લોકસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર રાધિકા ખેડા અને અભિનેતા શેખર સુમન બંને મંગળવારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. કોંગ્રેસના રાષ્ટ્રીય મીડિયા સંયોજક રાધિકા ખેરાએ છત્તીસગઢ કોંગ્રેસના સંચાર વિભાગના અધ્યક્ષ સુશીલ આનંદ શુક્લા પર ગંભીર આરોપ લગાવતા પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું.
શેખર સુમન વેબ સીરિઝ હીરામંડીને લઇને ચર્ચામાં છે. શેખર સુમન હવે ભાજપમાં જોડાઈ ગયા છે. શેખર સુમને વર્ષ ૨૦૦૯માં શત્રુઘ્ન સિંહા સામે પટના સાહિબથી ચૂંટણી લડી હતી. શેખર સુમને દિલ્હીમાં બીજેપી હેડક્વાર્ટર ખાતે વિનોદ તાવડેની હાજરીમાં બીજેપીનું સભ્યપદ લીધું હતું. શેખર સુમન એવા સમયે ભાજપમાં જોડાયા છે જ્યારે દેશમાં પહેલેથી જ લોકસભા ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. જો કે, શેખર સુમન ભવિષ્યમાં ચૂંટણી લડશે કે નહીં તે હજુ સ્પષ્ટ થયું નથી.
રાધિકા ખેરાએ કહ્યું હતું કે મેં હંમેશા સાંભળ્યું છે કે કોંગ્રેસ રામ વિરોધી, સનાતન વિરોધી અને હિંદુ વિરોધી છે, પરંતુ મેં ક્યારેય આ વાત સાચી માની નહોતી. મહાત્મા ગાંધી દરેક બેઠકની શરૂઆત ‘રઘુપતિ રાઘવ રાજા રામ’થી કરતા હતા, પણ મને સત્ય ત્યારે ખબર પડી જ્યારે હું મારી દાદી સાથે રામ મંદિર ગઇ અને ત્યાંથી પાછી ફર્યા પછી મેં મારા ઘરના દરવાજા પર ‘જય શ્રી રામ’ ઝંડો લગાવ્યો અને ત્યારપછી કોંગ્રેસ પાર્ટી મને નફરત કરવા લાગી. જ્યારે પણ હું તસવીરો કે વીડિયો પોસ્ટ કરતી ત્યારે મને ઠપકો આપવામાં આવતો અને પૂછવામાં આવતું કે ચૂંટણી ચાલી રહી છે ત્યારે હું અયોધ્યા કેમ ગઇ.