સુરતીઓ માટે મહત્વના સમાચાર છે. જો તમે વરાછા, અશ્વિનીકુમાર, ફુલપાડા, કાપોદ્રા કે શહેરના મધ્ય વિસ્તારમાં રહેતા હો, તો 12 ઓગસ્ટે પાણીની અછતનો સામનો કરવો પડી શકે છે. સુરત મહાનગરપાલિકા દ્વારા મુખ્ય પાણી વિતરણ લાઇનમાં લીકેજ રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી શહેરના અનેક વિસ્તારોમાં નિર્ધારિત સમયગાળા દરમિયાન પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે.
સુરતના જુના પૂર્વ ઝોન (વરાછા-એ) વિસ્તારમાં વરાછા મેઇન રોડ પર બરોડા પ્રીસ્ટેજ જંકશન નજીક આવેલી 1219 મીમી વ્યાસની M.S. ડિસ્ટ્રીબ્યુશન લાઇનમાં લીકેજ રિપેરિંગનું કામ કરવામાં આવશે. આ લાઇન વરાછા તેમજ સેન્ટ્રલ ઝોનના વિવિધ વિસ્તારોમાં પાણી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
મહાનગરપાલિકા મુજબ કામગીરી 11 ઓગસ્ટે રાત્રે 11 વાગ્યાથી શરૂ થઈને 12 ઓગસ્ટે સાંજે 6 વાગ્યા સુધી ચાલવાની શક્યતા છે. આ દરમિયાન અલગ-અલગ ઝોનમાં અલગ સમયગાળા માટે પાણી પુરવઠો બંધ રહેશે.
12 ઓગસ્ટે સવારે 5થી 8 વાગ્યા સુધી સેન્ટ્રલ ઝોનના દક્ષિણ વિભાગમાં પાણી પુરવઠો બંધ રહેશે. તેમાં રાજમાર્ગથી દક્ષિણ તરફના બેગમપુરા, સલાબતપુરા, ગોપીપુરા, સગરામપુરા, નાનપુરા, રૂદરપુરા, સોની ફળીયા તેમજ આસપાસના વિસ્તારોનો સમાવેશ થાય છે. રેલવે સ્ટેશન અને સુમુલ ડેરી વિસ્તાર પણ અસરગ્રસ્ત રહેશે.
પૂર્વ ઝોન-એ (વરાછા)માં બપોરે 12:30થી 3:45 વાગ્યા સુધી પાણી પુરવઠો બંધ રહેશે. રેલવે સ્ટેશન, સુમુલ ડેરી, અશ્વિનીકુમાર, ફુલપાડા, લંબે હનુમાન રોડ, ઉમરવાડા, નાના વરાછા, કરંજ, કાપોદ્રા, સીતારામ સોસાયટી અને આઇમાતા રોડ સહિત આસપાસના વિસ્તારોમાં તેની અસર પડશે.
રિપેરિંગ પૂર્ણ થયા બાદ 13 ઓગસ્ટે પણ કેટલાક વિસ્તારોમાં ઓછા પ્રેશરથી અથવા ઓછા જથ્થામાં પાણી મળવાની શક્યતા છે. પાલિકાએ નાગરિકોને અગાઉથી પાણીનો સંગ્રહ કરવા અને તેનો કરકસરપૂર્વક ઉપયોગ કરવાની અપીલ કરી છે. કામગીરી સમય પહેલાં પૂર્ણ થશે તો પાણી પુરવઠો વહેલી તકે સામાન્ય કરી દેવામાં આવશે.