Tuesday, Jul 28, 2026

NEET પ્રદર્શનકારીઓ માટે ખુશખબર! જાણો સુપ્રીમ કોર્ટ એ શું આપ્યો મોટો નિર્ણય

1 Min Read

NEET પેપર લીક વિવાદને લઈને દેશભરમાં થયેલા વિદ્યાર્થી આંદોલન વચ્ચે સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ અંતરિમ રાહત આપતા હજારો વિદ્યાર્થીઓ માટે આશાનું કિરણ જગાવ્યું છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જેમનો કોઈ ગુનાહિત રેકોર્ડ નથી એવા પ્રદર્શનકારીઓ સામે કડક કાર્યવાહી ન કરવામાં આવે અને તેમની તાત્કાલિક મુક્તિ સુનિશ્ચિત કરવામાં આવે. આ નિર્ણય બાદ વિદ્યાર્થી સંગઠનો અને પ્રદર્શનકારીઓમાં રાહતનો માહોલ જોવા મળ્યો છે.

મંગળવારે થયેલી સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે શાંતિપૂર્ણ વિરોધ કરવાનો અધિકાર લોકશાહીની મૂળભૂત ભાવનાનો ભાગ હોવાનું પુનરોચ્ચાર કર્યો હતો. કોર્ટે જણાવ્યું કે માત્ર વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે એટલા માટે પોલીસ દ્વારા અતિશય બળપ્રયોગ અથવા દંડાત્મક કાર્યવાહી યોગ્ય ગણાવી શકાય નહીં. સાથે જ, તાજેતરના વિદ્યાર્થી આંદોલન દરમિયાન અટકાયત કરાયેલા અથવા ધરપકડ કરાયેલા એવા વિદ્યાર્થીઓને મુક્ત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે, જેમની સામે અગાઉ કોઈ ગુનાહિત નોંધ નથી.

સુપ્રીમ કોર્ટે પ્રદર્શનકારીઓ સામે નોંધાયેલી FIRના કેસોમાં પણ હાલ માટે કોઈ કડક અથવા દબાણાત્મક કાર્યવાહી ન કરવા જણાવ્યું છે. આ દરમિયાન પોલીસની કાર્યવાહી અંગેના આક્ષેપોની સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસની જરૂરિયાત પર પણ કોર્ટે ભાર મૂક્યો છે. આ મામલે આગળની સુનાવણી દરમિયાન વધુ માર્ગદર્શિકા અને જરૂરી સૂચનાઓ આપવામાં આવી શકે છે.

Share This Article