સુરતના હૃદયદ્રાવક આપઘાતના હાદસા બાદ આજે અમદાવાદના એસજી હાઈવે પર સવારે સામે આવેલા એક ભયાનક દ્રશ્યે આસપાસના લોકોમાં ભારે ચકચાર મચાવી દીધી હતી. નિરમા યુનિવર્સિટીની સામે બની રહેલી ‘સ્કૃતિમ’ નામની નિર્માણાધીન ઇમારતના 32મા માળે એક યુવકનો મૃતદેહ ક્રેન પાસે લટકતો જોવા મળતાં ઘટનાસ્થળે લોકોના ટોળા એકત્રિત થયા હતા.
પ્રાથમિક માહિતી મુજબ, યુવકે મોડી રાત્રે ક્રેન સાથે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાની આશંકા છે. જોકે, ઘટનાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી અને પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, વહેલી સવાર સુધી મૃતદેહ ઊંચાઈ પર જ લટકતો રહ્યો હતો. સવારે અંદાજે 8 વાગ્યાની આસપાસ આસપાસના લોકોની નજર આ દ્રશ્ય પર પડી હતી. ત્યારબાદ તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી.
ઘટનાની જાણ થતાં પોલીસ અને રેસ્ક્યુ ટીમ સ્થળ પર પહોંચી હતી. 32મા માળેથી મૃતદેહને સુરક્ષિત રીતે નીચે ઉતારવા માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી. મૃતકની ઓળખ અને ઘટનાના કારણ અંગે પોલીસ તપાસ કરી રહી છે. પોલીસના સત્તાવાર નિવેદન બાદ જ સમગ્ર ઘટનાની વધુ વિગતો સ્પષ્ટ થશે.