ગાંધીનગર નજીક ચિલોડા ગામની સીમમાં પ્રેમી પંખીડાએ વૃક્ષ સાથે ગાળિયો બાંધી સજોડે ફાંસો ખાધો લીધો હોવાના બનાવે ચકચાર જગાવી છે. સવારના સમયે ખેતરે જઇ રહેલા ગ્રામજનોએ સરકારી બોર નજીક ઝાડ સાથે બે લાશ લટકતી જોઇ ચોંકી ઉઠ્યા હતાં. જોતજોતામાં વાત ફેલાઇ જતા લોકોના ટોળા એકત્ર થયા હતાં. બનાવ અંગે ચિલોડા પોલીસે તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, ચિલોડા ગામમાં રહેતા છૂટાછેડા વાળો પુરુષ અને પરિણીત મહિલા વચ્ચે છેલ્લા કેટલાક સમયથી પ્રેમ સંબંધો હતો. શુક્રવારે સવારે જ્યારે ગ્રામજનો ખેતરો તરફ જઈ રહ્યા હતા, ત્યારે સરકારી બોર પાસેના આંબાના વૃક્ષની ડાળીએ બે લાશ લટકતી જોઇ ચોંકી ઉઠ્યા હતાં. ગ્રામજનોએ આ અંગે જાણ કરતા ચિલોડા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને બંનેના મૃતદેહ નીચે ઉતરાવી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં પ્રેમ પ્રકરણના કારણે બન્ને જણાએ અંતિમ પગલું હોવાનું સામે આવ્યું છે.
પોલીસે FSL અને મામલતદારને સ્થળ પર બોલાવી તપાસ હાથ ધરી છે. ચિલોડા પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, પ્રાથમિક દૃષ્ટિએ પ્રેમ પ્રકરણના મામલે અંતિમ પગલું ભર્યું હોય તેવું જણાય છે. અમે બંને પરિવારોના સભ્યોની પૂછપરછ કરી રહ્યા છીએ. FSLના રિપોર્ટ બાદ મૃત્યુનું ચોક્કસ કારણ અને સમય જાણી શકાશે. કદાચ સામાજિક બદનામીના ડરે અથવા તો સાથે ન રહી શકવાની મજબૂરીમાં બંનેએ આ પગલું ભર્યું હોઈ શકે છે. આ બાબતે મૃતકોના પરિવારજનો અને ગ્રામજનોના નિવેદનો નોંધવાની કાર્યવાહી પોલીસે શરૂ કરી છે. હાલ તો પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.