Wednesday, Aug 12, 2026

ટાટા ગ્રુપમાં મોટો ફેરફાર!  ટાટા સન્સના ચેરમેન પદથી એન ચંદ્રશેરખરનનું રાજીનામું

2 Min Read

ટાટા ગ્રુપના કરોડો લોકોના વિશ્વાસ સાથે જોડાયેલું સૌથી મોટું નામ હવે નેતૃત્વ બદલાવ તરફ આગળ વધી રહ્યું છે.  ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરને ટાટા સન્સના ચેરમેન પદેથી રાજીનામું આપી દીધું છે અને તેઓ પોતાની આ ટર્મ પૂરી કરશે એટલે કે ફેબ્રુઆરી 2027માં તેમની ટર્મ પૂરી થયા બાદ ટાટા ગ્રુપને નવા ચેરમેન શોધવા પડશે. આ નિર્ણય ટાટા ટ્રસ્ટ્સ સાથે લાંબા સમયથી ચાલી રહેલા મતભેદોની વચ્ચે આવ્યો છે.

ચંદ્રશેખરને 2017માં  ટાટા સન્સની કમાન સંભાળી હતી અને 2022માં તેમને બીજી ટર્મ મળી હતી. હવે તેઓ ફેબ્રુઆરી 2027 સુધી પદ પર રહેશે, પરંતુ ત્યારબાદ પુનર્નિયુક્તિ માટે પોતાનું નામ આગળ નહીં ધપાવે. ટાટા ગ્રુપ આગામી મહિનાઓમાં તેમના ઉત્તરાધિકારી માટે આંતરિક તેમજ બાહ્ય બંને વિકલ્પો પર વિચાર કરે તેવી શક્યતા છે.

આ સમગ્ર ઘટનાની પાછળ  ટાટા સન્સ અને  ટાટા ટ્રસ્ટ વચ્ચેના મતભેદને મહત્વનું કારણ માનવામાં આવી રહ્યું છે. ટાટા ટ્રસ્ટ પાસે ટાટા સન્સમાં લગભગ 66 ટકા હિસ્સો છે. ફેબ્રુઆરી 2026માં ચંદ્રશેખરણની ત્રીજી ટર્મ અંગે Tata Sonsના બોર્ડમાં નિર્ણય મુલતવી રાખવામાં આવ્યો હતો. તે સમયે Noel Tataએ કેટલીક શરતો અને ગ્રુપની કેટલીક કંપનીઓના નબળા નાણાકીય પરિણામો અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા.

ખાસ કરીને એર ઈન્ડિયા ના વધતા નુકસાનને લઈને ચિંતા જોવા મળી હતી. નાણાકીય વર્ષ 2025-26માં એર ઈન્ડિયાની આવક ઘટીને ₹71,870 કરોડ રહી હતી, જ્યારે કંપની અને એર ઈન્ડિયા એક્સપ્રેસના સંયુક્ત પરિણામોમાં ભારે નુકસાન નોંધાયું હતું.

હવે 18 ઓગસ્ટે યોજાનારી  ટાટા સન્સની એજીએમ પહેલાં આ નિર્ણય સામે આવ્યો છે. આ બેઠકમાં ચંદ્રશેખરણની ડિરેક્ટર તરીકેની પુનર્નિયુક્તિ મુદ્દે પણ ધ્યાન હતું. હવે ટાટા ગ્રુપ માટે આગામી સૌથી મોટો પ્રશ્ન તેમના ઉત્તરાધિકારીની પસંદગી રહેશે.

Share This Article