Home Blog Page 107

CBIને મોટી સફળતા: ભાગેડુ કમલેશ પારેખનું UAEથી ભારત પ્રત્યાર્પણ, નાણાકીય છેતરપિંડી કેસમાં કસ્ટડીમાં

0

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)ને એક મોટા બેંકિંગ અને નાણાકીય છેતરપિંડીના કેસમાં મહત્વપૂર્ણ સફળતા મળી છે. લાંબા સમયથી ફરાર આરોપી કમલેશ પારેખને સંયુક્ત આરબ અમીરાત (UAE)માંથી ભારત પ્રત્યાર્પણ કરવામાં આવ્યો છે. 1 મેના રોજ તેને ભારત લાવવામાં આવ્યો હતો અને દિલ્હી પહોંચતા જ CBIએ તેની કસ્ટડી સંભાળી લીધી.

કાર્યવાહી કેવી રીતે કરવામાં આવી?
આ સમગ્ર કાર્યવાહી વિદેશ મંત્રાલય અને ગૃહ મંત્રાલય સાથે સંકલનમાં હાથ ધરવામાં આવી હતી. કમલેશ પારેખ વિરુદ્ધ ઇન્ટરપોલ દ્વારા રેડ કોર્નર નોટિસ જારી કરવામાં આવી હતી, જેના આધારે તેને UAEમાં શોધી કાઢી અટકાયત કરવામાં આવી. ત્યારબાદ ભારતની ઔપચારિક વિનંતી અને બંને દેશો વચ્ચેની કાનૂની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેને ભારતીય એજન્સીઓને સોંપવામાં આવ્યો.

દેશની અનેક બેંકો સાથે છેતરપિંડીનો આરોપ
તપાસ એજન્સીઓ મુજબ, કમલેશ પારેખ પર મોટા પાયે બેંકિંગ અને નાણાકીય છેતરપિંડી કરવાનો આરોપ છે. આ કૌભાંડને કારણે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના નેતૃત્વ હેઠળ દેશની અનેક બેંકોને ભારે આર્થિક નુકસાન થયું હોવાનું માનવામાં આવે છે. આ કેસમાં સૈંકડો કરોડ રૂપિયાના ગેરઉપયોગનો અંદાજ છે.

CBI તપાસમાં શું બહાર આવ્યું?
CBIની તપાસમાં સામે આવ્યું છે કે પારેખે અન્ય પ્રમોટરો અને ડિરેક્ટરો સાથે મળી બેંકોમાંથી લીધેલા ભંડોળને વિદેશમાં આવેલી કંપનીઓ મારફતે વાળી દીધું હતું. તેમાં છેતરપિંડીભર્યા નિકાસ વ્યવહારો, શંકાસ્પદ નાણાકીય ટ્રાન્ઝેક્શન અને બેંકિંગ ચેનલ્સનો દુરુપયોગ સામેલ હતો.

આંતરરાષ્ટ્રીય નેટવર્કનો ઉપયોગ, તપાસ આગળ વધતી
સૂત્રો મુજબ, આરોપીએ UAE સહિત અનેક દેશોમાં ફેલાયેલા પોતાના વ્યાપારિક નેટવર્કનો ઉપયોગ કરીને આ છેતરપિંડી આચરી હતી. હાલ તપાસ એજન્સીઓ તેના સંપર્કો અને અન્ય સંડોવાયેલા આરોપીઓ વિશે વધુ માહિતી મેળવવા પૂછપરછ કરી રહી છે.

ભારતમાં ઇન્ટરપોલ માટે રાષ્ટ્રીય કેન્દ્રીય બ્યુરો તરીકે કાર્યરત CBI ભારતપોલ પ્લેટફોર્મ મારફતે દેશની વિવિધ કાયદા અમલીકરણ એજન્સીઓ સાથે સંકલન કરે છે. આ સહયોગના પરિણામે છેલ્લા કેટલાક વર્ષોમાં ઇન્ટરપોલ ચેનલ્સ દ્વારા 150થી વધુ વોન્ટેડ ગુનેગારોને ભારત લાવવામાં આવ્યા છે. તાજેતરની આ કાર્યવાહી આંતરરાષ્ટ્રીય સ્તરે કાયદા અમલીકરણ એજન્સીઓ વચ્ચે મજબૂત સહયોગનું મહત્વપૂર્ણ ઉદાહરણ માનવામાં આવી રહી છે.

