Friday, May 15, 2026

પેટ્રોલ-ડીઝલના ભાવમાં આકરો વધારો, સુરતના અનેક પેટ્રોલ પંપ પર ‘સ્ટોક નથી’ના બોર્ડ

2 Min Read

દેશ સહિત ગુજરાતમાં આજે વહેલી સવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો વધારો કરવામાં આવતા સામાન્ય જનતા પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે. પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર ₹2.99નો વધારો થતાં તેનો નવો ભાવ ₹97.43 પર પહોંચી ગયો છે, જ્યારે ડીઝલમાં ₹3.09નો વધારો થતા તેનો ભાવ ₹93.29 થયો છે. અગાઉ ડીઝલનો ભાવ ₹90.11 હતો. સામાન્ય રીતે ઇંધણના ભાવમાં ફેરફાર રાત્રે 12 વાગ્યે અમલમાં આવતો હોય છે, પરંતુ આ વખતે પ્રથમવાર વહેલી સવારે જ પેટ્રોલ પંપ સંચાલકોને સૂચના આપી તાત્કાલિક અસરથી નવા ભાવ લાગુ કરવામાં આવ્યા હતા, જેના કારણે ગ્રાહકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

અચાનક અમલમાં આવેલા આ વધારાના કારણે વહેલી સવારે પેટ્રોલ પંપ પર પહોંચેલા વાહનચાલકોને સીધી આર્થિક અસર સહન કરવી પડી હતી. લોકોમાં ભાવવધારાને લઈને અસંતોષ જોવા મળ્યો હતો.

સુરતના પેટ્રોલ પંપ પર ‘પેટ્રોલ-ડીઝલ નથી’ના બોર્ડ
આ બધાની વચ્ચે સુરતના અનેક વિસ્તારોમાં પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાઈ હતી. શહેરના કેટલાક પેટ્રોલ પંપો પર ‘પેટ્રોલ-ડીઝલ નથી’ એવા બોર્ડ લગાવવામાં આવ્યા હતા. બીજી તરફ વડોદરાના એક પેટ્રોલ પંપ પર સરકારી વાહનમાં ટેમ્પો દ્વારા ડીઝલ ભરાવી લઈ જતું દૃશ્ય પણ જોવા મળ્યું હતું.

સુરતના વરાછા, કતારગામ, પર્વત પાટિયા, જહાંગીરપુરા, ડિંડોલી, ગોથાણ અને વેલંજા સહિતના વિસ્તારોમાં નવા સ્ટોકની આવક ન થવાને કારણે અનેક પેટ્રોલ પંપો પર ઇંધણ ખૂટી ગયું હતું. પરિણામે પંપ સંચાલકોએ ‘પેટ્રોલ-ડીઝલ નથી’ના બોર્ડ લગાવી પંપ બંધ રાખ્યા હતા.

આ દરમિયાન કેટલાક પેટ્રોલ પંપો પર માત્ર પ્રીમિયમ પેટ્રોલનું જ વેચાણ કરવામાં આવ્યું હતું. જેના કારણે સામાન્ય વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ઇંધણની અછત અને વધેલા ભાવને કારણે શહેરમાં લોકોમાં ચિંતા અને નારાજગીનો માહોલ જોવા મળ્યો હતો.

Share This Article