રવિવારે (19 જુલાઈ) શહેરના ઈચ્છાપોર વિસ્તારમાંથી એરપોર્ટ તરફ જઈ રહ્યા હતા ત્યારે ઉદ્યોગપતિ અને સમાજસેવક ગોવિંદ ધોળકિયાની નજર રસ્તાની અત્યંત ખરાબ હાલત પર પડી હતી. વરસાદ બાદ રસ્તા પર કાદવ, કીચડ અને ખાડાઓનું સામ્રાજ્ય જોઈ તેઓ ભારે નારાજ થયા હતા. તેમણે પોતાની કારમાંથી જ વીડિયો બનાવી શહેરની હાલત પર તીખી પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, “આ સુરત માટે શરમજનક સ્થિતિ છે, છતાં કોઈના પેટનું પાણી નથી હલતું.” તેમનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે.
સુરતમાં પડેલા ભારે વરસાદ બાદ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાતા સામાન્ય જનજીવન પર ગંભીર અસર પડી છે. રસ્તાઓ પર પાણી ભરાવા, ટ્રાફિક જામ અને લોકોને પડતી મુશ્કેલીઓ વચ્ચે ગોવિંદભાઈએ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો છે.
ગોવિંદભાઈએ જણાવ્યું કે, “સુરત જેવી સ્માર્ટ સિટી ગણાતી જગ્યાએ દર વર્ષે વરસાદ પડતા જ આવી સ્થિતિ સર્જાય છે, છતાં કોઈના પેટનું પાણી નથી હલતું. કરોડો રૂપિયાના વિકાસના દાવા થાય છે, પરંતુ સામાન્ય નાગરિકોને આજે પણ પાણી ભરાયેલા રસ્તાઓમાંથી પસાર થવાની ફરજ પડે છે. આ સ્થિતિ અત્યંત શરમજનક છે.”
તેમણે વધુમાં કહ્યું કે વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. જવાબદાર અધિકારીઓએ માત્ર કાગળ પરની કામગીરી નહીં, પરંતુ સ્થળ પર ઉતરીને કાયમી ઉકેલ લાવવો જોઈએ.
ભારે વરસાદ બાદ સોશિયલ મીડિયા પર પણ સુરતના વિવિધ વિસ્તારોના પાણી ભરાયેલા વીડિયો અને તસવીરો વાયરલ થઈ રહ્યા છે. નાગરિકો દ્વારા તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. હવે આગામી દિવસોમાં મનપા આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે શું પગલાં લે છે તેના પર સૌની નજર રહેશે.