Thursday, May 22, 2025

INS સુરતના સફળ પરીક્ષણ સાથે ભારતે બતાવ્યું શૌર્ય, હવે શત્રુએ બચવું મુશ્કેલ

2 Min Read

જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા વચ્ચે ભારતે દરિયાઈ સુરક્ષા અંગે મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. ભારતીય નૌસેનાનું નવીનતમ સ્વદેશી માર્ગદર્શન ક્ષમતા ધરાવતું મિસાઇલ વિધ્વંસક જહાજ, INS સુરતે સમુદ્રમાં લક્ષ્ય પર સફળતાપૂર્વક પ્રહાર કર્યો છે.

આ નૌસેનાની રક્ષણાત્મક ક્ષમતા મજબૂત કરવામાં એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન છે. આ સિદ્ધિ ભારતની સ્વદેશી યુદ્ધજહાજ ડિઝાઇન, વિકાસ અને સંચાલન ક્ષમતા વધતી જતી હોવાનો પરિચય છે તેમજ રક્ષણ ઉત્પાદન ક્ષેત્રે આત્મનિર્ભર બનવાની રાષ્ટ્રીય પ્રતિબદ્ધતાને દર્શાવે છે.

INS સુરત મિસાઇલ હુમલાની સ્થિતિમાં દુશ્મનની મિસાઇલોને ઓળખી શકે છે અને તેને હવામાં કે પાણીમાં જ નષ્ટ કરવાની ક્ષમતા ધરાવે છે. આથી ભારતની દરિયાઈ સીમા વધુ મજબૂત બને છે. ભારતની સીમાનો મોટો હિસ્સો દરિયા સાથે સંકળાયેલો છે, જેને ધ્યાનમાં લેતાં આ સિદ્ધિ વધુ મહત્વપૂર્ણ બની જાય છે.

ભારતીય નૌસેનાએ INS સુરતના સફળ પરીક્ષણનો વીડિયો શેર કરતાં લખ્યું કે, આ માઈલસ્ટોન દેશના દરિયાઈ હિતોની રક્ષા માટે ભારતીય નૌસેનાની અવિચલ પ્રતિબદ્ધતા અને આત્મનિર્ભર ભારત પ્રત્યે સમર્પણનો પુરાવો છે. ભારતીય સેનાનું નવીનતમ સ્વદેશી માર્ગદર્શન મિસાઇલ વિધ્વંસક INS સુરતે સમુદ્રમાં લક્ષ્ય પર સચોટ રીતે સફળતાપૂર્વક પ્રહાર કર્યો, જે આપણા રક્ષણ ક્ષમતા મજબૂત બનાવવા માટે એક વધુ પગથિયો સાબિત થયો.

પાકિસ્તાન પણ મિસાઇલ પરીક્ષણ કરી રહ્યો છે

‘પાકિસ્તાને 24-25 એપ્રિલના રોજ પોતાના વિશિષ્ટ આર્થિક વિસ્તારમાં કરાચી કાંઠે જમીનથી જમીન પર માર કરનારી મિસાઇલનું પરીક્ષણ કરવા માટે સૂચના જાહેર કરી છે.’ સૂત્રોએ વધુમાં જણાવ્યું કે, ‘ભારતીય એજન્સીઓ તમામ ઘટનાઓ પર કડક નજર રાખી રહી છે.’

ભારતે પાકિસ્તાન પર પ્રતિબંધો લાગૂ કર્યા

પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં પાકિસ્તાન સમર્થિત આતંકીઓ સામેલ હોવાને કારણે ભારતે પાકિસ્તાન સામે પાંચ મોટા નિર્ણયો લીધા છે. ભારતે તમામ પાકિસ્તાની નાગરિકોને દેશ છોડવા માટે કહ્યું છે. સાથે જ અટારી બોર્ડર બંધ કરી દેવામાં આવી છે અને સિંધુ જળ કરાર રદ કરવામાં આવ્યો છે. પાકિસ્તાન નાગરિકોના વિઝા બંધ કરી દેવામાં આવ્યા છે અને હાઈ કમિશનમાં કર્મચારીઓની સંખ્યા 55માંથી ઘટાડીને 30 કરવામાં આવી છે. સાત દિવસની અંદર વધારાના અધિકારીઓએ ભારત છોડવું પડશે.

Share This Article