મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, મહેસૂલ રાજ્ય મંત્રી સંજયસિંહ મહિડા, વરિષ્ઠ સચિવો, ઉચ્ચ અધિકારીઓ, વિષય તજજ્ઞોની વિશેષ ઉપસ્થિતિમાં 5મીથી 7મી-મે દરમ્યાન અડાલજ ત્રિ-મંદિર ખાતે મહેસૂલ વિભાગની ત્રિ-દિવસીય ‘ચિંતન શિબિર’ યોજાશે. જેમાં વિઝન-2030: ગુજરાતમાં લેન્ડ ગવર્નન્સનું ભવિષ્ય-જેવી મહત્વકાંક્ષી થીમ પર આધારિત આ ચિંતન શિબિરમાં રાજ્યના વહીવટી માળખાને વધુ સુદ્રઢ બનાવવાની દિશામાં મનોમંથન કરાશે.
આ શિબિરમાં અગાઉ મહેસૂલ વિભાગ દ્વારા યોજાયેલી એકશન સેમિનારમાં થયેલી ચર્ચાના વ્હાઇટ પેપર્સ અને તેના ઉપર થયેલી કાર્યવાહીની પણ ચર્ચા વિચારણા કરાશે અને શિબિરના અંતે મહેસૂલ વિભાગ માટે એક સ્પષ્ટ અને અમલી બનાવી શકાય તેવો એક મજબૂત રોડમેપ તૈયાર કરાશે ત્યારબાદ રાજ્યના લેન્ડ ગવર્નન્સમાં ક્રાંતિકારી ફેરફારો લવાશે અને નાગરિક-કેન્દ્રી વહીવટને વધુ મજબૂત બનાવાશે.
મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતી રવિએ જણાવ્યું હતું કે, વિકસિત ભારત @ 2047ના વિઝનને પરિપૂર્ણ કરવામાં ગુજરાત સૌથી મહત્વપૂર્ણ અને અગ્રીમ ભૂમિકા ભજવશે. ગુજરાતને, વિકસિત રાજ્ય બનાવવામાં મહેસૂલ વિભાગનો તૈયાર થનારો રોડમેપ અગત્યનો પૂરવાર થશે. આ શિબિરમાં મહેસૂલ વિભાગની વર્તમાન નીતિઓની સમીક્ષા કરાશે. વહીવટી પ્રક્રિયા પારદર્શક બનાવવા માટે વહીવટી અડચણોને દૂર કરવાની દિશામાં ચિંતન કરાશે. ડિજિટલ ગવર્નન્સ દ્વારા નાગરિકોને અપાતી સેવાઓમાં વધુ પારદર્શિતા અને ઝડપ લાવવા પર ભાર મૂકાશે. આમ, જમીન વહીવટમાં નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને જાહેર વિશ્વાસ વધારવા માટે ચિંતન શિબિર એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ સાબિત થશે.
સર્વે-રી સર્વે, ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે વ્યૂહરચના ઘડાશે
આ મહત્વપૂર્ણ ચિંતન શિબિર દરમિયાન પેપરલેસ પ્રોપર્ટી રજીસ્ટ્રેશન, ઓનલાઇન કોર્ટ કેસ મેનેજમેન્ટ સિસ્ટમ, જનસેવામાં પારદર્શિતા અને જવાબદારી વધારવા માટેના પ્રયાસો, આવક રેકર્ડના ડિઝિટાઇજેશન અને અપડેશન જેવા વિવિધ મહત્વના વિષયો ઉપર ઊંડાણપૂર્વક ચર્ચા કરાશે. આ ઉપરાંત, જમીન માપણી (સર્વે-રી સર્વે) અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ જેવી બાબતોમાં આધુનિક વ્યૂહરચનાઓ ઘડવામાં આવશે.
ઉચ્ચાધિકારીઓ-વિષય તજજ્ઞો પરામર્શ કરશે
આ ચિંતન શિબિરમાં જિલ્લા કલેક્ટરો, પ્રાંત અધિકારીઓ સહિતના ક્ષેત્રિય અધિકારીઓ સહિત ISRO, BISAG-N, IIT, IIM, IGNOU, સર્વે ઓફ ઇન્ડિયા સહિતના નિષ્ણાતો પણ સહભાગી થશે. વિવિધ વિષયો પર ગ્રુપ ડિસ્કશન, કેસ સ્ટડીઝ અને નિષ્ણાતોના વ્યાખ્યાનો દ્વારા જ્ઞાનનું આદાન-પ્રદાન કરાશે. મહેસૂલ વિભાગમાં જરુરી વહીવટી સુધારાઓ માટે અન્ય રાજ્યોના પ્રતિનિધિઓ અને કાયદાકીય નિષ્ણાતો સાથે પણ પરામર્શ કરી શ્રેષ્ઠ પદ્ધતિઓ અપનાવવામાં આવશે.