Saturday, Aug 8, 2026

મોબાઈલ સ્નેચિંગ બન્યું મોતનું કારણ! ચાલુ ટ્રેનમાંથી પટકાયો મુસાફર, CCTVમાં કેદ થઈ ચોંકાવનારી ઘટના

1 Min Read

મોબાઈલ ફોનની એક ઝૂંટાઝૂંટે 32 વર્ષીય મુસાફરની જિંદગી છીનવી લીધી હતી. અંકલેશ્વરના પાનોલી રેલવે સ્ટેશન નજીક ચાલુ ટ્રેનમાંથી પટકાયેલા અશોક ગુર્જર ગંભીર રીતે ઘવાયો અને સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા બાદ સમગ્ર બનાવની ભયાનકતા સામે આવી છે.

મૂળ રાજસ્થાનનો અશોક ગુર્જર રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. 6 ઓગસ્ટે તેઓ જયપુર-બાંદ્રા સુપરફાસ્ટ ટ્રેન નંબર 12980માં સવાઈ માધવપુરથી સુરત તરફ મુસાફરી કરી રહ્યો હતો. તે જનરલ કોચના દરવાજા નજીક બેઠો હતો.

ટ્રેન પાનોલી સ્ટેશન પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે પ્લેટફોર્મ પર સૂતેલો એક શખસ અચાનક દોડી આવ્યો અને અશોકનો મોબાઈલ ઝૂંટવી લીધો હતો. અચાનક થયેલા આંચકામાં અશોક ટ્રેનમાંથી નીચે પડકાયો હતો. પકડ છૂટી જતાં તે પ્લેટફોર્મ પર પડ્યો અને આશરે 100 મીટર સુધી ઢસડાયા બાદ ટ્રેનની નીચે આવી ગયો હતો.

CCTVમાં શંકાસ્પદ શખસ મોબાઈલ લઈને ભાગતો દેખાય છે. બાદમાં તે સાથી સાથે પરત આવી વસ્તુઓ ઉઠાવી ફરાર થયો હોવાનું સામે આવ્યું છે. ભરૂચ રેલવે પોલીસે બે શંકાસ્પદોની શોધખોળ શરૂ કરી છે.

Share This Article