હજી કેટલા લોકોનો જીવ લેશે આ હાઈવે : બાવળા બગોદરા હાઈવે પર અકસ્માત, ૧૦ લોકોને કાળ ભરખી ગયો

Share this story
  • અમદાવાદ જિલ્લામાં બાવળા-બગોદરા રોડ પાસે અકસ્માત. અકસ્માતમાં ૧૦ લોકોના મૃત્યુ થયા. ૫ મહિલા, ૨ પુરુષ અને ૩ બાળકોના મૃત્યુ થયા.

શુક્રવારનો દિવસ ગોઝારો સાબિત થયો છે. બાવળા બગોદરા રોડ પર ગોઝારો અકસ્માતમાં ૧૦ લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. પંચર પડેલી ટ્રક રોડ પર ઉભી હતી. ત્યારે ટ્રક પાછળ છોટા હાથી ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં છોટા હાથીમાં સવાર ૧૦ લોકોના મોત નિપજ્યા છે. ૫ મહિલા, ૩ બાળકો અને ૨ પુરુષોના મોત થયા છે.

છોટા હાથીની અંદર આગળ ૩ લોકો અને પાછળ ૧૦ લોકો બેઠા હતા. જેમાંથી ૧૦ મુસાફરોના મોત નિપજ્યા છે. તેમજ 3 ઘાયલોને સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયા છે. ૧૦ લોકોના ઘટના સ્થળે કમકમાટીભર્યા મોત નિપજતા વાતાવરણમાં ગમગીની છવાઈ ગઈ છે. આ તમામ લોકો ચોટીલાથી દર્શન કરી પરત ફરી રહ્યા હતા. તમામ કપડવંજના સુંધા ગામના વતની હોવાનું સામે આવ્યું છે. અકસ્માતને પગલે બાવળા બગોદરા હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો છે.

અકસ્માતની વિગતો એવી છે કે કપડવંજ અને બાલાસિનોરના ૧૭ લોકો છોટા હાથીના લોડિંગ ટેમ્પોમાં બેસીને ચોટીલા દર્શન કરવા માટે ગયા હતા. ત્યાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે બાવળા-બગોદરાની વચ્ચે એક ટ્રક પંચર થયેલી ઊભી હતા. ત્યારે અચાનક ઊભેલી ટ્રકની પાછળ આ લોડિંગ ટેમ્પો ઘૂસી જતા ઘટનાસ્થળે ૧૦ લોકોએ દમ તોડી દીધો હતો.

હાલ તમામ ૧૦ મૃતકોના પોસ્ટમોર્ટમ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. અકસ્માતને પગલે હોસ્પિટલની બહાર મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે. તો બીજી તરફ ટ્રાફિક જામથી અન્ય નાગરિકો અટવાયા છે. આ અકસ્માત બાવળા-બગોદરા વચ્ચે અને અમદાવાદથી ૫૦ કિમી દૂર અકસ્માત થયો છે. અકસ્માતના જાણ થતા જ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. મૃતકોને ગાડીમાંથી બહાર કાઢાયા હતા. તો બીજી તરફ ટ્રાફિક હળવો કરવાની કામગીરી પણ હાથ ધરાઈ હતી.