મહારાષ્ટ્રના થાણે જિલ્લાના ભિવંડીમાં ગણપતિ વિસર્જન દરમિયાન ગણપતિની મૂર્તિ પર પથ્થરમારો થયો હોવાના સમાચાર જાણવા મળ્યા છે. મળતી માહિતી અનુસાર ગણપતિની મૂર્તિને વિસર્જન માટે લઇ જતી વખતે મૂર્તિ પર કેટલાક લોકોએ પથ્થરમારો કર્યો હતો, જેનાથી લોકો ગુસ્સે થઈ ગયા હતા અને બે જૂથો વચ્ચે ઝપાઝપી થઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, પોલીસે સ્થિતિને કાબૂમાં લેવા માટે હળવો લાઠીચાર્જ કરવો પડ્યો હતો. આ કેસમાં પોલીસે કેટલાક લોકોની અટકાયત પણ કરી છે.
ગઇકાલે ગણેશોત્સવનો અંતિમ દિવસ અને બાપ્પાના વિસર્જનનો માહોલ હતો. મહારાષ્ટ્રના થાણે જિલ્લાના ભિવંડીમાં પણ ગણપતિ વિસર્જનની ધમાલ હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ મહોલ્લા કમિટી ગણેશ મંડળો દ્વારા વણઝરપટ્ટી નાકા ખાતે આવેલી હિન્દુસ્તાની મસ્જીદની બહાર મંડપ ઉભા કરી લોકોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અને રાત્રે 12 વાગ્યાના સુમારે ભગવાન ગણેશને વિસર્જન માટે ઘુંઘટ નગરથી કમવારી નદીમાં લઈ જવામાં આવી રહ્યા હતા. આ સમયે ગણેશની મૂર્તિ વંઝરપટ્ટી કેનાલ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે હિન્દુસ્તાની મસ્જિદ પાસે કેટલાક લોકોએ મૂર્તિ પર પથ્થરમારો કર્યો હોવાના સમાચાર મળ્યા હતા. આ ઘટનાને કારણે મૂર્તિ ખંડિત થઇ ગઇ હતી. જોકે, પોલીસ તેની તપાસ કરી રહી છે.
ઘટના બાદ મંડળના લોકોએ પ્રતિમા તોડવાને લઈને સ્થળ પર હોબાળો મચાવ્યો હતો. સૂત્રોનું માનીએ તો એક યુવકને ટોળાએ પકડીને માર માર્યો હતો અને પોલીસને હવાલે કર્યો હતો. મૂર્તિ વિસર્જન અંગે મંડળના લોકોએ માંગ કરી હતી કે જ્યાં સુધી પોલીસ તમામ આરોપીઓની ધરપકડ નહીં કરે ત્યાં સુધી મૂર્તિનું વિસર્જન કરવામાં આવશે નહીં. ઘટનાની જાણ થતાં જ અન્ય કેટલાક વિભાગોના લોકો ત્યાં પહોંચ્યા અને જય શ્રી રામના નારા લગાવવા લાગ્યા. થોડી જ વારમાં બંને કોમના લોકોનું ટોળું વધી ગયું હતું અને તંગદિલીનો માહોલ સર્જાયો હતો.
વાતાવરણ બગડતા જોઈને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને લોકોને સમજાવ્યા હતા. જોકે, ગણેશ ભક્તો આરોપીઓની ધરપકડની માંગ સાથે અડગ રહ્યા હતા અને કહ્યું હતું કે જ્યાં સુધી આરોપીઓની ધરપકડ નહીં થાય ત્યાં સુધી ગણપતિ વિસર્જન કરવામાં આવશે નહીં. પોલીસ અને વધતી જતી ભીડ વચ્ચે ઝપાઝપી શરૂ થઈ ગઈ હતી. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસે હળવો લાઠીચાર્જ પણ કર્યો હતો, જેમાં ઘણા લોકોને ઈજા પહોંચી હતી અને કેટલાક પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા હતા.
આ પણ વાંચો :-