Surat: પાલમાં મોર્નિંગ વોક દરમિયાન ચેન સ્નેચિંગ: ક્રાઈમ બ્રાન્ચે સાહિલ શેખને ઝડપી લીધો

સુરત શહેરના પાલ વિસ્તારમાં મોર્નિંગ વોક માટે નીકળેલા દંપતીને નિશાન બનાવી સોનાની ચેન છીનવી ભાગી ગયેલા રીઢા ગુનેગારને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધો છે. શહેરમાં છેલ્લા કેટલાક સમયથી વહેલી સવારે વોકિંગ માટે નીકળતા નાગરિકોને ટાર્ગેટ કરતી ગેંગ સક્રિય હોવાનું સામે આવી રહ્યું છે, જેના કારણે લોકોમાં ભયનો માહોલ છે.

તાજેતરની ઘટનામાં, એક દંપતી સવારના સમયે પાલ વિસ્તારમાં વોકિંગ કરી રહ્યું હતું, ત્યારે બાઇક સવાર બદમાશોએ તેમની સોનાની ચેન તોડી ભાગી છૂટ્યા હતા. ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખીને ક્રાઈમ બ્રાન્ચે તરત જ તપાસ શરૂ કરી અને ટેકનિકલ સર્વેલન્સ તથા સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની ઓળખ કરી.

પોલીસને મળેલી બાતમીના આધારે ભેસ્તાન આવાસ પાસે વોચ ગોઠવવામાં આવી અને ત્યાંથી સાહિલ શેખ નામના શખ્સની ધરપકડ કરવામાં આવી. પૂછપરછ દરમિયાન બહાર આવ્યું કે આરોપી પાસે રહેલા ત્રણ મોબાઈલ ફોન અને મોપેડ પણ ચોરીના હતા. પોલીસે તેની પાસેથી કુલ ₹3.38 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આરોપી પાસેથી વધુ ગુનાઓ અંગે માહિતી મેળવવા પોલીસે તપાસ આગળ ધપાવી છે, જ્યારે શહેરમાં વધતી ચીલઝડપની ઘટનાઓને ધ્યાનમાં રાખીને પોલીસ પેટ્રોલિંગ પણ વધારવામાં આવી રહી છે.

સુરત અલથાણમાં ડમ્પરનો કહેર: મોપેડ સવાર યુવકનું સ્થળ પર જ મોત, ચાલક કસ્ટડીમાં

સુરત શહેરના અલથાણ વિસ્તારમાં એક બેફામ ડમ્પર ચાલકે મોપેડ સવાર યુવકને કચડી નાખતા ભયાનક અકસ્માત સર્જાયો. અથડામણ એટલી જોરદાર હતી કે યુવકનું ઘટનાસ્થળે જ કરુણ મોત થયું, જેના કારણે વિસ્તારમાં શોક અને રોષનું માહોલ ફેલાયો.

પ્રાથમિક માહિતી મુજબ, ભારે વાહનોની અવરજવર વચ્ચે ડમ્પર અચાનક બેકાબૂ બન્યો અને રસ્તા પર જઈ રહેલા મોપેડ સવારને અડફેટે લીધો. શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ભારે વાહનોના વધતા આતંક વચ્ચે આ વધુ એક નિર્દોષનો ભોગ બન્યો હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે.

CCTVમાં કેદ થયેલા ભયાનક દ્રશ્યો
આ સમગ્ર અકસ્માતની ઘટના નજીકના CCTV કેમેરામાં કેદ થઈ હતી. ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે જયેશ પોતાની લેનમાં શાંતિથી જઈ રહ્યો હતો ત્યારે પાછળથી આવેલા ડમ્પરે તેને ટક્કર મારી. અથડામણ બાદ તે બાઈક સાથે ડમ્પરના ટાયર નીચે આવી ગયો અને થોડી દૂર સુધી ઘસડાયો. આ દ્રશ્યો અત્યંત હ્રદયવિદારક હતા.

