Wednesday, Jun 3, 2026

બાંગ્લાદેશી ઘૂસણખોરી સામે કડક કાર્યવાહી: અમદાવાદ શહેરમાં 291 શકમંદોની અટકાયત

3 Min Read

અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા વિદેશી નાગરિકો અને ઘૂસણખોરો વિરુદ્ધ સ્થાનિક પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે એક અત્યંત મોટું અને સપાટો બોલાવતું ગુપ્ત ઓપરેશન હાથ ધર્યું છે. ગઈકાલે (2 જૂન) મોડી રાત્રે શરૂ થયેલી આ મેગા ડ્રાઈવમાં કાયદા અમલીકરણ એજન્સીઓને એક બહુ મોટી સફળતા મળી છે. સમગ્ર ઓપરેશન દરમિયાન બાંગ્લાદેશી હોવાની શંકાના આધારે કુલ 291 જેટલા શકમંદ લોકોની અટકાયત કરવામાં આવી હતી.

આ તમામ શંકાસ્પદ વ્યક્તિઓની કડક પૂછપરછ અને દસ્તાવેજોની પ્રાથમિક ચકાસણી બાદ, તેમાંથી 131 લોકો મૂળ બાંગ્લાદેશી નાગરિક હોવાની સત્તાવાર પુષ્ટિ થઈ ચૂકી છે. જ્યારે બાકીના અન્ય 160 લોકોના શંકાસ્પદ રોકાણને લઈને હાલમાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા સઘન પૂછપરછ અને તપાસનો દોર ચાલી રહ્યો છે.

ચંડોળા, ગુલાબનગર અને દાણીલીમડામાં પોલીસનો સયુંકત દરોડો
શહેરમાં કોઈ મોટી અસામાજિક કે રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિ ન થાય અને ગેરકાયદેસર વસવાટ કરતા તત્વોને શોધી શકાય તે માટે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ સ્ટેશનોની વિવિધ ટીમો દ્વારા સંયુક્ત રીતે આ ઓપરેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. મધ્યરાત્રિએ અચાનક શરૂ કરાયેલા આ ઓપરેશનમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત તમામ સ્તરનો મોટો કાફલો મેદાનમાં ઉતારવામાં આવ્યો હતો.

ક્રાઈમ બ્રાન્ચની ટીમોએ ખાસ કરીને બાંગ્લાદેશી ઘૂસણખોરોના મુખ્ય ગઢ ગણાતા વિસ્તારોને ટાર્ગેટ કર્યા હતા. જેમાં મુખ્યત્વે ચંડોળા તળાવ આસપાસના ઝૂંપડપટ્ટી વિસ્તારો, ગુલાબનગર તેમજ દાણીલીમડાના ખોડિયારનગરમાં વ્યાપક કોમ્બિંગ હાથ ધરીને સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. અચાનક આવી પહોંચેલી પોલીસ વેનને જોઈને આ વિસ્તારોમાં ભારે નાસભાગ અને ફફડાટ મચી ગયો હતો.

સરકારી દસ્તાવેજો અને પુરાવાની બારીકાઈથી તપાસ શરૂ
ઓપરેશન દરમિયાન ઝડપાયેલા તમામ 291 શકમંદ વ્યક્તિઓને તાત્કાલિક અસરથી પોલીસ વાહનો દ્વારા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના મુખ્ય કેમ્પસ ખાતે લાવવામાં આવ્યા હતા. હાલમાં આ તમામ શકમંદો અને જેમના બાંગ્લાદેશી હોવાની પુષ્ટિ થઈ ગઈ છે તેવા 131 નાગરિકોને ક્રાઈમ બ્રાન્ચની કસ્ટડી અને કેમ્પસની કડક સુરક્ષા વચ્ચે રાખવામાં આવ્યા છે.

પોલીસ અધિકારીઓનું કહેવું છે કે તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થઈ શકશે કે અટકાયત કરાયેલા લોકો ખરેખર બાંગ્લાદેશી નાગરિકો છે કે નહીં. દસ્તાવેજોની ચકાસણી અને અન્ય પુરાવાઓના આધારે આગળની કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદ અને રાજકોટ બંને શહેરોમાં હાથ ધરાયેલી કાર્યવાહી દરમિયાન સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક બની છે. ગેરકાયદેસર રીતે દેશમાં પ્રવેશ કરનારા લોકો સામે રાજ્યભરમાં વધુ તપાસ અભિયાન ચલાવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

પોલીસ હાલમાં દરેક વ્યક્તિની ઓળખ, રહેઠાણ, રોજગાર અને દેશમાં પ્રવેશ અંગેની વિગતો એકત્રિત કરી રહી છે. તપાસ દરમિયાન જો કોઈ ગેરરીતિ સામે આવશે તો સંબંધિત વ્યક્તિઓ સામે કાયદાકીય પગલાં લેવામાં આવશે. આ સમગ્ર ઓપરેશનનો મુખ્ય હેતુ રાજ્યમાં ગેરકાયદેસર ઘૂસણખોરી પર નિયંત્રણ લાવવાનો અને સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાનો હોવાનું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે. હાલ અમદાવાદ અને રાજકોટ બંને સ્થળે તપાસની કાર્યવાહી ચાલુ છે.

Share This Article