સાળંગપુર મંદિરમાં તોડફોડ કરનારાઓના જામીન મંજૂર, ધાર્મિક વિવાદમાં હવે સરકારની એન્ટ્રી

Share this story
  • સાળંગપુર વિવાદ અંગે મોટા સમાચાર. સ્વામિનારાયણ સંપ્રદાયના અગ્રણીઓ સાથે બેઠક મળશે. ગાંધીનગરમાં સરકાર અને અગ્રણીઓ સાથે બેઠક મળશે.

બોટાદના સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં ભીંતચિત્રો ઉપર કાળો કલર અને તોડફોડ કરવાનો મામલે આજે ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. હર્ષદ ગઢવી, જેશીંગ ભરવાડ, બળદેવ ભરવાડ સહિત ત્રણ આરોપીઓની જામીન અરજી અંગે બરવાળા કોર્ટમાં સુનાવણી પૂર્ણ થઈ હતી. જેના અંતે કોર્ટ દ્વારા ત્રણેય આરોપીઓના જામીન મંજુર કરાયા છે.

૧૦-૧૦ હજારના જામીન પર મુક્ત કરાયા છે. બચાવ પક્ષ દ્રારા ગઈકાલે જજના બંગલે જામીન અરજી કરાઈ હતી. સાથે જ ત્રણેયને કોર્ટ દ્વારા રાજ્યની હદ બહાર જવું નહીં તેમજ પાસપોર્ટ જમા કરાવવા આદેશ કર્યા છે. તેમજ કોઈપણ સાક્ષીને ધમકાવવા નહીંની શરત પર જામીન અપાયા છે.

વિવાદમાં સરકાર આવી :

સાળંગપુર વિવાદ હવે આગ પકડી રહ્યો છે. લીંબડી મોટામંદિર ખાતે સાળંગપુર મંદિરમાં હનુમાનજીની મૂર્તિના વિવાદને લઈને આવતીકાલે સાધુ સંતો અને મહંતોનુ મહાસંમેલન યોજાનાર છે. ત્યારે આ વિવાદને હવે સરકારે હાથે લીધો છે. આજે બપોર બાદ સ્વામિનારાયણના સંતોની બેઠક મળશે. ત્રણ વાગ્યા બાદ સંપ્રદાયના સિનિયર સાધુઓ સાથે સરકારની મંત્રણા કરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી તેમાં જોડાશે.

સાળંગપુર હનુમાનજી મંદિર ભીત ચિત્ર વિવાદ મામલે સંતોને સરકારના તેડા આવ્યા છે. સ્વામીનારાયણ સંપ્રદાયના મુખ્ય 5 જેટલા સંતો ગાંધીનગર જવા રવાના થયા છે. સાળંગપુર મંદિરના કોઠારી વિવેકસાગર સ્વામી, વડતાલના ડો.સંત વલ્લભદાસજી સ્વામી સરધાર મંદિરના સ્વામી સહિતના સંતો ગાંધીનગર જવા રવાના થયા છે. તમામ સંતો પહેલા અમદાવાદ અથવા ગાંધીનગર સ્વામિનારાયણ મંદિર ખાતે બેઠક કર્યા બાદ સીએમ ઓફિસ જશે.

આ પણ વાંચો :-