હેલ્મેટ હોવા છતાં બચી શક્યો નહીં
જયેશે હેલ્મેટ પહેર્યું હોવા છતાં અકસ્માતની તીવ્રતા એટલી વધારે હતી કે ડમ્પરના ભારે ટાયર તેના માથા પરથી ફરી વળતા તેનું મોત થયું. આસપાસના લોકો તરત જ મદદે દોડી આવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં જયેશે દમ તોડી દીધો હતો.

પરિવારમાં શોકની લાગણી
જયેશ પોતાના પરિવારનો એકમાત્ર સહારો હતો. પિતા પ્રાથમિક શાળામાં પ્રિન્સિપાલ છે અને પરિવારની જવાબદારીમાં જયેશનો મોટો ફાળો હતો. હજુ તે અપરિણિત હતો અને તેના લગ્નની તૈયારી ચાલી રહી હતી. નવી સિવિલ હોસ્પિટલમાં માતાનું કરુણ રોદન – “બેટા, તારા તો લગ્ન કરાવવાના હતા” – સાંભળીને સૌ કોઈ ભાવુક બની ગયા હતા.

અકસ્મત બાદ ભાગવાનો પ્રયાસ કરનાર ડમ્પર ચાલક રામ નરેશ રાજેન્દ્ર યાદવ (ઉંમર 32)ને સ્થાનિક લોકોએ પકડીને પોલીસને સોંપ્યો હતો. અલથાણ પોલીસ દ્વારા તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ગાંધીનગરમાં પ્રેમી યુગલનો વૃક્ષ પર સાડી વડે ગળેફાંસો, પરણીત મહિલા અને પ્રેમીના આપઘાતથી ચકચાર

ગાંધીનગર નજીક ચિલોડા ગામની સીમમાં પ્રેમી પંખીડાએ વૃક્ષ સાથે ગાળિયો બાંધી સજોડે ફાંસો ખાધો લીધો હોવાના બનાવે ચકચાર જગાવી છે. સવારના સમયે ખેતરે જઇ રહેલા ગ્રામજનોએ સરકારી બોર નજીક ઝાડ સાથે બે લાશ લટકતી જોઇ ચોંકી ઉઠ્યા હતાં. જોતજોતામાં વાત ફેલાઇ જતા લોકોના ટોળા એકત્ર થયા હતાં. બનાવ અંગે ચિલોડા પોલીસે તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ, ચિલોડા ગામમાં રહેતા છૂટાછેડા વાળો પુરુષ અને પરિણીત મહિલા વચ્ચે છેલ્લા કેટલાક સમયથી પ્રેમ સંબંધો હતો. શુક્રવારે સવારે જ્યારે ગ્રામજનો ખેતરો તરફ જઈ રહ્યા હતા, ત્યારે સરકારી બોર પાસેના આંબાના વૃક્ષની ડાળીએ બે લાશ લટકતી જોઇ ચોંકી ઉઠ્યા હતાં. ગ્રામજનોએ આ અંગે જાણ કરતા ચિલોડા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને બંનેના મૃતદેહ નીચે ઉતરાવી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં પ્રેમ પ્રકરણના કારણે બન્ને જણાએ અંતિમ પગલું હોવાનું સામે આવ્યું છે.

પોલીસે FSL અને મામલતદારને સ્થળ પર બોલાવી તપાસ હાથ ધરી છે. ચિલોડા પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, પ્રાથમિક દૃષ્ટિએ પ્રેમ પ્રકરણના મામલે અંતિમ પગલું ભર્યું હોય તેવું જણાય છે. અમે બંને પરિવારોના સભ્યોની પૂછપરછ કરી રહ્યા છીએ. FSLના રિપોર્ટ બાદ મૃત્યુનું ચોક્કસ કારણ અને સમય જાણી શકાશે. કદાચ સામાજિક બદનામીના ડરે અથવા તો સાથે ન રહી શકવાની મજબૂરીમાં બંનેએ આ પગલું ભર્યું હોઈ શકે છે. આ બાબતે મૃતકોના પરિવારજનો અને ગ્રામજનોના નિવેદનો નોંધવાની કાર્યવાહી પોલીસે શરૂ કરી છે. હાલ તો પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

