કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં ગુજરાતના પ્રવાસીઓ સાથે ગંભીર માર્ગ અકસ્માત સર્જાતા બે લોકોનાં મોત થયા છે, જ્યારે ચાર લોકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. મૃતકોમાં અમદાવાદના ઘાટલોડિયા અને ભીમજીપુરા વિસ્તારના રહેવાસીઓનો સમાવેશ થાય છે. અકસ્માત બાદ સમગ્ર પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
માહિતી અનુસાર અમદાવાદના નવા વાડજ, ઘાટલોડિયા અને આસપાસના વિસ્તારોના કેટલાક દંપતિઓ કાશ્મીર પ્રવાસે ગયા હતા. આ દરમિયાન તેઓ પહેલગામથી એડ વેલી તરફ JK21A-0379 નંબરની ટવેરા ટેક્સીમાં જઈ રહ્યા હતા. વાહન સ્થાનિક ડ્રાઇવર રઈસ અહેમદ બટ્ટ ચલાવી રહ્યો હતો.
પહેલગામથી લગભગ ચાર કિલોમીટર દૂર આવેલા એક વળાંક પાસે ડ્રાઇવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર સીધી રસ્તા પરથી ઉતરી ઊંડી ખીણમાં ખાબકી ગઈ હતી. અકસ્માત જોતા આસપાસથી પસાર થતા લોકો તરત જ મદદ માટે દોડી આવ્યા હતા.
ઘટનાની જાણ થતાં જ પોલીસ અને CRPFની ટીમો સ્થળ પર પહોંચી હતી. બચાવ કામગીરી હાથ ધરીને ખીણમાં પડેલી કારમાંથી તમામ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા અને સારવાર માટે અનંતનાગની સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ દુર્ઘટનામાં ઘાટલોડિયાના કે.કે. નગર રોડ પર આવેલા વાસુકાનન ટાવરમાં રહેતા ભાવિનભાઈ ભાવસારનું મોત થયું હતું. તેમની પત્ની અવનીબહેન ગંભીર રીતે ઘાયલ થતાં હાલ શ્રીનગરની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સદનસીબે તેમની સાથે રહેલો 12 વર્ષનો બાળક સુરક્ષિત બચી ગયો હતો.
આ ઉપરાંત ભીમજીપુરાના વિરનગર વિસ્તારમાં રહેતા નયનાબહેન ભાવસારનું પણ અકસ્માતમાં મોત થયું છે. તેમના પતિ અશોકભાઈ ભાવસાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં શ્રીનગરમાં તેમનું ઓપરેશન કરવામાં આવ્યું છે. અકસ્માતમાં ટેક્સી ચાલકને પણ ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.
પહેલગામ પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી અકસ્માતના કારણોની તપાસ શરૂ કરી છે. પ્રાથમિક માહિતી મુજબ વાહનની ઝડપ વધુ હોવાના કારણે ડ્રાઇવરે કાબુ ગુમાવ્યો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે પોલીસનું કહેવું છે કે તપાસ પૂર્ણ થયા બાદ જ અકસ્માતનું ચોક્કસ કારણ બહાર આવશે.