Monday, Jun 15, 2026

મિત્રના મોતનો આઘાત બન્યો જીવલેણ: 24 કલાકમાં બે દોસ્તોએ પણ ટૂંકાવ્યું જીવન

2 Min Read

વડોદરાના મકરપુરા વિસ્તારમાંથી મિત્રતાની એક એવી હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેણે સમગ્ર શહેરને શોકમાં ગરકાવ કરી દીધું છે. બિહારમાં રહેતા એક પરમ મિત્રના આત્મહત્યાના સમાચાર મળ્યા બાદ વડોદરામાં રહેતા તેના બે મિત્રો આ આઘાત સહન કરી શક્યા નહીં અને માત્ર 24 કલાકના અંતરમાં બંનેએ પોતાનું જીવન ટૂંકાવી દીધું. આ કરુણ ઘટનાથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

મિત્રના વિયોગમાં ટ્રેન નીચે ઝંપલાવી દીધું
પોલીસ અને રેલવે પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, ગુરુવારે બપોરે મકરપુરા રેલવે સ્ટેશન નજીક એક યુવકનું ટ્રેનની અડફેટે આવી જતાં મોત થયું હતું. તપાસ દરમિયાન મૃતકની ઓળખ 26 વર્ષીય રવિશંકરકુમાર રાજકુમાર પ્રસાદ તરીકે થઈ હતી. તે મૂળ બિહારનો વતની હતો અને હાલ મકરપુરાની જશોદા કોલોનીમાં રહેતો હતો.

તપાસમાં સામે આવ્યું કે રવિશંકરના એક જિગરી મિત્રએ પાંચ દિવસ પહેલાં બિહારમાં આત્મહત્યા કરી હતી. આ ઘટનાથી રવિશંકર ભારે માનસિક આઘાતમાં હતો અને સતત સોશિયલ મીડિયા પર ભાવુક પોસ્ટ મૂકી રહ્યો હતો. પોતાની છેલ્લી પોસ્ટમાં તેણે લખ્યું હતું, “તેરે પાસ બહુત જલદી આતા હું… સબ લોગ મુજે માફ કર દેના… મેરી માતા કા ખયાલ કોન રખેગા.” ત્યારબાદ તેણે ટ્રેન નીચે ઝંપલાવી જીવનનો અંત આણી દીધો.

રવિશંકરના મોતથી ભાંગી પડેલા બીજા મિત્રએ પણ ગળેફાંસો ખાધો
હજુ તો રવિશંકરના આત્મહત્યાના આઘાતમાંથી પરિવાર બહાર પણ નહોતો આવ્યો, ત્યાં શુક્રવારે સવારે મકરપુરા પોલીસ સ્ટેશનમાં આપઘાતનો વધુ એક કમકમાટીભર્યો કિસ્સો નોંધાયો. જશોદા કોલોનીમાં જ રહેતા 23 વર્ષીય વિકાસ દિનેશભાઈ પ્રસાદ નામના યુવકે સવારે પોતાના ઘરે ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું.

પોલીસે જણાવ્યું કે, ટ્રેન નીચે કચડાઈને જીવ આપનાર રવિશંકર અને વિકાસ બંને પાકા મિત્રો હતા અને મકરપુરા GIDC માં સાથે જ નોકરી કરતા હતા. રવિશંકરના અકાળ અને આઘાતજનક મોતના સમાચાર વિકાસ સહન કરી શક્યો નહીં. પોતાના જિગરી દોસ્તના મોતના ગમમાં વ્યાકુળ થઈને વિકાસે પણ મોતનો રસ્તો પસંદ કરી લીધો. આમ, એક જ મિત્ર મંડળના ત્રણ-ત્રણ આશાસ્પદ યુવાનોના મોતના પગલે જશોદા કોલોની અને મૃતકોના વતનમાં ભારે આક્રંદ અને શોકનો માહોલ છવાઈ ગયો છે. હાલ મકરપુરા અને રેલવે પોલીસ આ સમગ્ર મામલે વધુ તપાસ ચલાવી રહી છે.

Share This Article