હૈદરાબાદમાં ભયાનક અકસ્માત: ટ્રકની પાછળ કાર ઘુસતા એક જ પરિવારના 6નાં મોત

0

તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં શુક્રવારે આઉટર રિંગ રોડ (ORR) પર એક પૂરપાટ ઝડપે જતી કાર પાર્ક કરેલા ટ્રક સાથે અથડાતા છ લોકોના મોત થયા છે અને એક ઘાયલ થયો છે. પોલીસે આ અંગે માહિતી આપી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, બપોરે આ અકસ્માત ત્યારે થયો જ્યારે પૂર ઝડપે જતી કારે ટ્રકને પાછળથી ટક્કર મારી, જેમાં છ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા. તેમણે જણાવ્યું હતું કે, ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અહેવાલો અનુસાર, આઉટર રિંગ રોડ (ORR) એક્ઝિટ ૧૬ પર પાર્ક કરેલા ટ્રક સાથે એક કારે પાછળથી ટક્કર મારી. મૃતકોમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે.

માર્ગ અકસ્માત એટલો ગંભીર હતો કે કાર ટ્રકની પાછળના ભાગમાં ફસાઈ ગઈ. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને બચાવ કામગીરી શરૂ કરી. ખૂબ જ મુશ્કેલીથી મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા. અકસ્માત સમયે કારમાં સાત લોકો હતા. એવું માનવામાં આવે છે કે ઝડપી ગતિ અકસ્માતનું કારણ હતી.

સુરત ગ્રામ્ય SOGના હેડ કૉન્સ્ટેબલનું માર્ગ અકસ્માતમાં મોત

સુરત ગ્રામ્ય SOGમાં ફરજ બજાવતા હેડ કૉન્સ્ટેબલ ભરતભાઈ દેસાઈનું માર્ગ અકસ્માતમાં કરુણ મોત થયું છે. આ ગમખ્વાર ઘટના વડોદરા જિલ્લાના પાદરા નજીક એક્સપ્રેસ-વે પર બની હતી, જ્યાં તેમની કાર અચાનક આગળ જતી એસટી બસની પાછળ જોરદાર અથડાઈ ગઈ. અથડામણ એટલી ભયાનક હતી કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો અને ભરત દેસાઈનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.

પ્રાથમિક માહિતી મુજબ, સુરત ગ્રામ્ય એસઓજીના હેડ કૉન્સ્ટેબલ ભરત દેસાઈ પોતાની ખાનગી કારમાં એક્સપ્રેસ વે પર મુસાફરી કરી રહ્યાં હતાં તે સમયે પાદરા નજીક તેમણે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો. ભરત દેસાઈની કાર આગળ જઈ રહેલી એસટી બસના પાછળના ભાગે અંદર સુધી ઘૂસી ગઈ હતી. ધડાકાભેર થયેલા અકસ્માતના કારણે કારના ભૂક્કા બોલી ગયા હતા અને ડ્રાઈવીંગ સીટ પર બેસેલા ભરત દેસાઈનું સ્થળ પર મોત થયું હતું. અકસ્માતના પગલે 108 તેમજ પોલીસ સ્ટાફ દોડી આવ્યો હતો અને કારને બસની નીચેથી બહાર કાઢવામાં આવી હતી. અત્રે નોંધનીય છે કે, બે મહિના અગાઉ જ ભરત દેસાઈના પિતાનું નિધન થયું છે.

ઇંધણના ભાવ પર મોટું અપડેટ: પેટ્રોલ-ડીઝલ અને LPG મોંઘા થવાની સંભાવના, ખિસ્સા પર સીધી અસર

0

ચાલી રહેલા ગલ્ફ વોર વચ્ચે ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર વધારાથી ભારતની સરકારી તેલ કંપનીઓ પર દબાણ વધ્યું છે. જાહેર ક્ષેત્રની તેલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) એ સરકાર પાસે પેટ્રોલ, ડીઝલ અને LPGના ભાવ વધારવાની માંગ કરી છે. ગુરુવારે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ ૧૨૬ ડોલર પ્રતિ બેરલને વટાવી ગયા હતા, જેના કારણે આ કંપનીઓનું નુકસાન વધુ વધ્યું હતું. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર નૌકાદળ નાકાબંધી લંબાવવાના સંકેત આપ્યા બાદ તેલના ભાવમાં આ વધારો થયો છે. આનાથી વૈશ્વિક તેલ પુરવઠા

