સુરતમાં બે સગા ભાઈઓએ એકસાથે કર્યો આપઘાત, પરિવારમાં શોકનો માહોલ

Share this story

સુરતના અમરોલી વિસ્તારમાં બે સગાભાઈઓએ આપઘાત કરી લેવાની ઘટના સામે આવી છે. અમરોલીમાં રહેતા અને રત્નકલાકાર તરીકે કામ કરતા બંને સગા ભાઈઓએ અનાજમાં નાખવાની દવા પી લેતા બંન્નેનાં મોત નિપજ્યા છે. તેઓએ ઘરમાં આપઘાતનું પગલું ભરી લેતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. આ મામલે પોલીસે હાલ વધુ તપાસ હાથ ધરી છે. બન્ને ભાઈઓના આપઘાત અંગે એક સંબંધીએ જણાવ્યું છેકે, મન નથી માનતું કે આ બન્ને આવું પગલું ભરી શકે.

મૃતકોના સંબંધી મનીષ સુતરીયાએ જણાવ્યું હતું કે, હિરેન અને પરીક્ષિત્તે અમને કંઈ પણ જણાવ્યું ન હતું. તેઓ કયા કારણસર આ પગલું ભર્યું છે તે પણ અમને ખબર નથી. પોતાના ઘરે જ બંનેએ આપઘાત કરી લીધો છે. તેમની પત્ની અને માતા સાથે જ રહે છે. જ્યારે આ અંગે અમને જાણ થઈ ત્યારે અમને પણ વિશ્વાસ નહોતો થયો. તેઓએ હોમ લોન લીધી હતી. બંને અલગ અલગ હીરાના કારખાનામાં રત્ન કલાકારની નોકરી કરતા હતા.

ડાયમંડ ઉદ્યોગમાં જે રીતે મંદી હતી તેના કારણે તેમને કામ મળતુ ન હતુ. જેના કારણે તેઓ સતત માનસિક તાણમાં રહેતા હતા. જેને લઈને પોતાના ઘરે અનાજમાં નાંખવાની ઝેરી દવા પી લીધા બાદ પોતાના પરિવારના સભ્યોને જાણ કરી હતી. જેને લઈને પરિવારના સભ્ય બંને ભાઈઓને સારવાર નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ બંને ભાઈઓનું મોત થયું હતું. જોકે બંને યુવકોના મોત થવાની સાથે જ સુતરીયા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.