ગીરનાં ખેડૂતોને માથે નવી આફત, આખી રાત કરવા પડે છે ઉજાગરા

Share this story

Farmers of Gir face a new disaster

  • દીપડો ચાલાક અને ભયાનક પ્રાણી છે. તે અચાનક જ મનુષ્ય પર હુમલો કરે છે. એકવાર માનવ લોહી ચાખી ગયા બાદ તે માનવ ભક્ષી બની જાય છે.

ગીરના ખેડૂતો (Farmers of Gir) માથે નવી આફત આવી પડી છે. જંગલી ભૂંડ, નીલગાય અને હવે દીપડાઓ (Leopard) પણ આતંક મચાવી રહ્યા છે. વન્ય પ્રાણીઓ (wild animal) ખેડૂતોનાં પાકને ભારે નુકસાન પહોંચાડી રહ્યા છે. ત્યારે ખેડૂતોને પોતાના જીવના જોખમે પોતાના પાકનું રાતે રક્ષણ કરવું પડે છે.

ગીરનાં ગામોમાં ગીર જંગલ માંથી ખેડૂતો માટે નવી આફત આવી છે. ગીરનું જંગલ એટલે કોઈ મનુષ્ય વન વિભાગની મંજૂરી વગર પ્રવેશ ન કરી શકે અને પ્રવેશ કરે તો પણ વન્ય પ્રાણીઓને ખલેલ પહોંચે તેવું કૃત્ય કરે તો કાયદાકીય રીતે ગુનો લાગુ પડે છે. પરંતુ એ જ વન્ય પ્રાણીઓ માનવ વસ્તીમાં આવી માનવ જીવ અને ખેડૂતોનાં પાકને નુકશાન કરે તો? બસ આવું જ બની રહ્યું છે ગીરના ખેડૂતોની સાથે.

ગીર સોમનાથ જિલ્લાનાં નાનાવાડા, કાજ, જંત્રાખડી, માલગામ અને બાવાનાં પીપળવા સહિતનાં અનેક ગામોમાં નીલગાય અને જંગલી ભૂંડનાં ત્રાસને કારણે ખેડૂતો પોતાના પાકનું રાત્રી રખોપુ ન કરે તો મહિનાઓથી મહેનત કરી તૈયાર કરેલો પાક વન્ય પ્રાણીઓ તહેસનહેસ કરી નાખે છે. ગુજરાત સરકાર દ્વારા વન્ય પ્રાણીઓની ખેડૂતોને દહેશતને કારણે રાત્રીના બદલે દિવસે વીજળી આપવાનું કર્યું છે. ખેડૂતો ખુશ પણ થયા પરંતુ તેમના ઉજાગરા ઓછાં ન થયા.

જો ખેડૂતો રાત્રી ઉજાગરા ન કરે તો રોઝ, જંગલી ભૂંડ અને નીલગાય જેવા પ્રાણીઓ માત્ર એક જ રાત્રીમાં અનેક વિઘા ખેતરમાં ઉભેલો તેનો પાક તહસ નહસ કરી નાખે છે. તો રાત્રી દરમ્યાન દીપડાનો ભય પણ એટલો જ રહે છે. ગીર સોમનાથનાં ગીર બોર્ડર અને દરિયાઈ પટ્ટીનાં ગામોની ખેતીની જમીનમાં ઉભા પાકનો સોથ વાળતા વન્ય પ્રાણી નીલગાય, રોઝ અને ભૂંડને કારણે ખેડૂતોની સ્થિતિ દયનિય બની છે.

જેથી આ વિસ્તારના ખેડૂતોએ ના છૂટકે ભયના ઓથાર વચ્ચે રાત્રી દરમ્યાન પોતાના ખેતરનું રખોપુ કરવું પડે છે. ગીરનાં ગ્રામ્ય વિસ્તારોમાં જંગલી પશુઓનો આતંક દિન પ્રતિદિન વધી રહ્યો છે. ભૂંડ અને નીલગાય ખેડૂતોનાં પાકોને તબાહ કરી રહ્યા છે. કોડીનારનાં નાનાવાડા ગામનાં ખેડૂતો જંગલી પશુઓથી ત્રાસીને જન પ્રતિનિધિ અને વહીવટી તંત્રને આવેદન પત્ર પાઠવી પશુઓથી પાકને બચાવવા માંગ કરી ચુક્યા છે.

સિંહોને કારણે અન્ય વન્યપ્રાણીઓ ખેડૂતોના ખેતરથી દૂર રહે છે. મોટેભાગે સિંહો માનવી પર હુમલો કરતા નથી. પરંતુ ખેડૂતોના પાલતુ પશુઓને શિકાર બનાવે છે. પરંતુ દીપડો ચાલાક અને ભયાનક પ્રાણી છે. તે અચાનક જ મનુષ્ય પર હુમલો કરે છે. એકવાર માનવ લોહી ચાખી ગયા બાદ તે માનવ ભક્ષી બની જાય છે. દીપડો મોટેભાગે રાત્રી દરમ્યાન જ છુપાઈને હુમલો કરતો હોય રાત્રી રખોપુ કરતા ખેડૂતો પર સતત જીવનું જોખમ રહે છે.

વન્યપ્રાણીઓથી ખેડૂતોના પાકને નુકશાન થાય અને સહાય મળે તે સહાય પણ ન જોઈએ. બસ ખેડૂતોનેતો આ આતંક મચાવતા જંગલી ભૂંડ અને નીલ ગાય અને દીપડાથી કાયમી માટે છુટકારો જોઈએ છે. જેથી ખેડૂતોના રાત્રી ઉજાગરા બંધ થાય જેથી ખેડૂતો પોતાના ઘરે રાત્રી દરમ્યાન સુખરૂપ મીઠી નીંદર માણી શકે.

આ પણ વાંચો :-