માટેનો મુખ્ય માર્ગ , હોર્મુઝ સ્ટ્રેટના લાંબા સમય સુધી બંધ થવાની શક્યતા વધી ગઈ છે . આનાથી તેલ પુરવઠામાં વિક્ષેપનું જોખમ વધ્યું છે. ઇકોનોમિક ટાઇમ્સના અહેવાલ મુજબ, ક્રૂડ ઓઇલના વધતા ભાવોને કારણે OMCs (IOC, BPCL, HPCL) ને પેટ્રોલ, ડીઝલ, રસોઈ ગેસ અને ઉડ્ડયન બળતણ (ATF) ના વેચાણ પર ભારે નુકસાન થઈ રહ્યું છે.

સરકારનો શું અભિપ્રાય છે?
ઇંધણ કંપનીઓએ ભાવમાં તાત્કાલિક વધારો કરવાની માંગ કરી છે, પરંતુ સરકાર હાલ માટે સામાન્ય લોકોને આ ફુગાવાથી બચાવવા માંગે છે. પેટ્રોલિયમ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય ભાવ ખૂબ જ અસ્થિર છે અને ઝડપથી વધ્યા છે, પરંતુ સરકાર ગ્રાહકોને થતી અસુવિધાને ઓછી કરવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે હાલ માટે તાત્કાલિક ભાવ વધારાની ખબરોને ફગાવી દીધી છે.

વૈશ્વિક બજારમાં ભાવ કેટલો વધ્યો?

  • ફેબ્રુઆરીની સરખામણીમાં એપ્રિલમાં ડીઝલના ભાવમાં ૧૧૯%નો વધારો થયો છે.
  • જ્યારે પેટ્રોલ 69% મોંઘુ થયું છે.
  • LPGના ભાવમાં 40% થી વધુનો વધારો થયો છે.
  • ATF ના ભાવ પણ લગભગ બમણા થઈ ગયા છે.

ભારતમાં અત્યાર સુધીમાં કેટલો વિકાસ થયો છે?

  • આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ માટે ATF, કોમર્શિયલ ગેસ સિલિન્ડર (તાજેતરમાં 993 રૂપિયાનો જંગી વધારો) અને બલ્ક ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.
  • એપ્રિલ 2022 થી સામાન્ય પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રાખવામાં આવ્યા છે.
  • અત્યાર સુધી, ઘરેલુ LPG માં પ્રતિ સિલિન્ડર માત્ર 50 રૂપિયાનો નજીવો વધારો થયો છે.

સરકાર શું કરી શકે?
નિષ્ણાતો માને છે કે ગલ્ફ વોર ટૂંક સમયમાં સમાપ્ત થવાના કોઈ સંકેત દેખાતા નથી, તેથી નજીકના ભવિષ્યમાં છૂટક ભાવમાં વધારો થઈ શકે છે. સરકાર કાં તો ગ્રાહકો પર બોજ નાખશે અથવા નુકસાનને પહોંચી વળવા કંપનીઓને ભારે સબસિડી આપશે, જેનાથી જાહેર તિજોરી પર વધુ ભાર પડશે.

પુણેમાં ક્રૂરતા: 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા, 65 વર્ષીય આરોપી ઝડપાયો

0

મહારાષ્ટ્રના પુણે જિલ્લાના ભોર તાલુકામાં એક દિલ દહોળી નાખે તેવી ઘટના સામે આવી છે, જેમાં 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરી તેની હત્યા કરવામાં આવી હોવાનો આરોપ છે. પોલીસ મુજબ, આ મામલે 65 વર્ષીય વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. ઘટના શુક્રવારે બની હોવાનું જણાવાયું છે.

પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, આરોપીએ બાળકીને ખાવાનું આપવાની લાલચ આપી તેને ગાયોના શેડમાં લઈ ગયો, જ્યાં તેના પર દુષ્કર્મ કરીને તેની હત્યા કરી નાખી. જ્યારે બાળકી ગાયબ થઈ, ત્યારે પરિવારજનો તેની શોધખોળમાં લાગ્યા. તપાસ દરમિયાન એક ખાનગી ઘરના CCTV ફૂટેજમાં આરોપી બાળકી સાથે દેખાયો, જેના આધારે પોલીસને મહત્વપૂર્ણ પુરાવા મળ્યા.

