તિરુપતિ મંદિરના લાડુ પ્રસાદમમાં કથિત ભેળસેળના કારણે ઉત્તર પ્રદેશના મંદિરોમાં એલર્ટ જોવા મળી રહ્યું છે. અયોધ્યા, પ્રયાગરાજ અને મથુરાના મોટા મંદિરોની પ્રસાદ વ્યવસ્થા અને નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવી રહ્યા છે. અયોધ્યા મંદિરના મુખ્ય પૂજારીએ બહારની એજન્સીઓ પાસેથી પ્રસાદ લેવા પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી હતી. મથુરા મંદિરે મીઠાઈને બદલે ફળ અને ફૂલો અપનાવવાનું નક્કી કર્યું. પ્રયાગરાજના ત્રણ મોટા મંદિરોમાં પ્રસાદના નિયમો પણ બદલાયા.
અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિરના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસે બહારની એજન્સીઓ દ્વારા તૈયાર કરવામાં આવતા પ્રસાદ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવાની માંગ કરી હતી. તેમણે મંદિરના પ્રસાદમાં વપરાતા ઘીની શુદ્ધતા અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને વિનંતી કરી હતી કે તમામ પ્રસાદ મંદિરના પૂજારીઓની દેખરેખ હેઠળ તૈયાર કરવામાં આવે.
સત્યેન્દ્ર દાસે સમગ્ર દેશમાં વેચાતા તેલ અને ઘીની ગુણવત્તાની સંપૂર્ણ તપાસ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. તેમણે કહ્યું કે, તિરુપતિ બાલાજીના પ્રસાદમાં ચરબી અને માછલીના તેલના કથિત ઉપયોગને લઈને દેશભરમાં વિવાદ વધી રહ્યો છે. તેમણે આરોપ લગાવ્યો કે પ્રસાદમાં અયોગ્ય પદાર્થો ભેળવીને મંદિરોને અપવિત્ર કરવાનું આંતરરાષ્ટ્રીય ષડયંત્ર છે.
રક્ષા સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ સૌરભ ગૌરે પ્રસાદમ પ્રણાલીમાં નોંધપાત્ર સુધારાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો અને કહ્યું હતું કે, શુદ્ધ, સાત્વિક પ્રસાદમ અર્પણ અને સ્વીકારવાની પરંપરાગત પ્રથાઓ પર પાછા કરવા માટે ધાર્મિક નેતાઓ અને સંગઠનો વચ્ચે સહમતિ બની છે. તે જ સમયે, ‘સંગમ સિટી’ પ્રયાગરાજમાં આલોપ શંકરી દેવી, બડે હનુમાન અને મનકામેશ્વર સહિત ઘણા મંદિરોએ ભક્તોને પ્રસાદ તરીકે બહારથી તૈયાર કરેલી મીઠાઈઓ અને અન્ય વસ્તુઓ લાવવા પર પ્રતિબંધ મૂક્યો છે.
લલિતા દેવી મંદિરના મુખ્ય પૂજારી શિવ મૂરત મિશ્રાએ કહ્યું કે મેનેજમેન્ટે ભક્તોને ફક્ત નારિયેળ, ફળ અને સુકા મેવા લાવવાનો અનુરોધ કરવાનો નિર્ણય લીધો છે. મનકામેશ્વર મંદિરના મંહંત શ્રીધરાનંદ બ્રહ્મચારીજીએ કહ્યું કે તપાસમાં જ્યાં સુધી મીઠાઇઓની શુદ્ધતા સ્પષ્ટ થઇ જતી નથી, ત્યાં સુધી તેમને મંદિરમાં ચઢાવવાની અનુમતિ આપવામાં આવશે નહી. અલોપ શંકરી દેવી મંદિરના મુખ્ય સંરક્ષક અને શ્રી પંચાયતી અખાડા મહાનિર્વાણીના સચિવ યમુના પુરી મહારાજે કહ્યું કે ‘ભક્તોને બહારથી મીઠાઇ અને પ્રસાદ લાવવાની અનુમતિ આપવામાં આવશે નહી.
આ પણ વાંચો :-