિયાન રોપવેના વાયર રોપ, ટ્રોલી સહિતના મહત્વના યાંત્રિક ભાગોની ચકાસણી અને સર્વિસિંગની કામગીરી પૂર્ણ કરવામાં આવશે.
રોપવે સેવા બંધ રહે તે દરમિયાન પાવાગઢ આવતા માઇભક્તોને માચીથી નિજ મંદિર સુધી પહોંચવા માટે ડુંગરના પગથિયાંનો ઉપયોગ કરવો પડશે. ખાસ કરીને વૃદ્ધો, બાળકો અને શારીરિક તકલીફ ધરાવતા ભક્તોએ આ દિવસોમાં યાત્રાનું આયોજન સાવચેતીપૂર્વક કરવાની સલાહ આપવામાં આવી છે.
મેઇન્ટેનન્સની કામગીરી પૂર્ણ થયા બાદ 8 ઓગસ્ટથી રોપવે સેવા ફરીથી નિયમિત રીતે શરૂ કરવામાં આવશે. ત્યારબાદ ભક્તો અગાઉની જેમ રોપવે મારફતે સરળતાથી મહાકાળી માતાજીના દર્શન માટે પહોંચી શકશે.