આ ઘટના સામે આવતા જ સૈંકડો ગામલોકો પોલીસ ચોકી પર ભેગા થયા અને આરોપી સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી. ત્યારબાદ ભીડે મુંબઈ-બેંગલુરુ હાઈવે પર ચક્કાજામ કરીને વિરોધ નોંધાવ્યો, જેના કારણે ભારે ટ્રાફિક જામ સર્જાયો.

પુણે ગ્રામ્ય પોલીસના સુપરિન્ટેન્ડન્ટ સંદિપસિંહ ગિલએ લોકોમાં શાંતિ જાળવવાની અપીલ કરી અને આશ્વાસન આપ્યું કે આ કેસમાં 15 દિવસની અંદર ચાર્જશીટ દાખલ કરવામાં આવશે.

Dollar vs Rupee: ક્રૂડ ઓઇલ મોંઘું થતા રૂપિયા પર ડબલ ઝટકો, રોકાણકારોનો વિશ્વાસ હચમચ્યો

0

ઈરાન યુદ્ધ શરૂ થયા પછી ડોલર સામે રૂપિયો 4% થી વધુ ઘટ્યો છે. ગુરુવારે, જ્યારે ભારતીય ચલણ 95 રૂપિયા પ્રતિ ડોલરને પાર કરી ગયું, ત્યારે ચિંતા ફક્ત અવમૂલ્યનની નથી, પરંતુ તે પણ છે કે તેમાં સુધારો થવાની કોઈ જગ્યા નથી.

દબાણ હેઠળ અર્થતંત્ર: અમેરિકા અને ઇઝરાયલના ઈરાન પર હુમલા પછી વિશ્વભરની અર્થવ્યવસ્થાઓ દબાણ હેઠળ છે . જોકે, જે દેશોને અન્ય દેશોમાંથી તેલ અને ગેસ ખરીદવો પડે છે તેમના માટે ચિંતા વધુ છે. ભારત અહીં ફસાયેલું અનુભવે છે, અને તેની અસર રૂપિયાના ઘટતા મૂલ્યમાં દેખાય છે.

બેવડી માર: ક્રૂડ ઓઇલ 2022 પછીના તેના ઉચ્ચતમ સ્તરે છે. શુક્રવારે, બ્રેન્ટ ક્રૂડનો ભાવ પ્રતિ બેરલ $110 હતો, જ્યારે એક દિવસ પહેલા તે $126 ને સ્પર્શી ગયો હતો. બે મહિના પહેલા જ્યારે યુદ્ધ શરૂ થયું ત્યારે ક્રૂડનો ભાવ પ્રતિ બેરલ $72 ની આસપાસ હતો. ચિંતાજનક બાબત એ છે કે 126 પણ છેલ્લો સ્ટોપ નથી અને એવી આશંકા છે કે તે 150 ડોલર સુધી પહોંચી શકે છે.

આયાત બિલ: ક્રૂડ ઓઇલના ભાવ જેટલા ઊંચા જશે અને તે જેટલા લાંબા સમય સુધી ઊંચા રહેશે, ભારતને તેટલું જ નુકસાન થશે કારણ કે તેને આયાત પર વધુ ડોલર ખર્ચવા પડશે. આના કારણે રૂપિયાનું મૂલ્ય ઘટશે, જે હાલમાં થઈ રહ્યું છે. એક અંદાજ મુજબ, પ્રતિ બેરલ ક્રૂડ ઓઇલના ભાવમાં $10 નો વધારો GDP પર 0.5% સુધી અસર કરે છે. આનો અર્થ એ છે કે જો આ પરિસ્થિતિ લાંબા સમય સુધી ચાલુ રહેશે, તો સમગ્ર અર્થતંત્ર નબળું પડી શકે છે. વિદેશી રોકાણકારોના બહાર જવાથી રૂપિયાને વધુ એક ફટકો પડી રહ્યો છે. આ વર્ષે અત્યાર સુધીમાં, વિદેશી રોકાણકારોએ $20 બિલિયનથી વધુ રકમ પાછી ખેંચી લીધી છે.

પગલાં બિનઅસરકારક: 2022 માં રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયું ત્યારે ભારતે આર્થિક પડકારોનો સામનો કરવો પડ્યો. તે વર્ષ દરમિયાન ડોલર સામે રૂપિયાનું મૂલ્ય 10% ઘટ્યું હતું. તેનું મુખ્ય કારણ ક્રૂડ ઓઇલના વધતા ભાવ હતા, જેના કારણે આયાત બિલમાં વધારો થયો હતો. જો કે, તે સમયે ઉત્પાદન અને પુરવઠા શૃંખલાઓ આજની જેમ ગંભીર રીતે પ્રભાવિત થઈ ન હતી. RBI એ માર્ચમાં ચલણને સ્થિર કરવાનો પ્રયાસ કર્યો, જેના કારણે થોડી રિકવરી થઈ. જો કે, રૂપિયા માટે પડકારો હવે ફરી વધી રહ્યા છે.

TMCને સુપ્રીમ કોર્ટનો ઝટકો: મતગણતરીમાં કેન્દ્રીય કર્મચારીઓની નિમણૂકને મંજૂરી

0

સુપ્રીમ કોર્ટેએ શનિવારે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે કેન્દ્ર સરકાર અને PSU કર્મચારીઓને ગણતરી નિરીક્ષક તરીકે નિયુક્ત કરવાના મુદ્દે (TMC)ની અરજી ફગાવી દીધી. કોર્ટે સાથે જ ભારતના ચૂંટણી પંચના નિવેદનને રેકોર્ડમાં લીધું કે 13 એપ્રિલનો પરિપત્ર અક્ષરશઃ અમલમાં મૂકવામાં આવશે.

આ અરજી કોલકાતા હાઈકોર્ટનાના અગાઉના આદેશ સામે દાખલ કરવામાં આવી હતી, જેમાં મતગણતરી વ્યવસ્થા સામે TMCના પડકારને નકારી દેવામાં આવ્યો હતો. જસ્ટિસ પીએસ નરસિંહા અને જૉયમલ્યા બાગચીની વિશેષ બેન્ચે આ મામલે સુનાવણી કરી, જ્યારે મતગણતરી 4 મેના રોજ થવાની હતી.

સુનાવણી દરમિયાન બેન્ચે નોંધ્યું કે મતગણતરી દરમિયાન TMCના પ્રતિનિધિઓ હાજર રહેશે અને જણાવ્યું કે ચૂંટણી પંચનો પરિપત્ર નિયમોના વિરુદ્ધ નથી. TMC તરફથી વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ અને મીનાક્ષી અરોરાએ દલીલ કરી કે 13 એપ્રિલનો પરિપત્ર અરજદારને મોડો મળ્યો હતો અને અગાઉથી માહિતી આપવાનો દાવો શંકાસ્પદ છે.

ચૂંટણી પંચ તરફથી વરિષ્ઠ વકીલ ડી.એસ. નાયડુએ રજૂઆત કરી કે રાજ્ય સરકારના કર્મચારીઓ રિટર્નિંગ ઓફિસર તરીકે ગણતરી પ્રક્રિયા પર સંપૂર્ણ નિયંત્રણ રાખે છે અને કર્મચારીઓની પસંદગી પણ કરે છે. તેમણે ઉમેર્યું કે ઉઠાવવામાં આવેલી ચિંતાઓ “ખોટી આશંકા” પર આધારિત છે અને 13 એપ્રિલના પરિપત્રનું સંપૂર્ણ પાલન કરવામાં આવશે.

કોર્ટએ વધુમાં જણાવ્યું કે ગણતરી નિરીક્ષક અને સહાયક તરીકે એક રાજ્ય અને એક કેન્દ્ર સરકારના કર્મચારીની નિમણૂક કરવામાં આવશે. જસ્ટિસ બાગચીએ કહ્યું કે આવા નિર્ણયોમાં ચૂંટણી પંચનો અધિકાર છે અને તેમાં મોટો ફેરફાર પડતો નથી. સાથે જ તેમણે નોંધ્યું કે પક્ષોના ગણતરી એજન્ટો હાજર રહેશે અને માઇક્રો-ઓબ્ઝર્વર પણ પહેલેથી જ વ્યવસ્થામાં સામેલ છે.

મમતા બેનર્જીના નેતૃત્વ હેઠળની તૃણમૂલ કોંગ્રેસે શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી, જ્યારે હાઈકોર્ટે તેમની અરજીને ફગાવી દીધી હતી.